News of Tuesday, 25th January 2022
ઉદ્દઘાટનઃ રાજ્યના ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ આજે રાજકોટ પોલીસ હેડકવાર્ટર-મુખ્ય પોલીસ મથક ખાતે મહિલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારના બીજા નોકરીયાત મહિલાઓના બાળકો માટે શરૂ કરવામાં આવેલી સુવિધા વાત્સલ્ય અમૃત ઘોડીયાઘરનું ઉદ્દઘાટન કરતી વખતે કહ્યું હતું કે આ સુવિધા નોકરી કરતાં મહિલા પોલીસ કર્મચારીઓ અને બીજા પોલીસ પરિવારના મહિલાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. તેમની સાથે શ્રીમતી શ્રુતિ ભાટીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં. તસ્વીરોમાં ઘોડીયાઘરન ઉદ્દઘાટનના દ્રશ્યો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મહિલા પોલીસ કર્મચારીઓ અને સોૈથી નીચે શ્રી ભાટીયા સાથે રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપીશ્રી ખુરશીદ અહેમદ, રૂરલ એસપીશ્રી બલરામ મીણા, તમામ એસીપીશ્રી, તમામ પીઆઇશ્રી અને બીજા અધિકારીઓ જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૨૫: રાજ્યના ડીજીપીશ્રી આશીષ ભાટીયા સોમનાથ ખાતે પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં હાજરી આપવા જતાં હોઇ ગત રાતે રાજકોટ આવી પહોંચતા સરકિટ હાઉસ ખાતે તેમનું ગાર્ડ ઓફર ઓનરથી સન્માન કરાયું હતું. ટુંકા રોકાણ દરમિયાન આજે સવારે તેઓ સોમનાથ જવા રવાના થયા એ પહેલારાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે ‘વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર'નું લોકાર્પણ તેમણે કર્યુ હતું. આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા વર્ષ ૨૦૨૧ના વર્ષમાં કરવામાં આવેલી કામગીરીની બૂકલેટ બહાર પાડવામાં આવી હોઇ તેનું વિમોચન પણ શ્રી ભાટીયાએ કર્યુ હતું અને કહ્યું હતું કે રાજકોટ પોલીસે ખુબ સારુ કામ કર્યુ છે. ગંભીર ગુનાઓ ઘટયા છે. બૂકલેટને સ્ટેટ લેવલ સુધી મોકલવામાં આવશે. નવા કાયદાઓનો પણ રાજકોટ પોલીસે ખુબ સારો ઉપયોગ કર્યો છે. મહિલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ પરિવારના બીજા મહિલાઓ કે જે નોકરી પર જાય છે તેમના બાળકોને સાચવવા માટે ઘોડીયાઘર આશીર્વાદરૂપ બની રહેશે. તેમ શ્રી ભાટીયાએ જણાવ્યું હતું. પ્રારંભ સાથે જ ઘોડીયાઘરમાં ૫૦ બાળકોની નોંધણી થઇ ચુકી છે.
ં સમગ્ર ભારત દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી હોઇ તેમજ આવતી કાલે ૨૬મી જાન્યુઆરીની ઉજવણી થવાની હોઇ રાજકોટ શહેર પોલીસની હદની શરૂઆત જ્યાંથી થાય છે તે અમદાવાદ હાઇવે રોડ ઉપર હોલીવૂડ સાઇન બોર્ડ જેવુ ‘રાજકોટ શહેર પોલીસ' હોર્ડીંગ બનાવવામાં આવ્યું હોઇ તેને તિરંગી રોશનીથી સુશોભીત કરાયું છે. ડીજીપી શ્રી આશીષ ભાટીયા તથા શ્રીમતી શ્રુતી ભાટીયા મેડમ રાતે રાજકોટ આવી રહ્યા હોઇ તેમણે અમદાવાદ હાઇવે પર રાજકોટ શહેર પોલીસનું હોર્ડિંગ નિહાળતાં તેઓ ખુશ થયા હતાં.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ દ્વારા શહેર પોલીસ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને જરૂરી તમામ સુવીધાઓ મળી રહે તે માટે સતત પ્રયાસો કરવામાં આવે છે. મુખ્ય પોલીસ મથક-હેડક્વાર્ટર ખાતે રીક્રીએશન ગાર્ડન, ચીલ્ડ્રન પ્લે એરીયા, બાસ્કેટ બોલ કોટ, વોલીબોલ કોટ, ફૂટબોલ ગ્રાઉન્ડ, અંબાજી મંદિરનુ નિર્માણ તથા જીર્ણોધાર કરી પોલીસ મુખ્ય મથકની કાયાપલટ કરવામાં આવી છે. આ કારણે અહિ અનેક સુવિધાઓનો વધારો થયો છે.
હેડક્વાર્ટરના પોલીસ પરિવારોને અગાઉ રાંધણ ગેસ માટે સીલીન્ડર મંગાવવા પડતાં હતાં. પરંતુ હવે ઘરે ઘરે ગેસનીલાઇની સુવિધા મળે તે માટે કામગીરી શરૂ થઇ છે. શહેર પોલીસ દળમાં મહિલા કર્મચારીઓ પણ ફરજ બજાવી રહ્યા હોઇ તેઓને પોલીસની ફરજ સાથે પરિવાર તથા બાળકોની દેખભાળ પણ રાખવાની હોય છે. આ બાબતનો ખાસ ખ્યાલ રાખી શ્રી અગ્રવાલ અને શ્રી અહેમદે હેડક્વાર્ટર ખાતે ઘોડીયાઘરની શરૂઆત કરવાનો વીચાર કરી ‘વાત્સલ્ય અમૃત ઘોડિયાઘર'ની શરૂઆત કરાવી છે. જેથી પોલીસ પરિવારના બાળકો એકલા ન રહે. મહિલા કર્મચારીઓ ફરજ પર જાય ત્યારે પણ તેમના બાળકોની ચિંતા ન રહે. આ ઘોડીયાઘર મહિલા પોલીસ કર્મચારીઓ તથા પોલીસ પરિવારના બીજા મહિલાઓ કે જેઓ અન્ય નોકરી કરતા હોય તેમના બાળકોને સાચવવા માટે આશીર્વાદ રૂપ સાબિત થશે.
ઘોડિયાઘરમાં બાળકોને સારૂ વાતાવરણ મળી રહે તે માટે ેખભાળ માટે ખાસ બે આયા બહેનો અહિ કામ કરશે. તેમજ એક મહિલા પોલીસ કર્મચારી પણ સતત અહિ ફરજ બજાવશે. બાળકોને સ્વસ્થ અને સુરક્ષીત વાતાવરણ મળી રહે તેનો ખાસ ખ્યાલ રખાશે. ઘોડીયાઘરની દિવાલો પર અલગ અલગ પ્રકારના કાર્ટૂન તેમજ અભ્યાસને લગતા ચિત્રો બનાવાયા છે. રમત ગમતના સધનો અનેબીજી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ ઘોડીયાઘરમાં પોતાનું બાળક સુરક્ષીત છે તે સતત નિહાળી શકાય તે માટે બાળકના વાલીઓના મોબાઇલ ફોનમાં લાઇવ સીસીટીવી કનેક્શન અપાયા છે. જેથી વાલી ગમે ત્યં હોય તે ઘોડીયાઘરમાં રાખેલા પોતાના બાળક પર નજર રાખી શકે છે.
હાલ ઘોડીયાઘરમાં પોલીસ પરિવારના ૫૦ બાળકોની નોંધ થઇ છે. ડીજીપીશ્રી આશીષ ભાટીયા તથા શ્રીમતી શ્રુતી ભાટીયા મેડમના શુભ હસ્તે આજે સવારે ઘોડીયાઘરનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરંત શહેર પોલીસની વર્ષ ૨૦૨૧ની કામગીરીની બૂકલેટનું પણ ડીજીપીશ્રી આશીષ ભાટીયાના હસ્તે વીમોચન કરાયું હતું.
ત્યારબાદ શ્રી આશિષ ભાટીયા અને શ્રીમતિ શ્રુતિ ભાટીયાએ હેડક્વાર્ટર ખાતે અંબાજી માતાજીના મંદિર ખાતે પહોંચી દર્શન કર્યા હતાં. એ પહેલા જનરલ સેલ્યુટ અને પ્રતિજ્ઞા વિધી થઇ હતી. આ પ્રસંગે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, રૂરલ એસપીશ્રી બલરામ મીણા, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ડી. વી. બસીયા, એસીપી જે. એસ. ગેડમ, એસ.આર. ટંડેલ, એસ. ડી. પટેલ, વી.આર. મલ્હોત્રા, જે. એસ. બારીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ જે. ડી. ઝાલા, એલ. એલ. ચાવડા, સી. જે. જોષી, કે. એન. ભુકણ, જે. વી. ધોળા, એ. એસ. ચાવડા, વી. જે. ચાવડા, જી. એમ. હડીયા, એસ.આર. પટેલ, બી. એમ. કાતરીયા, એન. એન. ચુડાસમા, મયુર કોટડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.
ડીજીપીશ્રીએ ઘોડીયાઘરની સુવિધા કેટલી ઉપયોગી છે? તે અંગે મહિલા કર્મચારીને પુછતાં તેમણે કહ્યું હતું કે પહેલા મારે બાળકને ઘરે મુકીને ફરજ પર જવું હોય તો સતત બાળકની ચિંતા રહેતી હતી. હવે અ સુવિધાને કારણે હું શાંતિપુર્વક નોકરી કરી શકુ છું. રાજકોટ શહેર પોલીસે કરેલી વર્ષ ૨૦૨૧ની કામગીરીની પણ ડીજીપીશ્રીએ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજકોટ પોલીસે કરેલી કામગીરીને કારણે ક્રાઇમ રેટ ઘટયો છે, ગંભીર ગુના પણ ઘટયા છે. તે નોંધપાત્ર છે. નવા કાયદાઓનો પણ રાજકોટ પોલીસે ખુબ સારી રીતે ઉપયોગ કર્યો છે. સારી કામગીરીની આ બૂકલેટને સ્ટેટ લેવલે મોકલવામાં આવશે. જેના કારણે શહેર પોલીસની કામગીરીની બધાને જાણ થઇ શકશે. તેમ શ્રી ભાટીયાએ વધુમાં કહ્યું હતું.
શહેર પોલીસની વર્ષ ૨૦૨૧ની કામગીરીની બૂકલેટનું વિમોચન
શહેર પોલીસે વર્ષ ૨૦૨૧માં કરેલી તમામ કામગીરીની સચીત્ર-વિસ્તૃત અહેવાલ સાથેની બૂકલેટનું પણ ડીજીપીશ્રી ભાટીયાએ વિમોચન કર્યુ હતું. આ બૂકલેટ સાથે તેમની સાથે શહેર પોલીસ કમિશનર, જોઇન્ટ પોલીસ કમિશનર, રૂરલ એસપી, ડીસીપી જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)