ત્રંબા મોહનધામ આશ્રમ ખાતે અતિરૂદ્ર મહાયજ્ઞ મહોત્સવથી રચાયો ધાર્મિક ઇતિહાસ
યજ્ઞ દરમ્યાન ૨૬ લાખ મંત્ર તેમજ ૧૧ હજાર કિલો દ્રવ્ય સાથે આહુતિ અપાઈ તો હજારોની સંખ્યા પરિક્રમા કરાઈ મીની કુંભ મેળા જેવો માહોલ સર્જાયો
રાજકોટઃ પૂજ્ય સંત શ્રી શામળાબાપાની અસીમ કળપા થી અને પૂજ્ય મોહનબાપાની પ્રેરણા અને આશીર્વાદથી વિશ્વ કલ્યાણ અર્થે જીવમાત્રની ઉન્નતિના શુભ ભાવે રાજકોટ ત્રંબા મોહનધામ આશ્રમે શરૂ કરવામાં આવેલ પંચ દિવસીય અતિરૂદ્ર મહાયજ્ઞ બાપા સીતારામના નાદ સાથે નીરવિઘ્ન પૂજ્ય બાપાના સાનિધ્ય મા દિવ્ય વાતાવરણ વચ્ચે પુર્ણાહુતી કરવામાં આવેલ.
આ શુભસંકલ્પ અને સર્વ જન હિતાય અને સર્વજન સુખાયની ભાવનાથી શરૂ કરવામાં આવેલ યજ્ઞમા પહેલે થી જ લોકોનો ઉત્સાહ અદભુત જોવા મળી રહ્યો હતો આ યજ્ઞમાં વાત કરીયે તો દ્વારકાના વિદ્વાન ગુગળી બ્રાહ્મણ દ્વારા ઉચ્ચારેલ ૨૬,૦૦,૦૦૦ લાખ મંત્રોની આહુતિ દિવ્ય આધ્યાત્મિક વાતાવરણ મા યજમાન દ્વારા આપવામાં આવેલ હતી તો આ યજ્ઞમાં અલગ અલગ ૩૬ જાતના દ્રવ્ય સાથે ૧૧,૦૦૦ કિલો જેટલાં દ્રવ્યની આહુતિ આ પંચ દિવસીય ૧૨૧ કુંડી હોમાત્મક યજ્ઞ મા દિવસ ના આશરે ૧૨ કલાક સુધી પાંચ દિવસ સુધી આપવામાં આવેલ તેવી માહિતી યજ્ઞના આચાર્ય પદેથી પ્રાપ્ત થયેલ.
આ યજ્ઞના દર્શનનો મહાપ્રસાદનો વધુમાં વધુ લોકો લાભ લીધો હતો. પરિક્રમાં લોકો દ્વારા કરાતા એક સમયે આશ્રમ અને આશ્રમની બહાર મીની કુંભ મેળા જેવુ વાતાવરણ જેવુ દિવ્ય દ્રશ્ય જોવા મળ્યું હતું. આ સમયે ભક્તજનોને કોઈ તકલીફના પડે તે હેતુસર દર્શન, મહાપ્રસાદ, ચા પાણી, મેડિકલ સેવા પૂરી પાડવામાં આવી હતી.
આખરે આ પંચદિવસીય હોમાત્મક યજ્ઞની પુર્ણાહુતી પ્રસંગે પૂજ્ય બાપાના સાનિધ્યમાં બીડું હોમાતા અને યજ્ઞની આહુતિ સાથેનો આ દિવ્ય લાભ દરેક યજમાનને મળતા સૌ ભાવ વિભોર બન્યા હતા. બાપા સીતારામનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને આ પ્રસંગે ધ્વાજાજીનું પણ સુંદર આયોજન કરવામાં આવેલ.આ પ્રસંગે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે પણ ધર્મલાભ લીધો હતો. મોહનધામ આશ્રમ વતી ભાવેશભાઈ માધાણીએ સૌનો આભાર વ્યકત કરેલ.