રાજકોટથી મોરબી હેલીકોપ્ટરમાં મુસાફરી
મોરબી તા. ૭ : મોરબી ઓદ્યોગિક રીતે વિકસિત જીલ્લો બન્યા છતાં રેલ્વે તંત્ર મોરબીને લાંબા અંતરની ટ્રેનની સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. તો અગાઉ હતી તે ફલાઈટની સુવિધા પણ છીનવાઈ ચુકી છે. ત્રણેક વર્ષ પૂર્વે અગાઉ રાજપર પાસે જયાં રાજાશાહી વખતમાં એરોડ્રામ હતું તે સ્થળે એરપોર્ટ બનાવવા સરકારે કાગળ પર પ્લાન તૈયાર કર્યા બાદ આ પ્લાન હજુ કાગળ પર જ જોવા મળી રહ્યો છે.
આમ મોરબીના ઉદ્યોગપતિઓ, નાગરિકોને હવાઈ સેવાનો લાભ આપવામાં સરકાર ભલે નિષ્ફળ રહી હોય છતાં ખાનગી સર્વિસ સેકટર મોરબી રાજકોટ વચ્ચે હવાઈ સેવાની જરૂરીયાતને સારી રીતે સમજતું હોય તેમ મોરબી અને રાજકોટ વચ્ચે હેલીકોપ્ટર સેવા શરૂ થવાની છે. T 3 AIR નામની કંપની દ્વારા સપનો કી ઉડાન સ્લોગન હેઠળ આ સેવા શરુ થવાની છે. રાજકોટના યોગેશ પુજારાએ અગાઉ રાજકોટથી વિવિધ યાત્રાધામની હેલીકોપ્ટર સેવાઓ શરૂ કરી છે.
હવે રાજકોટ મોરબી વચ્ચે હેલીકોપ્ટર સેવા શરૂ થવા જઈ રહી છે જેની સંભવિત પ્રથમ ઉડાન આગામી તા. ૧૮ ના રોજ રાજકોટના TGB કાલાવડ રોડ પરથી ઉડાન ભરશે જે મોરબીના સર્કીટ હાઉસ નજીકના હેલીપેડ પર ઉતરાણ કરશે જેમાં વનવે ત્રીપના ૨૯૯૦ થી શરૂ અને રાઉન્ડ ટ્રીપ સેવા ૪૯૯૦ થી શરૂ થશે.