Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

કાલે દૂરદર્શન ગિરનાર પર કોલમિસ્ટ- પત્રકાર પ્રશાંત બક્ષીની મુલાકાત

બપોરે ૧:૩૦ કલાકે જયારે ગુરૃવારે સવારે ૧૦:૩૦ પુનઃપ્રસારણઃ અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે માહિતી

રાજકોટ, તા.૨૮: ભારતની આઝાદીના ૭૫ વર્ષ એટલે 'આઝાદીનો અમૃત મહોત્સવ'. ભારત દેશની આઝાદીમાં ઘણા ક્રાંતિવીર - વિરાંગનાઓએ લોહીની નદીઓ વહાવી છે. આપણે જાણીએ છીએ કે કેવી રીતે સ્વતંત્રતા સેનાનીઓએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન તેમના જીવનનું બલિદાન આપ્યું. પરંતુ એવા દ્યણા ક્રાંતિકારીઓ છે જેમના વિશે આપણા માંથી મોટાભાગના લોકો જાણતા પણ નથી. આ લોકોએ દેશની આઝાદી માટે તમામ પ્રયાસો કર્યા, પ્રાણોનું બલિદાન આપ્યું પરંતુ કમનસીબે આ સેનાનીઓ એટલા પ્રખ્યાત નથી કે ભારતના તમામ લોકો તેમને ઓળખે તેમ છતાં તેમના બલીદાનની વાતો અમર છે. આવાજ અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે કોલમિસ્ટ - પત્રકાર પ્રશાંત બક્ષીએ અદભૂત માહિતી રજુ કરી છે જેનું આવતીકાલે  એટલેકે તા. ૨૯ ને બુધવારે બપોરે ૧:૩૦ કલાકે દૂરદર્શન ગિરનાર (ડીડી ગિરનાર) પર પ્રસારણ થશે જયારે તેનું પુનઃપ્રસારણ તા.૩૦ ને ગુરૃવારે સવારે ૧૦:૩૦ કલાકે થશે. કેટલાક એવા સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ હતા જે ઈતિહાસના પાનામાં ઢંકાય ગયા છે. જેમકે રાણી વેલુ નાચિયાર, સૂર્યાસેન, માતંગિની હાજરા, બુધુ ભગત, બાદલ-વિનોદ-દિનેશની ત્રીપૂટી વગેરે ક્રાંતિકારીઓના જીવન અને દેશ માટે તેમણે આપેલા બલિદાન વિશે કયારેય જાણવામાં ન આવી હોય તેવી હકીકતો અને માહિતીની કોલમિસ્ટ - પત્રકાર પ્રશાંત બક્ષી એ ખુબ સહજ રીતે રજુ કરી છે. આપણા દેશના આ અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને પણ કયારેય ભૂલી શકાશે નહીં. આઝાદીના આ અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ પોતાના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને, રાષ્ટ્ર રક્ષામાં પોતાની જાતને દિવસ રાત ખપાવી દેનાર, હોમી દેનાર વીર-વીરાંગનાઓ વિશેની આ અમૂલ્ય અને અદભૂત સાચવવા જેવી માહિતી દરેક લોકો માટે એક યાદગીરી બની રહેશે.

આ કાર્યક્રમ 'ભારતના અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓ'નું નિર્માણ રાજકોટ દૂરદર્શન કેન્દ્રના કાર્યક્રમ નિર્માતા સંજયભાઇ સાગઠિયાએ કર્યું છે જયારે કોલમિસ્ટ - પત્રકાર પ્રશાંત બક્ષી ની મુલાકાત પત્રકાર-કલાકાર તેજસભાઇ શીશાંગિયા એ લીધી છે.

(4:34 pm IST)