Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

જલારામ સોસાયટીમાં કોલેજીયન છાત્રા હેતલ ખાંટનો ગળાફાંસો ખાઇ આપઘાત

માતા-પિતા જુનાગઢ ગયા'તાઃ બપોરે દાદા ટ્યુશનમાં જવાનો સમય થતાં ઉઠાડવા ગયા ત્યારે લટકતી મળી

રાજકોટ તા. ૧૮: મવડી ચોકડી નજીક ઓમનગર પાસે જલારામ સોસાયટીમાં રહેતી કોલેજીયન છાત્રા ખાંટ યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જલારામ સોસાયટી-૧માં રહેતી હેતલ મનસુખભાઇ ગુજરાતી (ઉ.૨૦) નામની ખાંટ રજપૂત યુવતિએ ઘરના રૂમમાં પંખાના પાઇપમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી ક્રિષ્નાબેને તપાસ કરી હેતલ મૃત્યુ પામ્યાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ઇન્ચાર્જ જે. કે. જાડેજાએ તાલુકા પોલીસને વાકેફ કરતાં એએસઆઇ ડી.વી. ખાંભલા તપાસાર્થે દોડી ગયા હતાં.

પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. તપાસનીશ શ્રી ખાંબલાના કહેવા મુજબ આપઘાત કરનાર હેતલ એક ભાઇથી મોટી હતી. તેના પિતા મનસુખભાઇ ગુજરાતી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. ગઇકાલે પિતા અને માતા જુનાગઢ પાસેના ભેંસાણ ગામે કોઇ કામ સબબ ગયા હતાં. સાંજે ટ્યુશનનો ટાઇમ થયો છતાં હેતલ રૂમમાંથી બહાર ન આવતાં દાદા તેણીને ઉઠાડવા ગયા ત્યારે ખખડાવવા છતાં દરવાજો નહિ ખોલાતાં તપાસ કરતાં તેણીએ ફાંસો ખાઇ લીધાની જાણ થઇ હતી.

હેતલના પિતાએ કહ્યું હતું કે દિકરી ક્રાઇસ્ટ કોલેજમાં એસવાય બીકોમમાં અભ્યાસ કરતી હતી. છેલ્લી પરિક્ષામાં તેણીને એટીકેટી આવી હતી. કદાચ આ કારણે તે ચિંતામાં હોવાથી આ પગલું ભર્યુ હશે. એ સિવાય બીજી કોઇ કારણ હતું નહિ. પોલીસે તપાસ યથાવત રાખી છે. યુવાન અને આશાસ્પદ એકની એક દિકરીના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(2:56 pm IST)