Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ટાગોરનગરમાં પેઇનગેસ્ટ તરીકે રહેતી દેરડી કુંભાજીની કોલેજીયન યુવતીનો આપઘાત

પુનમ સોલંકી રાજકોટમાં બે વર્ષથી રહેતી હતી

રાજકોટ તા. રપઃ માલવીયાનગરનાં ટાગોરનગરમાં પેઇનગેસ્ટ તરીકે રહેતી અમરેલીના દેરડી કુંભાજીની કોલેજીયન યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ માલવીયાનગર પાસે ટાગોરનગર શેરી નં. ૧ માં પેઇનગેસ્ટ તરીકે રહેતી અમરેલીના દેરડી કુંભાજીની વતની પુનમ જેન્તીભાઇ સોલંકી (ઉ.વ.૧૯) એ રૂમમાં પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. તેની સાથે રહેતી અન્ય યુવતીએ પુનમને લટકતી હાલમાં જોઇ દેકારો બોલાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

અને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇ.એમ.ટી. પીયુષભાઇ પરમારે તપાસ કરતા તેણીનું મૃત્યુ નિપજયું હોવાનું જણાવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં માલીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. બી.બી. રાણા તથા રાઇટર દિગ્વિજયસિંહે સ્થળ પર પહોંચી યુવતિએ કયાં કારણોસર આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. મૃતક પુનમ રાજકોટમાં પેઇંનગેસ્ટ તરીકે છેલ્લા બે વર્ષથી રહેતી હતી તે કોલેજમાં અભ્યાસથી સાથોસાથ એક કલીનીકમાં નોકરી પણ કરતી હોવાનું જાણવા મળ્યું છે.

(11:33 am IST)