દુનીયામાં અનેક પ્રતિભાઓ અને તજજ્ઞો વસે છે, કેટલાક તજજ્ઞો એવા છે કે જેમના નામ કરતા કામ મોટા હોય છે. આવા જ એક આધ્યાત્મીક તજજ્ઞ અને મહારથી જેમનામાં અર્વાચીન સુઝબુઝ, દિર્ઘદ્રષ્ટિ, લક્ષસિદ્ધિ, સુચારૂ વહિવટી જેવા ગુણો ઇશ્વરે આપ્યા છે તેવા પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને તાજેતરમાં ભારત સરકાર દ્વારા ‘‘પદ્મભૂષણ'' ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ હોય તેમનું અભિવાદન કરવા માટેનો જાજરમાન અભિવાદ સમારોહ રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક લી.ના સોેજન્યથી અભિવાદન સમારોહ સમિતી દ્વારા કરવામાં આવશે, જેમા સોેરાષ્ટ્રના ધર્માનુરાગીઓ અને સંસ્થાઓ જોડાશે.
તા.૩૦/૦૫/૨૦૨૨, સોમવારના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ ના સમય દરમ્યાન, હેમુ ગઢવી હોલ,ટાગોર રોડ, રાજકોટ મુકામે યોજાનાર ‘‘અભિવાદન સમારોહ'' મા અણદા બાવા સેવા સંસ્થા જામનગરના મહારાજશ્રી દેવીપ્રસાદજી અને જાણીતા તત્વચીંતક ડો.ભદ્રાયુ વચ્છરાજાની સ્વામી સચ્ચિદાનંદજીના ક્રાંતિકારી વિચારધારા વિષે પોતાની આગવી શૈલીમાં વકતવ્ય રજુ કરશે.
જયારે પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજને સોેરાષ્ટ્રની જનતા અને સંસ્થા દ્વારા સન્માનીત કરવામાં આવશે એવી જાણકારી મળેલ ત્યારે તેમને ખૂબજ હદયપૂર્વક એક વિશેષ અપિલ કરેલ કે ‘‘ભલે બધાને સન્માનીત કરવા સહમતિ આપજો પણ ભારત સરકારના ગો ગ્રીન અભિયાનને આગળ ધપાવવા માટે મોટા પુષ્પગુચ્છો,ફુલદાનીઓ,ફુલહાર વિગેરે ન લાવીને માત્ર એક ફુલ દ્વારા કરેલ સન્માન અમુલ્ય સોગાદ ગણાશે.
પ.પૂ.સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજના જીવનશૈલીની વાત કરીએ તો તેમના જેટલા વખાણ કરીએ તેટલા ઓછા કહી શકાય.આ દુનિયામા ઘણા ઓવા લોકો એવા હશે કે જેનામા પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજ જેવા અર્વાચીન આધ્યાત્મીક ગુણો હશે.
પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજની જીવનની તારીખ વિષે અને તેમના જીવનના પળો વિષે વાત કરીએ તો,પ.પૂ.સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજનો જન્મ ૨૨ એપ્રિલ-૧૯૩૨ના રોજ, ચૈત્ર વદ બીજના દિવસે થયેલ હતો. તેમનુ જન્મ સ્થળ મોટી ચંદુર.જી.પાટણ છે અને વતનઃ મુંજપુર છે.
પ.પૂ.સ્વામીશ્રી સચ્ચિદાનંદજી મહારાજનું નામ ન્હાનાલાલ ત્રિવેદી છે. તેમના પિતાજીનુ નામ મોતીલાલ ત્રિવેદી અને માતાજીનું નામ વહાલીબેન ત્રિવેદી છે. પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ રાધનપુર અને બીલીમોરામાં પ્રાથમિક શિક્ષક પણ રહી ચુક્યા છે.
હવે વાત કરીએ તેમના મહત્વના જીવન પળો વિષે, પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજએ સને ૧૯૫૩માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો અને સંન્યાસી બનેલ, તેઓએ ૧૯૫૩માં પોણા ભાગના ભારતનુ પગે ચાલીને ભ્રમણ કરેલ અને તેમને તેમના સન્યાસ જીવનની પ્રથમ રાત સુરતની ધર્મશાળામાં વિતાવેલ. સને ૧૯૫૪માં તેમણે પ્રયાગરાજના કુંભમેળામાં ગુરૂની શોધ કરી અને બ્રહ્મચર્ય દિક્ષા મેળવેલ. ત્યારબાદ સને ૧૯૫૫ મા તેમને વૃંદાવનમાં ‘‘લઘુકોેમુદી'' નો અભ્યાસ કરેલ અને કાશીમા ૧૨ વર્ષ સુધી અભ્યાસ કરેલ. તેઓએ સને ૧૯૫૬ મા પંજાબના ફીરોજપુર શહેરમા સ્વામી શ્રી મુકતાનંદજી પાસે સંન્યાસદીશા લીધેલ.૧૯૬૬માં ‘‘વેદાન્તાર્ચાય (શાંકર વેદાંતના મુખ્ય વિષય સાથે)ની પદવી પણ હાંસલ કરવાની સાથોસાથ તેઓ બનારસ યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંકે આવી સુવર્ણચંદ્રક વિજેતા બનેલ.
પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજએ અમરનાથ યાત્રા ત્રણ વાર કરેલ, આ ઉપરાંત ૧૯૬૮ મા તેઓએ સંપૂર્ણ ભારતયાત્રા પૂર્ણ કરેલ, ઉપરાંત ૧૯૬૯ મા દંતાલી(પેટલાદ) મા શ્રી ભકિત નિકેતન આશ્રમની સ્થાપના કરેલ, ૧૯૭૦ મા પૂર્વ આફ્રીકાનો પ્રવાસ કરેલ. ૧૯૭૩ મા સુઇગામ (બનાસકાંઠા)મા દૂષ્કાળ રાહત કાર્ય અને મહર્ષિ કણાદ ગુરૂકુળ માધ્યમિક શાળા અને છાત્રાલયની સૂઇગામમાં સ્થાપના કરેલ.
૧૯૭૪માં તેઓએ દંતાલી-પેટલાદના આશ્રમમાં સમાજસેવાની પ્રવૃતિઓ કરેલ, ઉપરાંત દંતાલી-પેટલાદના આશ્રમમા ટ્રસ્ટ ઉભુ કર્યુ તથા વાલમ (તા.વીસનગર)મા બ્રહ્મસુત્ર અને ‘‘ભારતીય દર્શનો'' વિશે વ્યાખ્યાનો આપ્યા જે એમના પ્રથમ પુસ્તક રૂપે પ્રકાશિત પણ થયેલ, ઉપરાંત તેઓએ કુલ ૮૫ થી વધુ દેશોની વિદેશયાત્રા દ્વારા તુલનાત્મક અભ્યાસ કરીને જે તે યાત્રા વિશેના સુંદર પુસ્તકો લખ્યા.
‘‘મારા અનુભવો''પુસ્તકને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક કરેલ ઉપરાંત તેઓ (ગુજરાતી સાહિત્ય પરિષદ) તથા નર્મદ ચંદ્રક, સુરત તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરાયેલ, તેઓ પુસ્તક ‘‘વેદાન્ત સમીક્ષા'' ગુજરાતી સાહિત્ય દ્વારા પણ પુરસ્કૃત કરાયેલ.‘‘ચાલો,અભિગમ બદલીએ'' તથા ‘‘નવા વિચારો'' અને ‘‘પૃથ્વી પ્રદિક્ષણા''(૧૯૯૦-૯૧) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરાયેલ. ત્યારબાદ દધીચિ એવોર્ડ, આનર્ત એવોર્ડ, શ્રી ગોન્ધિયા એવોર્ડ, ધર્મમય માનવસેવા માટે દિવાળીબહેન મહેતા ટ્રસ્ટ દ્વારા એવોર્ડ , ગુજરાત દૈનિક પત્રકાર સંઘ દ્વારા ‘લોકસાગરને તીરે-તીરે' (સંદેશ)મા ચિંતન લક્ષી કટારલેખન માટે એવોર્ડ પ્રાપ્ત થયેલ.
પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજએ સોેરાષ્ટ્ર ચેકડેમ બાંધવા માટે રૂા.૧,૫૧,૦૦,૦૦૦/-(રૂપિયા એક કરોડ એકાવન લાખ) નુ દાન પણ આપેલ અને તે બદલ તેમને ક્રાંતિચક્ર એવોર્ડ મળેલ.
વિશેષમા, તા૨૩/૧૨/૨૦૨૧ ને ગુરૂવારના રોજ પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ દ્વારા ધાબળાનું વિતરણ કરવામાં આવેલ, તા.૧૨/૧૨/૨૦૨૧ને રવિવારના રોજ સાડીઓ તથા ધાબળાનું વિતરણ કરવામાં આવેલ, તા.૦૫/૧૨/૨૦૨૧ ને રવિવારના રોજ પૂજય સ્વામીજીના ભકિત નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરૂરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમાં આ વર્ષે સતત ત્રીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવેલ. તા.૦૨/૧૨/૨૦૨૧ ને ગુરૂવારના રોજ પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસના ઊંઝાના આશ્રમ પરથી ધાબળાનું વિતરણ કરવામાં આવેલ. તા૨૮/૧૧/૨૦૨૧ ને રવિવારના રોજ પૂજય સ્વામીજીના ભકિત નિકેતન આશ્રમ દંતાલી-પેટલાદથી જરૂરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુમા આ વર્ષે બીજીવાર ધાબળાનું વિતરણ કરવામાં આવેલ,તા.૧૪/૧૧/૨૦૨૧ ને રવિવારના રોજ પૂજય સ્વામીજીના ભકિત નિકેતન આશ્રા દંતાલી-પેટલાદથી જરૂરીયાતમંદ હજારથી વધુ પરિવારોને શિયાળાની ઋતુ પહેલાજ ધાબળાનુ વિતરણ કરવામા આવેલ, આ ઉપરાંત તા.૦૬/૦૬/૨૦૨૧ ને રવિવારના રોજ કર્મકાંડી બ્રાહ્મણો ને અનાજ અને રોકડ રકમ આપવામાં આવી હતી અને પેટલાદના ઘોડાગાડી (બગી) વાળાને પણ રોકડ રકમ આપીને સહાય કરવામાં આવેલ.
પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમ હંસના ભકિત નિકેતન આશ્રમ (દંતાલી) થી લોકડાઉનના કપરા સમય દરમ્યાન અને ત્યારબાદ પણ જરૂરીયાતમંદ હજારો પરિવારોને સંપૂર્ણ રાશનકીટનુ અનેક વખત વિતરણ કરેલ છે.
કોરોનાની મહામારી વિષે સમગ્ર જગત વાખેફ છે,કોવિડ-૧૯ ના બીજા વેવમા પહેલા કરતા પણ ભયંકર પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે બિમાર માણસોને પડતી વિવિધ મુશ્કેલીઓ જોઇને અને તેમા પણ ઓકિસજનની અછત જોઇને પૂજય સ્વામીજીએ પેટલાદની સિવિલ હોસ્પિટલમા તાત્કાલીક યુધ્ધના ધોરણે ઓકિસજનો પ્લાન્ટ ઊભો કરવામા આવે તે માટે રૂા.૩૫,૦૦,૦૦૦/-(રૂપિયા પાંત્રીસ લાખ)પુરા આપીને માનવતાનુ શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલ છે જે કયારેય ભુલી શકાય તેમ નથી. વિશેષમા, પૂજય સ્વામીજીના ‘‘ભકિત નિકેતન આશ્રમ'' દ્વારા ત્રણ વૃધ્ધાશ્રમ, રાહતના દવાખાના, સદાવ્રત, શિષ્યવૃતિ, વિધવા સહાય, મેડીકલ સહાય, ગરીબ પરિવારોને રોકડ સહાય તેમજ(જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના) સ્મશાનમા લાકડાની સહાય, સેવાભાવી સંસ્થાઓને લાખો/કરોડો રૂપિયાનુ (છવ્વીસ કરોડ રૂપિયાથી વધુ)નુ દાન આપીને દરેક સમાજ, સાધુ સંસ્થાઓ,સંપ્રદાયો, પરિવારો અને મંડળોને ‘‘માનવતાથી મોટો કોઇ ધર્મ નથી'',‘‘સંપ્રદાય મૂકત ધાર્મિકતા'' તથા ‘‘એકતા પરમો ધર્મ,વીરતા પરમો ધર્મ'' સુત્રને સાર્થક કરીને સાચી રાહ બતાવી રહ્યા છે અને દરવર્ષે કરોડોનુ દાન પણ આપી રહ્યા છે.
સંત દ્વારા સરહદે સૈન્યની સેવા
રાજકોટ, તા. ૨૫ : સ્વામી સચ્ચિદાનંદજીએ નડેશ્વરી માતાજી મંદિર(નડાબેટ-ભારત-પાકીસ્તાન સરહદ)નો સંર્પર્ણ વિકાસ અને બારેમાસ સદાવ્રતની સેવા કરેલ છે અને દર રામનવમીએ લોકમેળો અને હજારો લોકોને ભોજન પ્રસાદ પણ કરાવેલ છે. વધુમાં કહીએ તો રાજસ્થાનથી કચ્છ સુધીની ભારત-પાકિસ્તાન સરહદ પર સખત ગરમીમાં સેવા આપતા આપણા બીએસએફ ના વીર જવાનોને સાયકલ, વોટર ક્ૂલર અને વારંવાર મિઠાઇ તથા જરૂરી વસ્તુઓનુ વિતરણ પણ કરેલ છે.
પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજએ વધુમાં અનેક તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કોલરશીપ અને મફત પુસ્તકોની સહાય આપવી, સેવાભાવી મહિલા અગ્રણી તથા સંગીત ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિ પ્રાપ્ત કરનારને એવોર્ડ આપવા, લોહીની જરૂરીયાત પૂરી પાડવા માટે અનેકવાર રકતદાન કેમ્પ શિબિરનું આયોજન કરીને હજારો બોટલ રકત બ્લડ બેંકોને અર્પણ કરવુ. વિગેરે જેવી સેવાકીય પ્રવૃતિઓ પણ કરેલ છે.
તેઓએ ૧૫૦ થી વધુ પુસ્તકો લખ્યા છે અને આ પુસ્તકોનો હિન્દી,અંગ્રજી તથા મરાઠી ભાષામાં અનુવાદ પણ થયેલ છે. ઉપરાંત તેઓ ૫૦૦૦ થી વધુ પ્રવચનો દ્વારા સમાજમાં જાગૃતિ લાવી રહ્યા છે.
આ ઉપરાંત તેઓએ ફેસબુક પેજઃ‘‘ગુરૂ નહી માર્ગદર્શક'', ફેસબુક ગૃપઃ ‘‘મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ'', વોટ્સએપ ગૃપઃ ‘‘વીરતા પરમો ધર્મ'', ફ્રી વેબસાઇટઃ www.sacchidanji.org ,ટેલીગ્રામ ગૃપઃ ‘‘એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ''જેવી અસંખ્ય મીડિયા સાઇટ, ફોલોવર્સ દ્વારા ચલાવવામાં આવી રહી છે અને જાગૃતિ લાવવાનુ઼ કાર્ય સતત કરવામા આવી રહ્યુ છે.પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ અભિવાદન સમારોહ સમિતિમાં ડો.પુરૂષોત્તમ પીપરીયા, સુરેશભાઇ વેકરિયા, શામજીભાઇ ખૂંટ,લાલજીભાઇ માકડિયા,મનોજભાઇ જોષી, પ્રફુલભાઇ પાંભર કાર્યક્રમને સફળ બનાવવા માટ જેહમત ઉઠાવી રહ્યા છે. અને તેઓએ અપિલ કરતા જણાવેલ કે સન્માન કરનાર ઇચ્છુક ધર્માનુરાગી જનતા અને સંસ્થાઓએ પોતાના નામ તા.૨૬/૦૫/૨૦૨૨ સુધીમાં રાજકોટ પીપલ્સ કો-ઓપરેટીવ બેંક રાજકોટ/ ધિ રાજકોટ કોમર્શિયલ કો- ઓપરેટીલ બેંક લી. રાજકોટ ની કોઇપણ શાખામા નોંધાવી શકશે અને તા.૩૦/૦૫/૨૦૨૨ ના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવવામા આવે છે.(૩૯.૩)
સ્વામીજી દ્વારા ૨૬ કરોડનું દાન
સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજએ દક્ષિણ અમેરિકા અને વિશ્વના અનેક દેશોની વિદેશયાત્રા કરેલ. ૧૯૯૮-૨૦૦૦ દરમિયાન દક્ષિણ આફ્રિકા, યુરોપ, ટાન્ઝાનિયા અને ચીનની યાત્રા પણ કરેલ, ઉપરાંત ૨૦૦૬ મા આંદામાન અને ન્યુઝીલેન્ડ તેમજ શ્રીલંકાનો પ્રવાસ પણ પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજ એ કરેલ.
પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજની સેવાકીય પ્રવૃતિઓ વિષે વાત કરીએ તો,પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજએ નર્મદા બંધના વિરોધીઓનો વિરોધ કરીને સરદાર સરોવર ડેમ પૂર્ણ કરવામા તન-મન-ધનથી સંપૂર્ણ સહયોગ કરવા ઉપરાંત જળ સંકટ દૂર કરવા માટે ગુજરાતના તળાવોને ઊંડા કરાવી આપેલ અને એકડેમ બાંધવા માટે અનેક ગામોને આર્થિક સહયોગ કરેલ.
પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજે અનેક શાળાઓના વર્ગખંડો બનાવી આપેલ અને વિવિધ સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક સંસ્થાઓને વર્ણ-કોમ, જ્ઞાતિના ભેદભાવ વિના અત્યાર સુધીમાં રૂા.૨૬,૦૦,૦૦,૦૦૦/- (રૂપિયા છવ્વીસ કરોડ)થી વધુનુ માતબાર દાન અર્પણ કરેલ છે. તઓએ દંતાલી-કોબા-ગાંધીનગર અને ઊંઝાના ત્રણેય આશ્રમમાં વૃધ્ધાશ્રમો ખોલેલ અને અનેક સેવાકીય પ્રવૃતિઓ આપેલ. આ ઉપરાંત તેજસ્વી અને ગરીબ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સ્કોલરશિપ અને મફત પુસ્તકો આપેલ. ઉપરાંત ૨૦૦૧મા જયારે ભૂકંપથી સમગ્ર દેશ લડાઇ કરી રહ્યો હતો ત્યારે કચ્છના ભુકંપમા રાપરમા રાહત કેમ્પ અને બધાને માટે રસોડુ, જીવન જરૂરી વસ્તુઓ, તાડપત્રી અને ટેન્કરો દ્વારા પાણીની સેવા વિગેરે જેવા સેવાકીય કાર્યો પ.પૂ. સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજે કરેલ.