Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગ્રામ્ય વિસ્તારોમાં જીલ્લા પંચાયતનો નવતર પ્રયોગઃ ટેકોએપ દ્વારા પ્રશ્નોતરી

નોવેલ કોરોના વાઇરસ જેવી વૈશ્વિક મહામારીના સમયમાં જિલ્લાઓમાં આ રોગનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્રના કોરોના યોદ્ઘાઓ ચોવીસે કલાક કાર્યરત છે. કોવિડ-૧૯ના સંક્રમણને ખાળવા વિવિધ માધ્યમો દ્વારા લોકોને માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું તેમજ સમયાંતરે સાબુથી હાથ ધોવા અંગે જાણકારી આપવામાં આવી રહી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં વસતાં લોકો સુધી આ જાણકારી ખરેખર પહોંચે છે કે કેમ ? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તંત્ર દ્વારા એક અભિનવ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો.

જે અન્વયે જિલ્લા પંચાયત ખાતે કાર્યરત કોલ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓને આરોગ્યના ટેકો એપમાં નોંધાયેલા લોકો પૈકી સંક્રમિત થયેલા તેમજ સંક્રમિત ન થયેલા ૨૧૭ લોકોને પ્રયોગ માટે પસંદ કરવામાં આવ્યા. તેમને ફોન કરી અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમ કે કોવિડ - ૧૯ના સંક્રમણથી બચવા લોકોએ માસ્ક પહેરવું જોઈએ કે નહીં ? ત્યારે ૨૧૭ પૈકી ૨૧૪ લોકોએ હા પાડી હતી. એટલે કે, ૯૮% લોકો માને છે કે, માસ્ક પહેરવું જરૂરી છે. બીજો પ્રશ્ન એ હતો કે, સાબુથી હાથ ધોવા જોઈએ? તેના જવાબમાં તમામ ૨૧૭ લોકોએ હા પાડી હતી. તેથી ૧૦૦% લોકો હાથ ધોવાની બાબતથી અવગત છે. પછીનો પ્રશ્ન હતો, સામાજિક અંતર જાળવવું જરૂરી? તેનો ૨૧૬ લોકોએ હકારાત્મક જવાબ આપ્યો એટલે કે, ૯૯% લોકો માને છે કે, સામાજિક અંતર જાળવવું જરૂરી છે.

આ પ્રયોગના પરિણામે જાણવા મળ્યું કે, ગ્રામ્ય વિસ્તારના મહત્ત્।મ લોકો કોવિડ-૧૯ થી બચાવ અંગેનું જ્ઞાન ધરાવે છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે કે, આ મહામારીથી બચવા તમામ લોકોનો સહયોગ જરૂરી છે. તેથી સરકારી ગાઈડલાઈન અનુસરવી તેમજ સાવચેતી માટેની તમામ માર્ગદર્શક સુચનાઓનું પાલન કરવું.

(1:29 pm IST)