Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

કાળીપાટ 'ડબલ મર્ડર' કેસમાં વધુ એક આરોપીની જામીન અરજી ફગાવાઇ

નવ વર્ષ પહેલા બે ગરાસીયા યુવાનની હત્યા થયેલ હતી

રાજકોટ તા. ૨૭ : રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે નવ વર્ષ પૂર્વ માતાજીના તાવા કાર્યક્રમ દરમિયાન ગાળો બોલવા બાબતે ખેલાયેલા ધીંગાણામાં થયેલા ડબલ મર્ડર પ્રકરણના વધુ એક આરોપી સુરેશ રઘા દુધરેજિયાની માનવતાની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.

વધુ વિગત મુજબ શહેરની ભાગોળે કાળીપાટ ગામે ગત તા.૧૦-૭-૧૧ના રોજ માતાજીના મઢ પાસે તાવા પ્રસાદમાં એકઠા થયેલા દરબારોએ કોળી પરિવારના કિશોરને ગાળો બોલવાની ના પાડવાના મુદ્દે ખેલાયેલા ધિંગાણામાં વિશ્વજીતસિંહ જાડેજા અને મહેન્દ્રસિંહ જાડેજાનું ગંભીર ઇજા થવાથી મોત નિપજતા બનાવ ડબલ મર્ડરમાં પલટાયો હતો.

જે અંગે તાલુકા પોલીસ મથકમાં સત્યજીતસિંહ અનિધ્ધસિંહ જાડેજાએ છગન રધા દુધરેજીયા, રઘા દુધરેજીયા, સુરેશ રધા દુધરેજીયા, દિનેશ રધા દુધરેજીયા, જેન્તી પ્રેમજી દુધરેજીયા, સવજી દેવશી દુધરેજીયા, બાબુ ઉકા દુધરેજીયા અને બે મહિલા સહિત ૧૦ શખસો સામે હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલહવાલે કર્યા હતા. હાલ લાંબા સમયથી જેલ હવાલે રહેલા સુરેશ રઘા દુધરેજીયાએ હાઇકોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી હતી જેમાં બંન્ને પક્ષોની લેખિત મૌખિક દલીલ બાદ મુળ ફરિયાદીના વકિલ રૂપરાજસિંહ, વિકીભાઈ મહેતાએ કરેલી ધારદાર દલીલો તેમાં કેસની સુનાવણી અંતિમ તબકકામાં છે, જો જામીન આપવામાં આવશે તો સાક્ષીને ફોડવાના અને પુરાવાનો નાશ કરવામાં આવશે. તેવી દલીલ ધ્યાને લઇ હાઇકોર્ટ જસ્ટિસ એ. વાય. કોગ્જેએ સુરેશ રઘા દુધરેજીયાની વચગાળાની જામીન અરજી નામંજૂર કરી છે. આ કામમાં હાઇકોર્ટમાં એડવોકેટ વિકી મહેતા અને મુળ ફરિયાદી વતી એડવોકેટ તરીકે રૂપરાજસિંહ પરમાર, અજીતભાઇ પરમાર રોકાયા છે.

(2:56 pm IST)