Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

જયેશ પટેલ ગેંગના 'બાહુબલી' સાગ્રીતો જાડેજા બંધુઓની ૧ર દિવસની રીમાન્ડ મંજુર

જામનગરમાં વેપારી-બિલ્ડરોને ધાકધમકી આપી મિલ્કતો પડાવી લેવાના ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલ : આરોપીઓ દ્વારા સાક્ષીઓને ધાક-ધમકી અપાઇ તેવી દહેશતના આધારે જામનગર જેલમાંથી સુરત-બરોડા-અમદાવાદની જેલમાં ટ્રાન્સફર કરવા અરજીઃ મુકેશ અભંગી સહીતના છ આરોપીઓની રીમાન્ડ પુરી થતા જેલહવાલે કરાયાઃ રાજકોટની સ્પે. કોર્ટના જજ શ્રી આર.એલ.ઠક્કરની કોર્ટનો ચુકાદોઃ સ્પે. પી.પી.સંજયભાઇ વોરાની દલીલો સ્વીકારી કોર્ટે ૧ર દિવસના રીમાન્ડ આપ્યા

રાજકોટઃ જામનગરના બહુચર્ચીત ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલા જયેશ પટેલ ગેંગના ગઇકાલે પકડાયેલા બે આરોપીઓ જશપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને આજે રાજકોટની સ્પે. કોર્ટમાં ર૦ દિવસની રીમાન્ડ માંગણી સાથે પોલીસે કોર્ટમાં રજુ કર્યા હતા. તેમજ અન્ય છ આરોપીઓની રીમાન્ડ પુરી થતી હોય તેઓને પણ કોર્ટમાં સખ્ત પોલીસ બંદોબસ્ત સાથે રજુ કરાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ, તા., ૨૯ : જામનગર શહેરમાં વેપારીઓ બિલ્ડરોને ધાક-ધમકી આપી જમીન-મકાન સહીતની મિલ્કતો બળજબરીથી પડાવી લેવા અંગેના ગુજસીટોક કાયદા હેઠળ નો઼ધાયેલ ગુનામાં ફરાર થઇ ગયેલા જયેશ પટેલ ગેંગના અગાઉ પકડાયેલા છ આરોપીની આજે રીમાન્ડ પુરી થતા રાજકોટની સ્પે. આજે રજુ કરાતા આ તમામ આરોપી સામે કોર્ટે જેલહવાલે કર્યા હતા.

જયારે આ બનાવમાં પોલીસમાં સામેથી હાજર થયેલા જયેશ પટેલના બાહુબલી સાગ્રીત તરીકે ઓળખાતા જશપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને એચ.ઓ.જી.ના પીઆઇ શ્રી નિનામા અને જામનગરના પોલીસ સુપ્રિ.  અધિક્ષક નિલેષ પાંડેએ રાજકોટની સ્પે. કોર્ટમાં ર૦ દિવસની રીમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા કોર્ટે ૧ર દિવસની રીમાન્ડ મંજુર કરી હતી.

આ બંને આરોપીઓનો રોલ એવો છે કે જયેશ પટેલના નાના ગજાના સભ્યો દ્વારા કોઇ કામ ન પતે ત્યારે આ બંને બાહુબલી આરોપીઓ દ્વારા જમીન-મકાનો ખાલી કરાવી પડાવી લેવાનું કૃત્ય કરતા હતા.

આ કામમાં સ્પે. પી. પી. શ્રી સંજયભાઇ વોરાએ ઉપરોકત બંને બાહુબલી જાડેજા બંધુઓની ર૦ દિવસની પુરી રીમાન્ડ આપવા કોર્ટમાં રજૂઆત કરી જણાવેલ કે, જે ફરીયાદો આરોપીઓ વિરૃધ્ધ નોંધાઇ છે તેમાં આ બન્ને આરોપીઓએ મહત્વનો ભાગ ભજવેલ છે. અને ફરાર જયેશ પટેલના નજીક સાગ્રીતો તેઓ મનાતા હોય જો બંને આરોપીની પુરતી રીમાન્ડ આપવામાં આવે તો વધુ આરોપીઓની સંડોવણી બહાર આવે તેમ હોય બન્ને આરોપીઓની રીમાન્ડ અરજી મંજૂર કરવા દલીલો કરી હતી.

જામનગરના કુખ્યાત ભૂમાફીયા જયેશ પટેલ સામે સકંજો કસવા માટે ગુજસીટોકના કાયદા હેઠળનો સૌપ્રથમ ગુનો નોંધાયા પછી આ પ્રકરણમાં સંડોવાયેલા સાગરીત જશપાલસિંહ જાડેજાનો લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ દ્વારા જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે કબજો લેવામાં આવ્યો છે. સાથોસાથ તેના જ ભાઇ યશપાલસિંહ જાડેજાએ આજે ગુજસીટોકના ગુના હેઠળ પોલીસ સમક્ષ સરન્ડર કર્યુ છે. જેથી બન્ને ભાઇઓની અટકાયત કરી લઇ આગળની કાર્યવાહી હથ ધરાઇ છે.

જામનગર પોલીસ દ્વારા અગાઉ પકડાયેલા અને રીમાન્ડ પર રહેલા અગ્રણી બિલ્ડર નિલેશ ટાત્લિયા સહિતના પાંચ આરોપીઓ કે જેઓ ૧૪ દિવસના રીમાન્ડ પર હતા, તે તમામની રીમાન્ડની મુદત પુરી થતી હોવાથી તેઓને રાજકોટ ગ્રામ્ય કોર્ટમાં રજુ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઉપરાંત આ ગુનામાં કુલ ૧૪ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે પૈકીના એક આરોપી જશપાલસિંહ જાડેજા કે જયેશ પટેલનો સાગરીત મનાય છે તે હાલ જામનગરની જિલ્લા જેલમાં હોવાથી એલસીબીની ટીમ દ્વારા અદાલતમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવીને તેનો કબ્જો સંભાળ્યો છે.

આજે બપોરે જેલમાંથી તેનો કબજો મેળવી લઇ ગુજસીટોક ના ગુનામાં અટકાયત કરવા તેમજ કોવિડ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ઉપરાંત તેનો જ ભાઇ યશપાલસિંહ જાડેજા કે તેની સામે પણ ઉપરોકત ગુનો દાખલ થયો છે, જે આરોપી આજે પોલીસ સમક્ષ સામેથી સરન્ડર થયો હોવાથી તેની પણ અટકાયત કરી લઇ કોવિડ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, અને બંને ભાઇઓને આવતીકાલે રાજકોટની સ્પેશીયલ અદાલત સમક્ષ રજૂ કરાશે.

ઉપરોકત ગુનામાં હજુ એડવોકેટ વસંતલાલ માનસાતા સહિતના અન્ય આરોપીઓને પોલીસ શોધી રહી છે. જે પ્રકરણના મુખ્ય સાગરીત જયેશ પટેલ અને બિલ્ડર ચાંગાણી વિદેશ ભાગી છૂટયા હોવાનું અનુમાન લગાવાયું છે.

જયેશ પટેલ ગેંગના જેલ હવાલે થયેલા આરોપીઓ દ્વારા આ કેસના સાક્ષીઓને ધાક-ધમકી આપીને ડરાવવા-ધમકાવાઇ તેવી દહેશત હોય પોલીસે છ આરોપીઓમાંથી બે આરોપીને અમદાવાદ જેલમાં અને બીજા બે આરોપીઓને બરોડા જેલમાં તેમજ અન્ય બે આરોપીઓને સુરત જેલમાં ટ્રાન્સફર કરવા કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ બન્ને અરજીઓની સુનાવણી થતાં ઉપરોકત જાડેજા બંધુઓની કોર્ટે ૧ર દિવસની રીમાન્ડ મંજૂર કરી હતી. જયારે જેલ ટ્રાન્સફર અંગે બપોર બાદ ચૂકાદો આવે તેવી શકયતા છે.

આજે જેઓની રીમાન્ડ પુરી થતી તેવા આરોપીઓ નિલેષ મનસુખ ટોળીયા, અતુલ ભંડેરી, પ્રવિણ પરસોતમ ચોવટીયા, અનિલ મનજી પરમાર, વશરામ ગોવિંદ મિયાત્રા અને મુકેશ વલ્લભ અભંગીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે જેલ હવાલે કર્યા હતાં.

આ અગાઉ અન્ય બે આરોપીઓ પ્રફુલ જેન્તીભાઇ પોપટ અને જાગર ઉર્ફે જીમ્મી પ્રવિણ આડતીયાને કોર્ટે જેલ હવાલે કરાયા હતાં.

આ કામમાં સરકાર પક્ષે સ્પે. પી. પી. સંજયભાઇ કે. વોરા તથા આરોપી મુકેશ અભંગી વતી કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ તથા કોર્પોરેટર અતુલ ભંડેરી વતી અર્જુનભાઇ પટેલ રોકાયા હતાં.

(2:14 pm IST)