ગૌ માતાના સ્વાસ્થ્ય માટે પૂ. લાલબાપુ દ્વારા ૨૪ લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન
દરેક વ્યકિત ગૌ માતાના લાભાર્થે પોતાના ઇષ્ટના મંત્રનો જાપ કરે તેવી પૂ. લાલબાપુની અપીલ : લમ્પી વાયરસનો અકસીર ઇલાજ પૂ. લાલબાપુએ સૂચવ્યો લમ્પી વાયરસનો અકસીર ઇલાજ પૂ. લાલબાપુએ સૂચવ્યો
રાજકોટ તા. ૯ ઃ ઉપલેટા પાસે ગધેથડ ખાતે ભવ્ય - દિવ્ય ગાયત્રી આશ્રમનું નિર્માણ કરાવીને પૂર્ણ સાદગીથી ૫૦ વર્ષથી ગાયત્રી મંત્રની સાધનામાં ઓતપ્રોત પૂ. લાલબાપુએ ગૌ માતાના સ્વાસ્થ્ય માટે ૨૪ લાખ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન શરૃ કર્યું છે.
તાજેતરમાં ગૌ માતામાં લમ્પી વાયરસનો રોગ ફેલાયો છે. ગૌ વંશના મૃત્યુ થઇ રહ્યા છે. ગાય સનાતન પરંપરાનો દિવ્ય જીવ છે. તેમાં ૩૩ કરોડ દેવતાઓનો વાસ હોવાનું શાસ્ત્રમાં નોંધ છે. ગાયને સ્વાસ્થ્ય, સમૃધ્ધિ અને સાધના માટે શ્રેષ્ઠત્તમ માનવામાં આવે છે. પૂ. લાલબાપુ કહે છે કે, ગૌ વંશને બચાવવો એ આપણી પ્રથમ ફરજ છે. આ માટે વિશેષ પ્રકારના લાડુ સૂચવ્યા છે તે અકસીર છે. આ સાથે દૈવીકૃપા મેળવવા મંત્રજાપ પણ જરૃરી છે.
પૂ. લાલબાપુ એ ગૌ વંશની રક્ષા માટે ૨૪ લાખ ગાયત્રી મંત્રોનું અનુષ્ઠાન શરૃ કરી દીધું છે. આ સાથે અપીલ કરી છે કે, દરેક વ્યકિત પોતાના ઇષ્ટ દેવ-દેવીના મંત્રોનો જાપ ગૌ માતાના લાભાર્થે કરે. આ અપીલને પણ ભરપૂર પ્રતિસાદ મળી રહ્યો છે.
પૂ. લાલબાપુ ગાયત્રી આશ્રમમાં સતત મંત્રમય જીવન પસાર કરે છે. આ આશ્રમ દ્વારા જીવ માત્રના કલ્યાણ માટે સેવા અને સાધના થાય છે, તેમ ગાયત્રી આશ્રમ સેવા સમિતિ વતી સુખદેવસિંહ વાળા ૯૦૯૯૪ ૦૫૦૪૦, ૬૩૫૫૯ ૬૮૮૩૫ની યાદીમાં જણાવાયું છે. (૨૧.૩૪)
ગૌમાતા માટે હળદરના લાડુ બનાવવાની રીત
૨૦ ગાય માતાઓ માટે લમ્પી રોગનો દેશી ઉપચાર જેમાં ૧ કિલો હળદર, ૧ કિલો ઘી, ૫૦૦ ગ્રામ સાકરનો ભુકો, ૫૦૦ ગ્રામ કાળા મરીનો ભુકો આ બધી જ વસ્તુઓને મીકસ કરી લાડુ બનાવી સવારે તથા સાંજે ત્રણ દિવસ ઘઉંની રોટલી સાથે આપવાની, જો ગાયને વધારે તકલીફ હોય તો આ લાડુ ઘઉંની રોટલી સાથે પાંચ દિવસ આપવા. ફટકડી તથા કપુરના પાણીનો છંટકાવ ત્રણ દિવસ સુધી સવાર, બપોર, સાંજ તથા રાત્રે એમ ચાર વખત ગાયના શરીર ઉપર કરવો. ગોળનું પાણી ત્રણ દિવસ સુધી રોજ સવારે એક વાર પીવડાવવું.