ઢેબર રોડ વન-વે મુકત : હવે ફોર વ્હીલરો આવ-જા કરી શકશે : મેયર
બસ સ્ટેન્ડને કારણે વન-વે કરાવેલ હવે તેની જરૂર નથી તેવી રજૂઆતને પોલીસ કમિશ્નરે સ્વીકારી જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું : ડો.જૈમન ઉપાધ્યાય
રાજકોટ તા.૩ : મેયર ડો.જૈમન ઉપાધ્યાય આભારની લાગણી સાથે એક યાદીમાં જણાવે છે કે, ઢેબરભાઈ રોડ પર આવેલ બસ સ્ટેસનના કારણે મધુરમ/નાગરિક બેંક ચોકથી ત્રિકોણબાગ તરફ આવવા માટે ફોર વ્હીલરો માટે એકમાર્ગીય જાહેર કરેલ. હાલમાં, ઢેબરભાઈ રોડ પર આવેલ બસ સ્ટેશન પાડી તેની જગ્યાએ નવું અદ્યતન બસસ્ટોપ બનાવવાનું મંજુર થયેલ હોય, જેના અનુસંધાને, ઢેબરભાઈ રોડ પરનું બસ સ્ટેશન બંધ કરી શાસ્ત્રીમેદાનમાં કાર્યરત કરેલ છે. અને હયાત બસ સ્ટેશન બંધ કર્યા બાદ પણ નાગરિક બેંક ચોક તરફ થી ત્રિકોણબાગ તરફ જવાનો રસ્તો ફોર વ્હીલર એકમાર્ગીય તરીકે ચાલુ રાખવામાં આવેલ.
જેના કારણે કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ પર ટ્રાફિકનું પ્રમાણ ખુબ જ રહે છે. તેમજ આ રસ્તો ખુબ જ સાકડો છે. ઉપરાંત આ રસ્તા પર હોટલ, લગ્ન વાડી, દૈનિક પ્રેસ, રહેણાંક તથા કોમર્શીયલ વિસ્તાર છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા ખુબ જ રહેતી. જેથી આ વિસ્તારના લોકો દ્વારા હયાત બસ સ્ટેશન બંધ થયેલ હોય. નાગરિક બેંક ચોક થી ત્રિકોણ બાગ તરફ જવા ફોર વ્હીલરને મુકિત આપવા અવાર નવાર મેયર સમક્ષ રજૂઆત કરવામાં આવેલ. જ અનુસંધાને આ અંગે અમોએ યોગ્ય નિર્ણય કરવા સબંધક વિભાગને રજૂઆત કરવામાં આવેલ હતી.
ઉપરોકત રજુઆતના અનુસંધાને, પોલીસ કમીશ્નર કચેરી દ્વારા ઢેબરભાઈ રોડને એકમાર્ગીય જાહેર કરવામાં આવેલ તે રસ્તા પર ફોર વ્હીલર માટે નવું બસ સ્ટેશન કાર્યરત થાય ત્યાં સુધી અવર જવર કરી શકશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે તે બદલ મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ પોલીસ કમીશ્નર વિભાગ તથા ટ્રાફિક પી.આઈ.નો લાગણી સાથે આભાર વ્યકત કરેલ છે. આમ, આ નિર્ણયથી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ રોડ તથા મીલપરા વિસ્તારમાં રહેતા નાગરીકોના પ્રશ્નોનો અંત આવેલ છે. અને વિસ્તારના લોકોએ પણ આ નિર્ણયને આવકારેલ છે.