રાજકોટમાં પાણી કાપ નહિ જ આવે : ભાજપ
ભાજપે આજી ડેમ પાણીથી ભર્યો છે અને ભરશે : વશરામભાઇ સલાહ આપવાનું બંધ કરે : કોંગ્રેસને શહેરની જનતાએ સારી રીતે તમાચો માર્યો છે તેનું પ્રાયશ્ચિત કરે, પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે : ડો. જૈમન ઉપાધ્યાય-પુષ્કર પટેલ
રાજકોટ, તા. ૯ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક તથા પ્રગતિશીલ સરકાર દ્વારા રાજયનો સર્વાગી વિકાસ થઇ રહ્યો છે અને ખાસ કરી દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી ના હસ્તે પ્રારંભ કરવામાં આવેલ. સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રને ગુજરાતભરમાં નર્મદાના નીર ઘરે-ઘરે, ગામડે-ગામડે, નગરે-નગરે, મહાનગરોમાં અને ખેતરે-ખેતરે પહોંચાડવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવેલ છે ત્યારે આ સૌની યોજના સાકાર થવાથી સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને શહેરમાં પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બન્યો છે અને દુષ્કાળ જેવા શબ્દોને લોકો ભૂલી ગયા છે ત્યારે આ સૌની યોજના સાકાર થવાથી કોંગ્રેસને પેટમાં તેલ રેડાયાનો આક્ષેપ કર્યો છે.
આ અંગે મેયર ડો. જૈમન ઉપાધ્યાય તથા સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે ભૂતકાળમાં રાજયમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજકોટમાં પાણીની તંગી વર્તાતી હતી અને કોંગ્રેસના દલાલો મારફત ટેન્કરથી પાણી આપી બેડાયુદ્ધ સર્જાતું હતું. ત્યારે ભાજપની સરકાર દ્વારા સૌની યોજના સાકાર કરી નર્મદાના નીર લાવી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકાર દ્વારા શહેરની જનતાને પૂરતા પ્રમાણમાં અને એક દિવસના પાણીકાપ વિના પાણી આપવામાં આવી રહયું છે ત્યારે કોંગ્રેસના હારેલા નેતાને ચૂંટણીની કળ ઉતરી હોય તે રીતે ફરી નિવેદનો કરી શહેરની જનતાને ગુમરાહ કરી રહ્યા છે.
વધુમાં શ્રી ઉપાધ્યાય, પટેલે જણાવ્યું હતું કે, શહેરીજનોએ ભાજપમાં વિશ્વાસ મૂકી, ત્રણ દાયકાથી વધુ સમયથી મહાનગર પાલિકાનું શાસન આપેલ છે. ફકત એક વખત મતદારોએ ભૂલ કરી, મહાનગરપાલિકામાં કોંગ્રેસને સત્તા આપેલ તે શાસનકાળમાં શહેરના નગરજનોનું શરમથી માથુ જુકી જાય એવા કામો કરેલ.
રાજકોટના શહેરીજનોના હૃદયમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને જંગી બહુમતી અપાવી ફરીને મુખ્યમંત્રી તરીકે બેસાડેલ છે. જયારે વિપક્ષ નેતાએ રાજકોટ શહેરની પાણીની ચિંતા માટે મુખ્યમંત્રીશ્રીને અપીલ સાથે રજૂઆત કરવાના બદલે પ્રવેશબંધીના ધમકી નિવેદનો કરી કોંગ્રેસ સંસ્કારો છતા કરતા હોઇ તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અંતમાં ડો. જૈમન ઉપાધ્યાય તથા પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં ભાજપ શાસકો દ્વારા પાણીકાપની કોઇ વાત જ નથી ત્યારે કોંગ્રેસ અને વશરામભાઇ સાગઠીયા દ્વારા દરરોજ પાણીના મુદ્દે નિવેદનો કરી શહેરની જનતાને ગુમરાહ કરી રહ્યા છે.