લોધીકા નજીક ટ્રકે બાઇકને ઉલાળતાં મેટોડાના રોહિત અને હસમુખભાઇનું મોતઃ વિપુલને ઇજા
નિકાવાથી જમીને પરત આવતી વખતે બનાવઃ કોળી અને બ્રાહ્મણ પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૧: લોધીકા નજીક ગાર્ડી કોલેજ પાસે રાત્રીના ત્રણ સવારીવાળા બાઇકને ટ્રકે ઉલાળી દેતાં મેટોડા જીઆઇડીસીમાં રહેતાં કોળી યુવાન અને બ્રાહ્મણ આધેડના મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય એક કોળી યુવાનને ઇજા પહોંચી હતી. ત્રણેય નિકાવાથી જમીને પરત આવી રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ મેટોડા જીઆઇડીસી ગેઇટ-૨ અંદર શ્રીનાથજી પાર્કમાં રહેતો અને બકાલુ વેંચી ગુજરાન ચલાવતો રોહિત રસિકભાઇ જાખેલીયા (કોળી), તથા મિત્ર વિપુલ જેન્તીભાઇ પંચાસરા (કોળી) (ઉ.૨૮) અને હસમુખભાઇ ભાણજીતભાઇ મહેતા (બ્રાહ્મણ) (ઉ.૪૫) એમ ત્રણેય જણા ગત રાતે બાઇક પર બેસી નિકાવા ખાતે જમવા ગયા હતાં. રાત્રે પરત રાજકોટ આવતી વખતે ગાર્ડી કોલેજ નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતાં ત્રણેય ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
પરંતુ અહિ રોહિત અને હસમુખભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ લોધીકા પોલીસને જાણ કરતાં એએસઆઇ મુસ્તાકભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર રોહિત બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને કારખાનામાં કામ કરવા સાથે બકાલુ વેંચતો હતો. સંતાનમાં એક પુત્ર છે. તેના વિકલાંગ ભાઇનું અગાઉ અવસાન થયું હતું. રોહિતને સંતાનમાં એક પુત્ર છે. હસમુખભાઇ કારખાનામાં કામ કરતાં હતાં. ત્રણેય મિત્રો જમીને આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં બે મિત્રોના મોત થયા હતાં. જ્યારે વિપુલને પગમાં ત્રણ ફ્રેકચર થઇ ગયા છે.