Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તસ્વીરકાર નિશેષ ગુણવંતભાઈ સેદાણીનું નિધન

ટેલીફોનીક બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે

રાજકોટ : અકિલા પરિવાર માટે દાયકાઓથી નિઃસ્વાર્થ, વિનામૂલ્યે સેવાઓ આપી રહેલ સૌરાષ્ટ્રના પ્રથમ હરોળના તસ્વીરકાર શ્રી નિશુ સેદાણી (નિશેષભાઈ ગુણવંતભાઈ સેદાણી)નું દુઃખદ અવસાન થયુ છે. આજે સવારે તેમની સ્મશાનયાત્રામાં નજીકના કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ, અગ્રણીઓ જોડાયા હતા.

સૌરાષ્ટ્રના ખૂબ જ નામાંકિત પ્રેસ ફોટોગ્રાફર સ્વ.ગુણવંતભાઈ સેદાણી (ફુલછાબ)ના પુત્ર શ્રી નિશુ સેદાણી એ પણ વડીલબંધુ શ્રી હિતેશ સેદાણી સાથે પ્રેસ ફોટોગ્રાફી ક્ષેત્રે ખૂબ મોટી નામના મેળવી હતી.

અકિલા સાથે સેદાણી પરિવારનો ત્રણ પેઢીનો નાતો રહ્યો છે. અકિલાના પ્રારંભથી જ બંને ભાઈઓ પત્રકારત્વ ક્ષેત્રે ખભે ખભો મિલાવી જોડાયા હતા. શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે અનેક યાદગાર બનાવોની તસ્વીરો નિશુ સેદાણીએ ઝડપી હતી. જેમાં અડવાણીજીની રથયાત્રા સમયે રાજકોટની ભાગોળે દરગાહમાં થયેલ વિસ્ફોટની વિજળીક ઝડપે તસ્વીરો લઈ અકિલામાં પ્રસિદ્ધ થઈ તે શીરમોર સમાન છે.

છેલ્લા કેટલાક સમયથી નિશુભાઈ કિડનીની બિમારીનો ભોગ બન્યા હતા. તેમની તબિયત બગડતા અને અચાનક ઓકિસજન લેવલ ખૂબ નીચુ જતા, તથા રાજકોટની એક પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે બેડ ઉપલબ્ધ નહિં બનતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. ડોકટરોએ તેમને બચાવવા વેન્ટીલેટર ઉપર લીધેલ પરંતુ રાત્રે ૯ાા આસપાસ જીવનદીપ બુઝાઈ ગયેલ.

'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રા, રાજેશભાઈ, નિમીષભાઈ અને સમગ્ર પરીવારે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલી પાઠવી હતી.

સ્વ.શ્રી નિલેષભાઈ (નિશુભાઈ- પ્રેસ એન્ડ કોમ.ફોટોગ્રાફર) (ઉ.વ.૫૬) રાજકોટ નિવાસી તે સ્વ.ગુણવંતભાઈ વ્રજલાલ સેદાણી (ફૂલછાબ પ્રેસ ફોટોગ્રાફર) તથા સ્વ.ઈન્દીરાબેન ગુણવંતભાઈના પુત્ર, તે આદિત્યભાઈના પિતાશ્રી તે પ્રો.હરિનભાઈ, પ્રો.શશીકાન્તભાઈ, ડો.પ્રવિણભાઈ તથા તરૂણભાઈ (વિડીયોગ્રાફર)ના ભત્રીજા, તે હિતેષભાઈ તથા જયેશાબેન કિર્તીભાઈ સેજપાલ (મુંબઈ)ના નાનાભાઈ, તે હિંમતભાઈ કાનજીભાઈ પોંદા (ભાવનગર)ના જમાઈ, તે નિતીનભાઈ ધનેશાના વેવાઈનું તા.૨૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

સદ્દગતનું ઉઠમણું- પ્રાર્થનાસભા વર્તમાન સંજોગોને આધિન રાખેલ નથી.  ટેલીફોનીક બેસણું તા.૨૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

હિતેશભાઈ મો.૯૪૨૮૨ ૫૦૨૯૮, આદિત્યભાઈ મો.૯૧૬૭૪ ૫૬૮૦૧, શશીકાન્તભાઈ મો.૯૮૨૫૩ ૬૩૩૪૪, તરૂણભાઈ મો.૯૮૯૮૪ ૯૩૬૫૨, ગીતાબેન મો.૯૪૦૮૧ ૮૩૨૬૨

ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ....

(12:20 pm IST)