પરપ્રાંતિય ભાડૂઆત અને કર્મચારીઓ અંગે પોલીસને જાણ ન કરનારા ર૪ જણા સામે ગુન્હો નોંધાયો
રાજકોટ તા. ૭ : શહેરના ઇન્દીરા સર્કલ પાસે રોયલ પાર્કમાં ‘માતોશ્રી' નામના બંગલામાં કામ કરતા નેપાળી ચોકીદારે સાગ્રીત સાથે મળીને બાંધકામના જાણીતા ધંધાર્થીઓ ઘરમાં તેના પુત્રને બંધક બનાવી છરી બતાવી ૩પ લાખની લૂંટના બનાવના પગલે પોલીસ કમિશ્નરની સુચનાથી શહેરમાં પરપ્રાંતિય ભાડુઆત અને કર્મચારીઓ અંગેની પોલીસને જાણ ન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારમાં કામની તલાશમાં બીજા રાજયોમાંથી આવતા પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપી મકાન માલીકે પોલીસ મથકમાં તેની જાણ કરવા અંગેના પોલીસ કમીશ્નરના જાહેરનામા અનુસંધાને ગઇકાલે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં મકાન તેમજ રેસ્ટોરન્ટ અને હોટલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં માલવીયાનગર પોલીસે ચંદ્રેશનગર રોડ પર હરીઓમ ઢોસાના સંચાલક અપ્યાકનું વડીયેલ ઉડીયલ, લક્ષ્મીનગર ચોક પાસે પટેલ ચાઇનીઝ, પંજાબીના સંચાલક હર્ષિત રસીકભાઇ હાંસલીયા, સહિત ૧૦ રેસ્ટોરન્ટના સંચાલકો તેમજ એ ડીવીઝન પોલીસે ત્રણ મકાન માલીકો સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.