છાંટાથી જીરાને નુકશાનઃ ઘઉં, ચણા બજારમાં આવવા લાગ્યા
બદલાયેલા હવામાનથી ખેડુતો ચિંતામાં: વાતાવરણ માણસની જેમ ખેતી માટે પણ પ્રતિકુળ
રાજકોટ, તા., ૬: સૌરાષ્ટ્રમાં એકાએક વાતાવરણ પલ્ટાતા શિયાળુ પાકનું વાવેતર કરનાર ખેડુતો ચિંતામાં મુકાયેલ છે. ગઇકાલે જયાં વરસાદી છાંટા પડેલ ત્યાં જીરૂના ઉભા પાકને નુકશાન થયું છે. હજુ વાતાવરણ ડહોળાયેલું હોવાથી જો વધુ છાંટા પડે તો જીરૂને વધુ નુકશાન થશે. જીરૂનો પાક તૈયાર થવાની તૈયારીમાં છે તેવા ટાણે જ વરસાદી છાંટાથી જીરૂ સુકાઇ શકે છે.
કુદરતી વાતાવરણ મનુષ્ય માટે પ્રતિકુળ છે તે રીતે વાવેતર માટે પણ પ્રતિકુળ છે. એક તરફ પોષણક્ષમ ભાવ માટે ખેડુતો સતત ચિંતામાં હોય છે. બીજી તરફ હવામાને પણ ચિંતામાં વૃધ્ધિ કરાવી છે.
ઘઉં, ચણા વગેરેનો પાક તૈયાર થઇ ગયો છે. બન્ને પાક બજારમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. અમુક ખેડુતોનો ઉનાળુ પાક હવે ટુંક સમયમાં બજારમાં આવશે. ખેડુતોએ આ વખતે બે પાક લીધા છે. જયાં નર્મદા આધારીત સિંચાઇની વ્યવસ્થા છે ત્યાં આ વખતે ઉનાળામાં પાણી પુરૂ પાડવા બાબતે સરકારે હાથ ઉંચા કરી દીધા છે. (૪.૬)