રાજકોટ
News of Thursday, 2nd February 2023

ગંજીવાડામાં વિધવા માતાના આધારસ્‍તંભ ૨૧ વર્ષના જયેશે ખાઇ જિંદગી ટૂંકાવી

કારીગર જમવા ગયા બાદ પગલુ ભર્યુઃ કારણ અકળઃ અગાઉ પિતા-ભાઇના અકસ્‍માતમાં મૃત્‍યુ થયા હતાં અને બે બહેનોએ આપઘાત કરી લીધો હતો

રાજકોટ તા. ૨: ગંજીવાડા શેરી નં. ૪૦માં રહેતાં જયેશ ધીરૂભાઇ સાપરા (ઉ.વ.૨૧) નામના યુવાને બપોરે ઘરમાં પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર જયેશ માતા સવિતાબેન સાથે રહેતો હતો અને ઘરે બેઠા વેક્‍સનું કામ કરતો હતો. તેના પિતા હયાત નથી, અગાઉ એક ભાઇનું અકસ્‍માતમાં મૃત્‍યુ થયું હતું. બપોરે કારીગર સાગર જમવા માટે નીકળ્‍યો એ પછી જયેશે આ પગલુ ભરી લીધું હતું. કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

આપઘાત કરનાર યુવાનના પિતા અને ભાઇના અગાઉ અકસ્‍માતમાં મોત નિપજ્‍યા હતાં. જ્‍યારે બે બહેનોએ પણ અગાઉ આપઘાત કર્યો હતો. માતા બહાર કામ કરવા ગયા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

(4:01 pm IST)