Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

રીબડામાં પુર્વ ધારાસભ્ય મહિપતસિંહની પિસ્તોલથી ગોળી ધરબી સહકારી મંડળીના મંત્રી ગૌતમ ઉપાધ્યાયનો આપઘાત

મહિપતસિંહ જાડેજાના હાઇવે પર આવેલા બંગલાના રૂમમાં ઘટનાઃ પુત્ર દરજ્જે મહિપતસિંહ સાથે રહેતા ગૌતમે 'બાપુ'વાડીએ ગયા બાદ તેમના રૂમનો લોક ખોલી ગાદલા નીચે રહેલી પિસ્તોલથી આત્મહત્યા કરીઃ આ પહેલા ગામના તલાટી મંત્રીને વિડીયો કોલ કરી બાપુની તબિયતનું ધ્યાન રાખવા ભલામણ કરીઃ બેન્કના ચક્કરમાં આવી ગયાનું તારણ

રાજકોટ, તા., ૧૭: ગોંડલના રીબડા ગામે આજે બપોરે પુર્વ ધારાસભ્ય મહિપતસિંહજી જાડેજાની પરવાનાવાળી પિસ્તોલમાંથી ગોળી ધરબી દઇ સહકારી મંડળીના યુવાન મંત્રી ગૌતમ રાજુભાઇ ઉપાધ્યાય (રહે. ગોંડલ) એ આપઘાત કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. આ ઘટના મહિપતસિંહ જાડેજા પોતાની વાડીએ ગયા બાદ પાછળથી બન્યાનું બહાર આવ્યું છે.

મળતી માહીતી મુજબ આજે બપોરે ગોંડલ-રાજકોટ હાઇવે પર રીબડાના પાદરમાં આવેલા મહિપતસિંહ જાડેજાના બંગલોમાં  ઁગૌતમ ઉપાધ્યાય મૃત હાલતમાં પડયાનો ફોન બંગલોની સફાઇ કરવા આવેલા સફાઇ કામદારે બાપુને વાડીએ ફોન કરી જાણ કરી હતી. તેઓ દોડી આવ્યા ત્યારે લોહીથી લથબથ ગૌતમ મૃત હાલતમાં પડયો હતો અને બાજુમાં તેમની પરવાનાવાળી પિસ્તોલ પડી હતી. જેને લઇ આત્મહત્યા કર્યાનું સ્પષ્ટ થયું હતું. આ બારામાં રીબડાના ખેડુત ભગવાનજીભાઇ પોપટભાઇ પટેલે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે.

આ બારામાં મહિપતસિંહ જાડેજાએ પોલીસને પ્રાથમીક નિવેદનમાં એવું જણાવ્યું છે કે, મારા બંગલોને અડીને આવેલી સહકારી મંડળીની ઓફીસમાં મંત્રી તરીકે કામ કરતો બ્રાહ્મણ યુવાન ગૌતમ મારા પુત્ર જેવો હતો.  હું મારા બંગલોમાં એકલો રહેતો હોવાથી મારી દવા અને રોજીંદી જરૂરીયાતોનું પણ તે ધ્યાન રાખતો હતો. છેલ્લા બે દિવસથી કોઇ બેન્કના મેનેજર તેને મળવા આવતા હતા.  મને કોઇ બાબતની વાત કરી ન હતી.

દરમિયાન મળતી માહીતી મુજબ તે કોઇ બેન્કના ચક્કરમાં ફસાયાનું બહાર આવી રહયું છે. ગૌતમે આપઘાત કરતા પહેલા રીબડાના તલાટી મંત્રીને વિડીયો કોલ કરી 'બાપુ'ની રોજીંદી દવાઓનું અને તબિયતનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. મારાથી ખોટુ થઇ ગયું છે, હું જીંદગીનો અંત આણુ છું તેવું કહયાનું મનાય છે. દરમિયાન જે રૂમમાં બનાવ બન્યો તે રૂમને તાળુ હતું તેવું બહાર આવ્યું છે. બંગલોની ચાવી કયાં રહેતી તે ગૌતમ સારી રીતે વાકેફ હોય તેણે તાળાબંધ રૂમ ખોલી ગાદલા નીચે રાખેલી મહિપતસિંહની પિસ્તોલ લઇ આપઘાત કરી લીધો હતો. વધુ વિગતો મેળવાઇ રહી છે. (૪.૧૪)

(4:26 pm IST)