રાજકોટ
News of Wednesday, 3rd January 2018

મારવાડી કોલેજને નેક દ્વારા A+ ગ્રેડનો દરજ્જો

ગુજરાતની ૪૦૦થી વધુ કોલેજોમાં 'એ' પ્લસ ગ્રેડ મેળવવાનું બહુમાન મેળવતી મારવાડી કોલેજઃ પત્રકાર પરિષદમાં માહિતી આપતા ડાયરેકટર પ્રો. કોસ્ટા

રાજકોટઃ મારવાડી કોલેજને નેક કમિટિ દ્વારા 'એ'-પ્લસ ગ્રેડ આપવામાં આવ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં પત્રકાર પરિષદમાં માહિતી આપતા પ્રો. યોગેશ્વર કોસ્ટા અને રજીસ્ટ્રાર જાડેજા, ડીન આર.બી. જાડેજા અને અન્ય ફેકલ્ટી મેમ્બર નજરે પડે છે(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૩ :. તાજેતરમાં એનએએસી પીઅર ટીમ દ્વારા મારવાડી કોલેજ રાજકોટ ખાતે મુલાકાત લેવાયેલ. એનએએસી દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનુ મૂલ્યાંકન કર્યુ હતું. ભારતની યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અને એમએચઆરડીના નેતૃત્વ હેઠળ ચાલતી સ્વાયત સંસ્થા છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા પર વિશેષ ભાર આપવાના હેતુથી એનએએસીની સ્થાપના કરવામાં આવી છે. એનએએસીની માન્યતા મળવાથી સંસ્થાની સર્વાંગી કાર્યપ્રણાલી અને શૈક્ષણિક ક્ષમતાની ગુણવત્તા નક્કી થાય છે અને માન્યતા આપતા પહેલા એનએએસી દ્વારા વિવિધ ૭ પ્રકારના માપદંડોમાં સંસ્થાનું ઉંડાણપૂર્વકનું અને ઝીણવટ ભર્યુ મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં શિક્ષણ પદ્ધતિ, અધ્યયન-શિક્ષણ અને મૂલ્યાંકન, સંશોધન, નવીનીકરણઅને વિસ્તરણ, ઈન્ફ્રાસ્ટ્રકચર અને લર્નિંગ રિસોર્સ, સ્ટુડન્ટ સપોર્ટ અને પ્રોગ્રેશન, ગવર્નન્સ, લીડરશીપ અને મેનેજમેન્ટ, સંસ્થાકીય મૂલ્યો અને શ્રેષ્ઠ પ્રયાસોમાં સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે.

કોઈપણ સંસ્થાને 'એ'પ્લસ ગ્રેડ મળવો એ તેના શ્રેષ્ઠ ગુણવત્તાની નિશાની છે અને મૂલ્યાંકનના દરેક માપદંડ પરે ખરી ઉતરેલી સંસ્થાને જ એ-પ્લસ ગ્રેડ મળે છે. આ માપદંડના ગહન અભ્યાસ અને તેને લગતા દરેક દસ્તાવેજોની ચકાસણી થયા બાદ આ સમિતિ દ્વારા સંસ્થાની રીસર્ચ અને ઈનોવેશન, લેબોરેટરીની ગુણવત્તા, લાયબ્રેરી, ફેકલ્ટી ટ્રેનીંગ માટેના પ્રોગ્રામો, વર્કશોપ, વિદ્યાર્થીઓ માટે લેવામાં આવતી નાનામા નાની કાળજીઓ, વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃતિઓ અવલોકન કરતી હોય છે અને આ પ્રક્રિયા દરમ્યાન તેઓ વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી ફીડ બેક મેળવે છે.

મારવાડી એજ્યુકેશનના ડાયરેકટર ડો. યોગેશ્વર કોસ્ટાએ પત્રકાર પરિષદમાં જણાવ્યા મુજબ ૨૦૦૯માં શરૂ થયેલ અને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ભારતમાં આગવું નામ ધરાવતી છે. સંસ્થાના પોતાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેલી છે. નેક પીઅર ટીમ દ્વારા ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને જેમાં દરેક બાબતે સંસ્થા ખરી ઉતરી છે. એનએએસી દ્વારા મારવાડી એજ્યુકેશનને એ-પ્લસ સંસ્થાનો દરજ્જો આપી બહુમાન કરાયું. આ સાથે જ મારવાડી એજ્યુકેશન એ-પ્લસ નો સર્વોચ્ચ ગ્રેડ મેળવતી સંસ્થા બની છે. ગુજરાતની એન્જીનીયરીંગ, એમબીએ, એમસીએની કુલ ૪૦૦થી વધુ કોલેજમાં એ-પ્લસ નો ગ્રેડ મેળવનાર એકમાત્ર કોલેજ છે. જે સંસ્થાના તમામ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે.

પ્રો. કોસ્ટાએ વધુમાં જણાવ્યું છે કે એનએએસીના ગ્રેડથી સંસ્થાની સાથે તે સંસ્થામા ભણતા વિદ્યાર્થીઓ પણ વિશેષ લાભ મેળવી શકે છે. જેમ કે ખાત્રીબદ્ધ અને ગુણવત્તાયુકત શિક્ષણ - જે સંસ્થાને વધુ ગ્રેડ મળેલા હોય તે ઉત્તમ શિક્ષણ ખાતરી આપી શકે છે. કોઈ પણ વિદ્યાર્થીએ સંસ્થામાં એડમીશન લેતા પહેલા તેનો ગ્રેડ અવશ્ય ચકાસવો. ઘણી ટોચની કંપનીઓ તેમના પ્લેસમેન્ટ માટે ફકત એનએએસી માન્યતા પ્રાપ્ત સંસ્થાને જ પસંદ કરે છે અને પરિણામે કેમ્પસમાં આવનારી કંપનીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે અને વિદ્યાર્થીઓને કારકિર્દી માટે નામાંકિત કંપનીઓમાં જોબ માટેની પર્યાપ્ત તકો ઉપલબ્ધ થાય છે. જ્યારે વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશની યુનિવર્સિટીમાં અરજી કરે ત્યારે વિદેશની યુનિવર્સિટી વિદ્યાર્થી જે સંસ્થાના ભણ્યો તે સંસ્થાના ગ્રેડ પર ધ્યાન આપતી હોય છે અને જે સંસ્થાનો ગ્રેડ વધારે હોય તેમ એડમીશન મળવાની વધુ તક મળે છે.

આ પ્રસંગે મારવાડી એજ્યુકેશનના કો-ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાના જણાવ્યા મુજબ સંસ્થાને એનાયત થયેલા એનએએસીના મૂલ્યાંકનમાં મારવાડી કોલેજને એ-પ્લસ સંસ્થાનો દરજ્જો આપવામાં સંસ્થાના દરેક કર્મચારીનો સિંહફાળો નોંધાયેલો છે અને તેઓના અગાધ પ્રયત્નોને બિરદાવી દરેકને અભિનંદન પાઠવેલ છે.(૨-૧૫)

(4:05 pm IST)