રૈયા રોડ ઉપર પટેલ પરિવારની પુત્રવધુના આપઘાત કેસમાં આગોતરા જામીન મંજુર
રાજકોટ,તા.૪ : રાજકોટના રૈયા રોડ પર શ્રીમંત પટેલ પરીવારની પુત્રવધુ મિતલ સાકરીયાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા નોંધાયેલ ફરીયાદના કામે સાસુ પ્રભાબેન સાકરીયાના આગોતરા જામીન સેશન્સ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલ છે.
આ કેસની હકીકત એવી છે કે, તા.ર૩/૦૮/ર૦રર ના રોજ રૈયારોડ દર્શનપાર્કમાં રહેતી પટેલ પરણીતાએ પોતાના સાસરે પંખે લટકી જઈ આપધાત કરેલ હતો જે સંબધે મરણજનારના ભાઈએ (૧) યોગેશભાઈ ભીખાભાઈ સાકરીયા (પતી) તથા (ર) પ્રભાબેન સાકરીયા (સાસુ) વિરૂઘ્ધ કરેલ ફરીયાદમાં એવા આક્ષેપો કરેલ કે, લગ્ન બાદથી આરોપીઓ તેમની બહેન મિતલને શારીરીક માનસીક ત્રાસ આપી ફરીયાદીની બહેનને નાની નાની વાતોમાં મેણા ટોણા મારી તારા બાપના ઘરેથી કોઈ સંસ્કાર લાવેલ નથી, તારા બાપે કંઈ શીખડાવેલ નથી તેમ કહી શારીરીક-માનસીક ત્રાસ આપતા હોય જે દુઃખત્રાસના કારણે બનાવના એકાદ માસ અગાઉ મરણજનારને તેના પિતાના ઘરે લઈ જઈ તેના પિયરીયાઓની હાજરીમાં ગાળો આપી અને ગમે ત્યાં કુવામાં કે ડેમમાં પડીને મરી જજે પણ હવે મારા ઘરે પાછી આવતી નહી મને બીજી સતર મળી જશે તેમ કહી આત્મહત્યા કરવા માટેના સંજોગો ઉભા કરતા મિતલે તા. ર૩/૦૮/ર૦રર ના મોડી રાત્રીના પંખા સાથે દુપટેથી ગળાફાંસો ખાઈ આપધાત કરી લેતા આરોપીઓએ ફરીયાદીની બહેનને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી આપધાત કરવા માટેનું દુષ્પ્રેરણ કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ આપઘાત કરવા ફરજ પાડવાની ફરીયાદ નોંધાવેલ હતી.
આરોપીઓ વિરુઘ્ધ પોલીસમાં ફરીયાદ થતાં ગુજરનારના સાસુએ તેમની ધરપકડથી રક્ષણ મેળવવા તેમના એડવોકેટશ્રી તુષાર ગોકાણી મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલ હતી.
સેશન્સ કોર્ટ દ્વારા બન્ને પક્ષોની વિસ્તત દલીલો સાંભળી તેમજ આરોપીઓ પક્ષે રજૂ થયેલ ચૂકાદાઓ તથા દલીલો માન્ય રાખી પોતાના ચુકાદામાં નોંઘ્યુ હતુ કે, મરણજનારને તેણીના સાસુએ એટલે કે અરજદારે કયારેય કોઈ દુઃખત્રાસ આપેલ હોય તેવો પુરાવો પોલીસ પેપરમાં મોજુદ નથી તેમજ સ્યુસાઈડ નોટ ઘ્યાને લેતા પણ અરજદાર (સાસુ)એ કોઈ શારીરીક-માનસીક દુઃખત્રાસ આપેલ હોય તેવુ ફલીત થતુ ન હોય ત્યારે અરજદાર તરફે રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટના ૧૧ ચુકાદાઓ કેસને સીધા લાગુ પડતા હોવાનુ ઠરાવી અરજદાર પ્રભાબેન સાકરીયાને પોલીસ તપાસમાં સહકાર આપવાનું જણાવી આગોતરા જામીનનું રક્ષણ આપતો હુકમ કરેલ હતો.
આ કામમાં આરોપી વતી ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, ધર્મેશ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, ઈશાન ભટ્ટ, વિરમ ધ્રાંગીયા,નદીમ ધંધુકીયા રોકાયેલ હતા.D