શાસ્ત્રી મેદાનની ફૂટપાથ અને રૈયા ચોકડી નજીક અજાણ્યા યુવાન અને મહિલાના મોત
બિમારી અને ઠંડીને કારણે મૃત્યુ થયાની શકયતાઃ મહિલાની ઓળખ થઇ-પડધરીના દેવીપૂજક મહિલા ત્રણેક દિવસથી ભીક્ષાવૃતિ કરવા માટે આવ્યા'તા
રાજકોટ તા. ૪: શાસ્ત્રીમેદાન પાસેની ફૂટપાથ પર આશરે ૩૫ વર્ષના યુવાનની લાશ મળી છે. જ્યારે રૈયા ચોકડી બાપા સિતારામ ચોક નજીક ફૂટપાથ પરથી પણ એક મહિલાની લાશ મળી હતી. આ બંનેના બિમારી અને ઠંડીથી મોત થયાનું તારણ છે. જેમાં મહિલાની ઓળખ થઇ ચુકી છે.
શાસ્ત્રી મેદાનની ફૂટપાથ પર અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી જયદિપભાઇએ જાહેર કરતાં એ-ડિવીઝનના એએસઆઇ ડી.બી. ખેર અને પરષોત્તમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન રખડતું જીવન જીવતો હોવાનું અને બિમાર હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. તસ્વીરમાં દેખાતા આ યુવાનના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
બીજા બનાવમાં રૈયા ચોકડી નજીક ફૂટપાથ પર એક મહિલા બેભાન થઇ જતાં તેની બાજુમાં જ રહેતી સોનાબેન દિનેશ દેવીપૂજક નામની મહિલાએ તેણીને સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. પણ તેનું મોત નિપજ્યાનું જાહેર થયું હતું. મૃતક મહિલા પડધરીના રેશમબેન રમેશભાઇ દેવીપૂજક (ઉ.૫૦) હોવાનું ખુલ્યું હતું. તેને સંતાનમાં એક પુત્ર હીરૂભાઇ અને એક પુત્રી છે. પુત્ર હીરૂભાઇ પડધરી રહે છે. તે બહારગામ ગયો હોઇ જેથી તેના માતા રાજકોટ ત્રણેક દિવસ પહેલા આવ્યા હતાં અને સોનાબેન સાથે ફૂટપાથ પર રહી માંગીને ગુજરાન ચલાવતાં હતાં. તેને શ્વાસની બિમારી હતી.