સામૂહિક ધ્યાનથી જાગતી ઉર્જા ખૂબ લાભદાયીઃ માં ધ્યાન આભા
કાલથી વાગુદડ - પ્રકૃતિના સાનિધ્યમાં ઓશો ધ્યાન-સાધના શિબિર : તનાવભર્યો માહોલ છે, તનાવ-મુકત થવા ચિલ્લાવ, નાચો, ખૂબ હસો... શિબિરમાં એકટીવ-ઇનએકટીવ મેડિટેશન-સૂફી ડાન્સના વિશિષ્ટ પ્રયોગો થશે
'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે માં ધ્યાન આભાજી,સ્વામી સત્યપ્રકાશજી, જીવન અર્ચનજી, સંજય સરસ્વતીજી, સ્વામી પ્રેમ સ્વભાવજી અને માં પ્રેમ રસીલીજી નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા.૭: ગ્રુપ મેડિટેશનનું અલગ મહત્વ છે. સામૂહિક ધ્યાન પ્રયોગમાં વિશિષ્ટ ઉર્જાનો સંચાર થાય છે અને એ ઉર્જા સાધકને ઉપયોગી બને છે.
આ શબ્દોમાં ધ્યાન આભાના છે. હિમાચલ પ્રદેશમાં સિમલા પાસે ઓશો આશ્રમ નિર્માણ કરનારમાં ધ્યાન આભાજી આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યા હતા. વાગુદડ ઓશો વાટિકા ખાતે આવતી કાલથી આભાજીના સાનિધ્યમાં ઓશો ધ્યાન-સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
આભાજી કહે છે કે, ધ્યાન એકાંતમાં પણ થઇ શકે છે, પરંતુ ધ્યાનાવસ્થાના પ્રારંભિકકાળમાં સામૂહિક ધ્યાનથી ઉઠતી ઉર્જા સાધકને વધારે ઉપયોગી બને છે ગહેરાઇમાં જતા સાધકોએ પણ કયારેક કયારેક સામૂહિક ધ્યાનની ઉર્જાનો લાભ લેવા જોઇએ. આ માટે ધ્યાન-સાધના શિબિરોના આયોજનો કરવામાં આવે છે.
આભામાં કથ્થક અને સૂફી નૃત્યના પણ સાધક છે તેઓ કહે છે કે સૂફી પ્રેમભકિતનો માર્ગ છે. ઓશોએ પણ નૃત્યને મહત્વ આપ્યું છે આવડે કે ન આવડે દરેક માણસો નાચવું જોઇએ. નૃત્યથી તનાવ દૂર થાય છે અને નૃત્યની ગહેરાઇમાં જઇ શકાય તો પરમનો સાક્ષાત્કાર પણ થઇ શકે છે.
માં ધ્યાન આભાજી દેશભરમાં ઓશો શિબિરો કરે છે. તેઓ કહે છે કે, શિબિરોથી સાધકોની ભ્રાંતિઓ તૂટે છે અને પરમના અહેસાસ તરફ પ્રયાણ થાય છે. યુવાવર્ગ વિશે આભાજી કહે છે કે, ઓશોએ મજેદાર ધ્યાનવિધિઓ આપી છે યુવા વર્ગ માટે આ વિધિઓ ખૂબ ઉપયોગી નીવડે તેમ છે આ ઉપરાંત ઓશોનું સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ છે ઓશોએ દરેક વિષયો-સમસ્યાઓ પર પ્રવચનો આપ્યા છે, તેને વાંચો-સાંભળો. નેટ પર પણ સાહિત્ય ઉપલબ્ધ છે.
આભાજીએ બાળપણમાં ઓશોના દર્શન કર્યા હતા. તેઓ કહે છે કે ત્યારે હું માત્ર આઠ વર્ષની હતી, પરંતુ એ દ્રશ્ય હું કયારેય ભૂલી નહિ શકું માં આભાજીને નૃત્ય-ધ્યાન દરમિયાન થયેલા અલૌકિક અનુભવોની પણ ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી.
આભાજીએ માધવપુરના પૂ.બ્રહ્મવેદાંતજીની સરાહના કરીને કહ્યું હતું કે, હું ગુજરાત આવુ ત્યારે અચૂક તેમની ઉર્જા લેવા જઉંઙ્ગ છું.
ઓશોના પ્રખર સન્યાસી એવા મા ધ્યાન આભા અને સ્વામી અંતર જગદીશજી આજે રાજકોટ આવ્યા છે, તેઓના સાનિધ્યમાં આવતી કાલથી ઓશો ધ્યાન સાધના શિબિર યોજાયેલ છે. મા ધ્યાન આભા અને જગદીશજી સાધના કરાવશે.
ગુરૂવારથી ઓશો વાટીકા, બાલાજી વેફર્સ સામે, કાલાવડ રોડ ખાતે ચાર દિવસીય ઓશો ધ્યાન સાધના શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ શિબિરમાં માં ધ્યાન આભા તથા સ્વામી અંતર જગદીશજી ખાસ ઉપસ્થિત રહેશે અને સંચાલન કરશે. શિબિરનું તા.૮ના રોજ સાંજે ૬ વાગ્યે ઉદ્દઘાટન કરવામાં આવશે. જયારે તા.૧૧ના રોજ બપોરે ૧:૩૦ કલાકે સમાપન થશે.
શિબિરની વધુ માહિતી માટે ૯૮૯૮૯ ૮૦૪૪૦ તથા ૯૯૭૮૪ ૮૦૮૨૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.(૧.૨૦)