Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

મુખ્યમંત્રી - મંત્રીઓ ચૂંટણી વિષયક વિડિયો કોન્ફરન્સ નહી યોજી શકે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચારસંહિતા અમલમાં : સ્કુલો - મેદાનોમાં જાહેરસભાની મંજુરી લેવી પડશે : વાહનોમાં સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી જ પ્રચાર : મતદારોને ધમકાવી લલચાવી નહી શકાય : માર્ગદર્શીકા : બહાર પાડતા રેમ્યા મોહન

રાજકોટ તા. ૨૭ : મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થતાં આદર્શ આચાર સંહિતાની અમલવારી ચાલુ થઇ ગઇ છે. જેની માર્ગદર્શિકા જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર રેમ્યા મોહને જાહેર કરી છે.

આ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, ચૂંટણી દરમિયાન શાસક પક્ષ સરકારની જાહેરાતોનો ખર્ચ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની તિજોરીમાંથી કરવો નહીં.

ઉપરાંત મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીશ્રીઓ તથા રાજકીય પક્ષના ઉમેદવારો ચૂંટણી વિષયક માટે વહીવટી તંત્ર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે મીટીંગ કે વિડીયો કોન્ફરન્સ યોજી શકશે નહિ.

ચૂંટણી ઝુંબેશને સરકારી કામકાજ સાથે જોડવું નહીં, ચૂંટણીના ભાષણો, પોસ્ટરો, સંગીત વગેરે માટે મંદિરો, મસ્જીદો, ચર્ચ કે ગુરૂદ્વારા જેવા ધર્મસ્થળોનો ઉપયોગ કરવો નહીં.

ચૂંટણી માટે વાહનોમાં લાઉડ સ્પીકરો લગાડીને સવારે ૮ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જ પ્રચાર કરી શકાશે. કોઇપણ સત્તાધિકારી કે રાજકીય પક્ષના ઉમેદવારો સરકારી સાધન - સામગ્રીનો ઉપયોગ નહી કરી શકે.

ચૂંટણી માટે શાળા - કોલેજના મેદાનોના ઉપયોગ કરવા સબંધિત વિભાગની પૂર્વ મંજુરી જરૂરી છે.

આ ઉપરાંત ધાર્મિક, સાંપ્રદાયિક કે જાતિ અને કોમ વિરૂધ્ધમા કે તરફેણમાં પ્રસિધ્ધ કરવામાં આવતા 'પેઇડ ન્યુઝ' અંગે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને રચાયેલી સમિતિ દ્વારા સમીક્ષા થશે અને જરૂર જણાયે જવાબદારો સામે પગલા લેશે.

કેબલ નેટવર્ક કે ચેનલોમાં થતી ચૂંટણીલક્ષી જાહેરાતો માટે જિલ્લા કક્ષાની સમિતિની મંજુરી લેવાની રહેશે.

આમ, ઉપરોકત આચાર સંહિતા ઉપરાંત મતદારો પ્રભાવિત થતા હોય તેવા કામો નહી કરવા સહિતના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. આ આચારસંહિતા ચૂંટણીના પરિણામ સુધી અમલમાં રહેશે.

આચરસંહિતાને કારણે આજનું બીનખેતી ઓપન હાઉસ કેન્સલ : કલેકટરના બોર્ડમાં કુલ ૨૦ કેસો

વર્ષ ૨૦૨૧-૨૨નું બજેટ તૈયાર કરી મંજુરી માટે સરકારનું માર્ગદર્શન મંગાશે

રાજકોટ તા. ૨૭ : કોર્પોરેશન - જિલ્લા પંચાયત - તાલુકા પંચાયતની ચૂંટણી સંદર્ભે આચારસંહિતા લાગુ પડી ગઇ છે. આ આચારસંહિતાને કારણે કલેકટર કચેરીમાં આજે યોજાનાર કલેકટરનું બીનખેતી ઓપન હાઉસ રદ્દ કરી નખાયું છે, આજે ૧૫૦ કેસોમાં હાથોહાથ ઓર્ડર અપાનાર હતા.

આગામી ૧ાા થી ૨ મહિના સુધી આચારસંહિતા અમલમાં રહેનાર હોય, તે સંદર્ભે હવે પછીના બીનખેતી ઓપન હાઉસ અંગે રાજ્ય ચૂંટણી પંચનું માર્ગદર્શન માંગી કાર્યવાહી કરાશે, સંભવતઃ ઓનલાઇનવાળા કેસોમાં ઓનલાઇન ઓર્ડરો આપી દેવાશે, તો ઓફલાઇન વાળા કેસોમાં અરજદારોને બોલાવાય તેવી શકયતા છે. દરમિયાન આજે બપોરે ૧૨ વાગ્યાથી કલેકટરનું બોર્ડ શરૂ થયું છે, જેમાં ૧૩ કેસમાં સુનાવણી તો ૭ કેસના ચુકાદા અપાશે.

(3:39 pm IST)