રેલનગરના જયેશભાઇ કારીયાએ દવા પી જીવ દીધોઃ આર્થિક ટેન્શન કારણભુત
રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાંઃ બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી
રાજકોટ તા. ૧ઃ રેલનગર મહર્ષિ દયાનંદ અરવિંદ ટાઉનશીપમાં રહેતાં જયેશભાઇ કિશોરભાઇ કારીયા (ઉ.વ.૪૫)એ રાત્રીના બિમારીની વધુ પડતી દવાઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં. અહિ બપોરે તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગરમાં કરતાં એએસઆઇ કનુભાઇ માલવીયા અને રામજીભાઇ પટેલે જરૃરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જયેશભાઇ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પરિવારજનોએ પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે જયેશભાઇ આર્થિક રીતે ટેન્શનમાં હતાં. કદાચ કોઇ પાસેથી વ્યાજે નાણા લીધા હતાં. પણ કોની પાસેથી કેટલા લીધા હતાં? તેની વાત ઘરમાં કરી નહોતી. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.