Gujarati News

Gujarati News

News of Friday, 19th January 2018

માયાણી ચોક પરિવાર પાર્કમાં કારખાનેદાર મનસુખભાઇ પટેલને મંદીને કારણે આપઘાત

ઉમાકાંત ઉદ્યોગનગરના કારખાનામાં ઝેર પી લીધું: સખપરીયા પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૯: માયાણી ચોકમાં રહેતાં લેઉવા પટેલ કારખાનેદારે ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં આવેલા પોતાના કારખાનામાં ઝેર પી લેતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મંદીને કારણે આર્થિક ભીંસ ઉભી થતાં આ પગલું ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જાણવા મળ્યા મુજબ માયાણી ચોક નિલકંઠ હાઉસ સામે પરિવાર પાર્ક-૪માં રહેતાં મનસુખભાઇ મોહનભાઇ સખપરીયા (ઉ.૫૫) નામના પટેલ પ્રોૈઢે ઉમાકાંત ઉદ્યોગનગર-૫માં આવેલા પોતાના વી.એમ. એન્જિનીયરીંગ નામના કારખાનામાં ગઇકાલે બપોરે ઝેરી દવા પી લેતાં પરિવારજનોને જાણ થતાં વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે રાત્રીના દમ તોડી દીધો હતો.

બનાવની ડો. જયેશ ડોબરીયા મારફત જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ કિંજલબેન અને હરેન્દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનારને સંતાનમાં એક પુત્ર છે. ધંધામાં મંદીને કારણે કંટાળીને આ પગલું ભર્યાનું બહાર આવ્યું છે. પરિવારજનોના વિશેષ નિવેદન લેવાના બાકી છે. વધુ તપાસ એએસઆઇ યુ. બી. પવાર કરે છે.

(10:45 am IST)