Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કારગીલ યુધ્ધ લડી ચુકેલા ફોૈજીના બહેનના નામે અપાયેલા પેટ્રોલ પંપને બંધ કરાવવા કાવાદાવાઃ સતત ધાક ધમકીઓ

મવડી ચોકડી આંબેડકર ચોક પાસે આવેલા કોકો પેટ્રોલનો વિવાદ મુખ્યમંત્રી સુધી પહોંચ્યોઃ ડીજીપીએ તાકીદે તપાસના પોલીસ કમિશનરને આદેશ આપ્યા : અવાર-નવાર પંપ પર કાર વચ્ચો વચ્ચ ઉભી રાખી દેવાય છેઃ ખુરશીઓ ઢાળીને શખ્સો બેસી જાય છેઃ મુળ પંજાબના સર્વજીતકુમારીએ ગુરૂનાનક ફયુઅલ સ્ટેશન નામે કોર્પસ ફંડ હેઠળ બે મહિનાથી પંપ શરૂ કર્યો છેઃ પરંતુ પંપ ચલાવવા નહિ દેવા માટે હેરાનગતિ

પોતાને પેટ્રોલ પંપ કાયદેસર રીતે ઇન્ડિયન ઓઇલ કંપની તરફથી એલોટ થયો છે તેનું સર્ટિફિકેટ બતાવી રહેલા સર્વજીતકુમારી અને કારગીલ યુધ્ધ લડી ચુકેલા તેમના ફોૈજી ભાઇ ગુરપાલસિંઘ માન પ્રથમ તસ્વીરમાં દેખાય છે. બીજી તસ્વીરમાં શનિવારે કઇ રીતે શખ્સો ગાડીઓ પંપમાં ઘુસાડી ખુરશીઓ ઢાળીને બેસી ગયા હતાં તે જોઇ શકાય છે. તસ્વીરો ગુરપાલસિંઘે આપી હતી.

રાજકોટ તા. ૨૫: મુળ પંજાબના વતને અને કારગીલ યુધ્ધ લડી ચુકેલા હાલ નિવૃત ફોૈજી ગુરપાલસિંઘ માનને કોર્પસ ફંડ (સૈનિકોને અપાતી સહાય) અંતર્ગત તેમના બહેન સર્વજીતકુમારીના નામે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા રાજકોટના મવડી રોડ આંબેડકર ચોક ખાતે ધારાધોરણ મુજબ કોકો પેટ્રોલપંપની ડિલરશીપ ૨૨મી સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી છે. આ પંપ ગુરૂનાનક ફયુઅલ સ્ટેશનના નામથી ચાલુ કરવામાં આવ્યો છે. પરંતુ પંપ નિયમીત રીતે ચાલવા દેવામાં આવતો નથી અને અવાર-નવાર કેટલાક શખ્સો આવી ધાકધમકી આપી પંપ છોડીને જતાં રહેવાનું કહે છે. આ મામલે નિવૃત ફોૈજી ગુરપાલસિંઘ માન અને તેમના બહેન સર્વજીતકુમારીએ મુખ્યમંત્રી, રાજ્યપાલ, ગૃહમંત્રી, પોલીસ કમિશનર સહિતને લેખિત ફરિયાદો કરી છે. દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ડીજીપીને તપાસ કરાવવા સુચના આપતાં ડીજીપીએ તાકીદે રાજકોટ પોલીસ કમિશનરને આદેશ કર્યો છે.

ગુરપાલસિંઘ માન અને તેમના બહેન સર્વજીતકુમારીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સહિતને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે અમે પંજાબના રહેવાસી છીએ અને ફેબ્રુઆરી-૨૦૨૦માં અમને રાજકોટ મવડી ચોકડી આંબેડકર ચોક પાસે કોકો પેટ્રોલ ડિલરશીપ મળી છે. આ પંપ અમને ૨૨મી સપ્ટેમ્બરના રોજ કાયદેસરની કાર્યવઅી બાદ સોંપી દેવામાં આવ્યો છે. પરંતુ જ્યારથી પંપ અમને એલોટ થયો છે ત્યારથી કેટલાક લોકો જબરદસ્તીથી પોતાની કાર પેટ્રોલ પંપની અંદર લાવીને ઉભી રાખી દે છે અને કહે છે કે આ અમારી માતૃભુમિ છે, અમે બહારથી આવનારા કોઇને કામ કરવા દેતા નથી. અમે તથા ઇન્ડિયન ઓઇલના અધિકારીઓએ આ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ લોકો સમજતા નથી અને પંપની ડીલરશીપ છોડી જતાં રહેવા સતત ધમકાવે છે.

પેટ્રોલ પંપ જે જમીન પર છે તે જમીન અને ડિલરશીપને કંઇ લાગતું વળગતું નથી. ઇન્ડિયન ઓઇલ પાસે પેટ્રોલ પંપવાળી આ જમીન વીસ વર્ષના ભાડા પટ્ટાથી છે અને કંપની જમીન માલિકોને નિયમીત ભાડુ પણ ચુકવી રહી છે. આમ છતાં હવે અમને ભાઇ-બહેનને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે.

આ અંગે પોલીસ કમિશનરશ્રીને તથા લોકલ પોલીસ સ્ટેશનમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ બે મહિના થયા કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. પેટ્રોલ પંપે આવી અવાર-નવાર હેરાનગતી કરનારા શખ્સો મુખ્યમંત્રીશ્રી અને પોલીસ કમિશનરશ્રીના નામનો પણ ઉપયોગ કરી રહ્યાનો આક્ષેપ લેખિત ફરિયાદમાં છે. તેમજ એકાદ શખ્સ પોતે પત્રકાર હોવાનું પણ કહે છે. ગયા શનિવારે જ વીસ-પચ્ચીસ જણા પાંચ છ ગાડીઓમાં આવ્યા હતાં અને પંપ્માં ખુરશીઓ ઢાળીને બેસી ગયા હતાં. ખુરશીઓ ઢાળીને બેસવાની ના પાડતાં એક શખ્સે હાથચાલાકી કરી લીધી હતી. જેનું વિડીયો રેકોર્ડીંગ અમારી પાસે છે. અમે તે વખતે ૧૦૦ નંબર પર પોલીસને જાણ કરી હતી. પોલીસ આ બધાને લઇ ગઇ હતી. પરંતુ બાદમાં છોડી દીધા હતાં અને પછી પોલીસની હાજરીમાં જ ધમકી આપી હતી.

અગાઉ અમે કંપની તરફથી પોલીસ રક્ષણ પણ માંગ્યું હતું. સર્વજીતકુમારીએ લેખિત રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે હું સિનીયર સિટીઝન છું અને રાજકોટમાં અમને કોઇ ઓળખતું નથી. અમારું અહિ કોઇ નથી. અમને કાયદેસર રીતે અમારા નિવૃત ફોૈજી ભાઇના કોર્પસ ફંડ હેઠળ મળેલો પેટ્રોલ પંપ ચલાવવા દેવામાં જે શખ્સો અડચણરૂપ બની સતત બે મહિનાથી હેરાન કરી રહ્યા છે તેની સામે કાયદસેરની કાર્યવાહી કરવા અને અમને ત્રાસમાંથી મુકત કરાવવા વિનંતી છે.

દરમિયાન આ મામલે ખુદ મુખ્યમંત્રીશ્રીએ ડીજીપીને તપાસ કરાવવા સુચના આપતાં ડીજીપીએ રાજકોટ પોલીસ કમિશનરને આ મામલે તુરત ઘટતુ કરવા સુચના આપતાં નિવૃત ફોૈજી અને તેમના બહેનને સાંજે પોલીસ કમિશનરશ્રીએ મળવા બોલાવ્યાનું અને આ પ્રશ્નનો નિવેડો આવી જશે તેવી ખાત્રી આપ્યાનું જાણવા મળે છે.

પેટ્રોલ પંપ ચાલુ કરાવવા આઇઓસી દ્વારા પોલીસ બંદોબસ્ત પણ મંગાયો હતો

જેમાં કેટલાક લોકો હેરાન કરતાં હોવાનો ઉલ્લેખ

.અગાઉ થયેલી અરજીમાં પોલીસે ઇન્ડિયન ઓઇલ ભવનના બીજા માળે રહેતાં સિનીયર મેનેજર જયદિપભાઇ હાકીમનું નિવેદન લીધું હતું. તેમાં તેમણે જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરશેન લી. રાજકોટ કોકો મવડી (ઇન્ડિયન ઓઇલ કંપની)ના પેટ્રોલ પંપનો કબ્જો મેળવવાની કાર્યવાહી કરવા ઓન પેમેન્ટ બંદોબસ્તની માંગણી કરી હોઇ તે સંબંધે જણાવવાનું કે ચંદ્રેશનગર મેઇન રોડ પુર્ણિમા સોસાયટી પાસે આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ખાતેના પેટ્રોલ પંપની જમીન તા. ૮-૦૩-૨૦૦૬ના રોજ માસીક રૂ. ૨૦ હજારના ભાડ પેટે વીસ વર્ષના ભાડા કરાર કરી જમીન માલિકો પાસેથી જે તે વખતના આસી. મેનેજર બીનયકુમારના મારફતે કરાર કરાવાયા હતાં. તેમજ ત્યારે સબ રજીસ્ટ્રારમાં પણ નોંધ કરાવાઇ હતી. એ પછી પેટ્રોલ પંપની હંગામી ડિલરશીપ ભરતભાઇ અનડકટને અપાઇ હતી. ભરતભાઇને કોરોનાની બિમારી થતાં ૨૪/૦૯/૨૦૨૦ના રોજ તેઓએ ઇ-મેઇલ દ્વારા પોતાની ડિલરશીપ અમારી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ સર્વજીતકુમારીને હેન્ડઓવર કરીદીધી છે. તેનો કબ્જો મેળવવા સર્વજીતકુમારી જતાં હોઇ પણ તેમને પેટ્રોલ પંપનો કબ્જો મેળવવા દેવામાં આવતો ન હોઇ તેમજ પેટ્રોલ પંપ ચલાવવા દેવાતો ન હોઇ અને લોકો હેરાન કરતાં હોઇ જેથી બંદોબસ્ત માંગ્યો છે.

(3:16 pm IST)