Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

'યુઝ એન્ડ થ્રો' નહીં 'યુઝ એન્ડ ગ્રો' : રાજકોટના યશ અને ધવલે બનાવી ઇકો ફ્રેન્ડલી બોલપેન

પ્રો. ડો. દિપક મશરૂના માર્ગદર્શન હેઠળ નકામા કાગળનો ઉપયોગ કરી બનાવી પેન : વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા સન્માન

રાજકોટ : ગુજરાતના મોટા શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગરનો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની ફોર્બ્સની સૂચિમાં અમદાવાદ અને રાજકોટનો સમાવેશ થઈ રહ્યો છે. ગુજરાત ઔદ્યોગિક, વ્યાપારીક, સેવાકીય અને શૈક્ષણિક દ્રષ્ટિએ સમૃદ્ઘ રાજય છે. ત્યારે યુવાનોને અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરંત રોજગાર મળે તેવા હેતુથી કૌશલ્ય નિર્માણના વિવિધ કાર્યક્રમોને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં સફળતાપૂર્વક અમલીકૃત કરવામાં આવ્યા છે.

શિક્ષક કયારેય સામાન્ય નથી હોતો કારણ કે તેના હાથમાં સમાજ અને રાષ્ટ્રનિર્માણની જવાબદારી તેના શિરે હોય છે. આ વાતને સાબિત કરતા મારવાડી કોલેજના પ્રોફેસર ડો. દિપક મશરૂ જણાવે છે કે, શિક્ષક તરીકે મારૂ કામ વિદ્યાર્થીને વર્ગખંડની બહાર પણ મદદ અને માર્ગદર્શન આપવાનું કામ છે. મારા જન્મદિવસે મેં બધા વિદ્યાર્થીઓને ચોકલેટના બદલે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી પેન્સિલ આપી હતી. જેમાંથી મારો વિદ્યાર્થી યશ પુજારા, કાગળની પેનના વિચારે મારી પાસે આવ્યો અને ત્યાં સુધીમાં તેણે બે -ત્રણ પ્રયોગો કરી લીધા હતા. શરૂઆતમાં રોજ સાંજે ભેગા થઈને હાથવણાટથી પ્રયત્નો કરતા હતા. ત્યાર બાદ ધવલ બારભાયાએ પોતાની કોઠાસુઝથી મિકેનિઝમ અને મશીન તૈયાર કરાવ્યું. આ પ્રકારની રીસાયકલ્ડ પેપરમાંથી પેન બનાવવા તથા તેના થકી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ 'વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડીયા' વતી સન્માન કરવામાં આવ્યુ છે. ગુરૂ કરતાં શિષ્ય સવાયો થાય તે ગુરૂ માટે ગૌરવની બાબત છે. ધવલ બારભાયા અને યશ પુજારાએ મેળવેલી સિધ્ધીની મને ખુબ જ ખુશી છે.

પેપરજીની એનવાઈરોકેર કંપનીના યુવાસ્થાપક ધવલ બારભાયાએ કહ્યુ હતું કે, અમે ઈન્ડીયા સ્ટાર્ટ અપ અંતર્ગત કંપનીની શરૂઆત કરી છે. જેની અંદર અમે વિવિધ પ્રકારની રી-સાયકલ અને અપ-સાયકલ પધ્ધતિનો ઉપયોગ કરીને બોલપેન બનાવીએ છીએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની મુહીમ છે કે સિંગલ-યુઝ પ્લાસ્ટીકનો વપરાશ ઘટાડવો જેને પગલે અમને એવો વિચાર આવ્યો કે પ્રતિમાસ પ્લાસ્ટીકની ૧૦ ટન જેટલી પેન ફેકીં દેવામાં આવે છે, જેથી ૧૦ ટન જેટલા પ્લાસ્ટીકના કચરાનું ઉત્સર્જન થાય છે. આપણે આ બાબતે કાંઈક વિચારીને સમાજ માટે સારૂ શું કરી શકીએ ?

વધુમાં જણાવતા શ્રી ધવલે કહ્યું હતું કે, આપણે જો રીસાયકલ પેપરમાંથી પેન બનાવીએ તો વૃક્ષો કપાય નહીં અને વર્જીન કાગળોનો ઉપયોગ ટાળી શકાય. જેથી પર્યાવરણની જાળવણી કરી શકાય અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડી કરી શકાય. અમે કાગળને વણીને હાથ બનાવટથી બોલપેન બનાવતા હતા. પરંતુ ઉત્પાદન ક્ષમતાની મર્યાદા હોવાના કારણે અમે જાતે જ મશીન ડીઝાઈન કરીને એન્જિીનયર્સ પાસે તૈયાર કરાવ્યું. જેથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થયો અને પડતર કીંમતમાં ઘટાડો થયો. જેથી પ્લાસ્ટીકની બોલપેનની કીંમતમાં અમે કાગળની બોલપેન આપવા સક્ષમ થયા છીએ.

દેશ અને વિદેશની કોઈ સંસ્થામાંથી પી.એચ.ડી કરીને સ્વના નામ આગળ ડો. લાગે તે સૌ કોઈનું સપનું હોય છે પરંતુ તે સ્વપ્નને છોડીને રાષ્ટ્રહિતના નિર્માણમાં યોગદાન આપવાનો વિચાર કરીને આગળ વધવાનો નિર્ધાર સાથે કામ કરતા યશ પુજારા જણાવે છે કે, મને માસ્ટર ડીગ્રી એનવાયરલ મેનેજમેન્ટમાં કરેલું છે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં મને રસ રહેલો છે. બહુ બધુ રીસર્ચ કર્યા પછી અમને થયું કે કઈ રીતે અમે કાગળની બોલપેન બનાવવાની વાતને અમે બિઝનેશ મોડેલમાં ફેરવવાના પ્રયત્ન કર્યા. આટલો અભ્યાસ કરીને પણ હું જેટલી સેલેરી નથી મેળવતો તેથી વધુ હું કમાઈને અન્ય લોકોને રોજગારી આપી શકું છું તેની મને ખુશી છે.

અપીલ કરતા યશ પુજારાએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતના માતા પિતાઓ, યુવાઓને વિનંતી છે કે રોજીંદા જીવનમાં વાપરવામાં આવતી પ્લાસ્ટીકની પેનનો ઉપયોગ અટકાવીને કાગળની પેનનો ઉપયોગ કરીએ,પર્યાવરણના સંરક્ષણ અને સંવર્ધનમાં યોગદાન આપીએ.

અત્રે ઉલ્લેખનિય છે કે, પ્લાસ્ટીકના બદલે કાગળમાંથી બનતી 'પેપર પેન'સંપુર્ણપણે એનવાયરમેન્ટ ફ્રેન્ડલી છે. પ્રદુષણ મુકત છે. તે વોટરપ્રૃફ અને પરસેવાની અસરરહિત છે. તેનો એસિડ ટેસ્ટ અને વોટર ટેસ્ટ પોઝીટીવ છે જેથી વ્યકિતના શરીરપર તેની કોઈ નેગેટીવ અસર થતી નથી. વજનમાં પ્લાસ્ટીકની પેન કરતા હળવી અને પેન લપસતી ન હોવાના કારણે ઝડપથી લખી શકાય છે. 'પેપર પેન'ટેકનોલોજી અંદર રહેલી શાહીને ઠંડીમાં ગરમ રાખે છે અને ગરમીમાં ઠંડી રાખે છે, જેથી બોલપેન ઉભરાતી નથી કે થીજી જતી નથી. ઉપરાંત, લાલ, લીલા,પીળા, કાળા, ગોલ્ડન, સિલ્વર, તમામ કલરમાં પેન ઉપલબ્ધ છે. સામાન્ય રીતે માર્કેટમાં ચાલતી 'યુઝ એન્ડ થ્રો'ની વિભાવનાને બદલીને 'યુઝ એન્ડ ગ્રો'ની વિચારધારા છે. પેપર પેન અને પેપર પેન્સિલના પાછળના ભાગે વિવિધ છોડ અને શાકભાજીના બીયારણ આપવામાં આવે છે જેમાં ટમેટા, મેથી, મરચુ તુલસી, ફુદિનો વગેરેનો સમાવેશ થાય છે. આ પેનનો ઉપયોગ પુર્ણ થયા બાદ તેને ભંગારમાં ફેકી દેવાના બદલે ઘરના કુંડામાં ઉગાડી શકાય છે. આવુ માત્ર પેન-પેન્સિલમાં જ નથી પરંતુ કાગળની નોટબુક, ડાયરી, નિમંત્રણ કાર્ડ, વિઝીટીંગ કાર્ડમાં પણ સીડ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. કંપની જીન્સના કાપડમાંથી પેન બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી રહી છે.

આજે જયારે દુનિયામાં પર્યાવરણીય અસમુતલા વ્યાપ્ત છે અને પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે દુનિયા ભારતના માર્ગદર્શન માટે અપેક્ષીત બની રહયું છે. ત્યારે આવા નાના પણ ઉજ્જવળ ભાવી તરફ દોરી જતા પ્રયાસો આ ક્ષેત્રે ચોકકસપણે પથદર્શક અને અનુકરણીય બની રહેશે.

: આલેખન :

રાજ લક્કડ

રાજકોટ માહિતી ખાતુ

મો. ૯૪૦૮૫ ૨૪૩૬૩

(3:20 pm IST)