Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મા ખોડલનો જય જયકારઃ કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા

પ્રથમ નોરતે મહાઆરતી, ધ્‍વજારોહણ, યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા : નવે નવ નોરતા દરમિયાન મંદિરે ધ્‍વજારોહણ, યજ્ઞ અને માતાજીને અવનવા શણગાર કરાશે

રાજકોટઃ શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ આસો નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી.

શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને કાગવડ ગામથી શ્રી ખોડલધામ મંદિર સુધી યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્‍યામાં ભક્‍તો જોડાયા હતા અને પ્રથમ નોરતે મહાઆરતી, ધ્‍વજારોહણ અને યજ્ઞ થકી મા ખોડલના પોંખણાં કરાયા હતા.

શ્રી નરેશભાઈ પટેલનું કાગવડ ગામવાસીઓ દ્વારા  સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ તેઓએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી. ત્‍યારબાદ પ્રાથમિક શાળામાં  દિપ પ્રાગટય કર્યું હતું. પદયાત્રા મંદિરના પટાંગણમાં પહોંચ્‍યા બાદ મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને ભાવિકોઍ આશીર્વાદ લીધા હતા.  મંદિરે મા ખોડલની મહાઆરતી કરવામાં આવી હતી. ત્‍યારબાદ શ્રી ખોડલધામ મંદિરના શિખર પર ધ્‍વજારોહણ કરવામાં આવ્‍યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ યજ્ઞશાળામાં યજ્ઞ કરવામાં આવ્‍યો હતો. પદયાત્રામાં જોડાયેલા ભક્‍તો માટે શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડ દ્વારા ફરાળ અને નાસ્‍તાની વ્‍યવસ્‍થા કરાઈ હતી. પદયાત્રાના માર્ગ પર ભક્‍તોને કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે સ્‍વયંસેવકોની ટીમ પણ ખડેપગે રહી હતી.

આ પદયાત્રામાં શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ-કાગવડના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન-રાજકોટના ટ્રસ્‍ટીશ્રીઓ, શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન વેરાવળ-સોમનાથના ટ્રસ્‍ટીશ્રીઓ વિ. સંસ્‍થાના ભાઈ - બહેનો જોડાયા હતા.

નવરાત્રિ દરમિયાન દરરોજ ખોડલધામ મંદિરે યજ્ઞશાળામાં હવન કરવામાં આવશે અને મા ખોડલને રોજ અવનવા શણગાર અને ધ્‍વજારોહણ કરી ભક્‍તો મા ખોડલની આરાધના કરશે. નવરાત્રિ હોવાથી મંદિર પરિસરને લાઇટિંગ અને ફૂલોથી શણગારી દેવામાં આવ્‍યું છે.

(3:45 pm IST)