Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

આર્થિક ભીંસ દૂર કરવા સાળો-બનેવી ઠગાઇ કરતા'તાઃ કેશોદનો અબુબકર અને જુનાગઢનો સલિમ પકડાયા

સલિમ મહાત્મા બનતો, તેનો બનેવી અબુબકર રાહદારીને રોકીને કહેતો...સામે ઉભા એ મહાત્મા છે, તકલીફો દૂર કરશે, ઘરેણા ડબલ કરી દેશે...કોઇ લલચાય જાય તો દાગીના ઉતરાવી નજર ચુકવી રૂમાલમાં પાણકા બાંધીને આપી દેતાં : અગાઉ પાંચ ગુનામાં સંડોવણીઃ આજીડેમ પોલીસે પકડીને ખારચીયાનો ગુનો ડિટેકટ કર્યોઃ દાગીના અને બાઇક કબ્જેઃ પીએસઆઇ જી. એન. વાઘેલા અને ટીમની કામગીરીઃ રિમાન્ડની તજવીજ

રાજકોટ તા. ૨૩: સાત દિવસ પહેલા  સરધારના ખારચીયા ગામમાં નિરાલી ફાર્મ હાઉસ સામે રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર એક મહિલાને એક શખ્સે અટકાવી દૂર ઉભેલો બીજો શખ્સ મહાત્મા છે, તે કોઇપણ નડતર દૂર કરી દે છે અને દાગીના હોય તો મંતરીને એકના ડબલ કરી આપે છે. તેવી વાતો કરી મહિલાને ભોળવી તેના પતિની બિમારી દૂર કરી દેવાની અને સોનાના દાગીના ડબલ કરી આપવાની લાલચ દઇ તેની પાસેની સોનાની બુટી અને કાન સર મળી રૂ. ૨૫૮૧૦ના ઘરેણા લઇ મંતરવાના બહાને રૂમાલમાં દાગીના મુકી રૂમાલની ગાંઠી વાળી મહિલાને આપીને જતાં રહ્યા હતાં. રૂમાલ મંદિરમાં મુકી દેવાનું અને પછી ખોલવાથી દાગીના ડબલ થઇ જશે અને ઘરનું નડતર દૂર થઇ જશે તેમ કહ્યું હતું. મહિલાએ ઘરે જઇને રૂમાલ ખોલતાં અંદરથી પથ્થર નીકળ્યા હતાં. આ ગુનાનો ભેદ આજીડેમ પોલીસે ઉકેલી નાંખી કેશોદ અને જુનાગઢના ગઠીયા સાળા-બનેવીને પકડી લીધા છે. આર્થિક ભીંસ દુર કરવા બંને આવા રવાડે ચડ્યાનું રટણ કરે છે.

સરધાર પીએસઆઇ જી. એન. વાઘેલાને મળેલી માહિતી પરથી આજીડેમ ચોકડીથી આગળ માંડા ડુંગરની ગોળાઇ પાસે વોચ રાખી બે ગઠીયા  અબુબકર સુલેમાનભાઇ પડાયા (ઉ.વ.૪૫-ધંધો વેપાર, રહે . લીમડા ચોક મોચી બજાર મહેબૂબ પાન સામે કેશોદ) તથા તેના સાળા સલીમ મજીદભાઇ મકવાણા (ઉ.વ.૫૦- ધંધો, ભંગારની ફેરી રહે. હર્ષદનગર મસ્જિદની સામે સુમારભાઇ ફકીરના મકાનમાં ભાડે જુનાગઢ, મૂળ મોટા લીલીયા મફત પ્લોટ સ્મશાનની સામે  જી. અમરેલી)ને પકડી લઇ દાગીના અને બાઇક કબ્જે કર્યા છે.

આ બંને સાળો બનેવી ઠગાઇ કરવાના હેતુથી બાઇક લઇને નીકળતાં હતાં. સલિમ મહાત્મા બનતો અને અબુબકર ચેલો બનતો હતો. રસ્તે નિકળતા માણસોને પોતાની વાતમા ં ભેળવી વિશ્વાસમા ં લઇ મહાત્મા પાસે દાગીના મંતરાવશો તો બીમારી મટી જશે, ઘરનું નડતર દૂર થશે અને ઘરેણા ડબલ થઇ જશે તેવી વાતો કરી ઠગાઇ કરવાની ટેવ ધરાવે છે. આ બંને જુનાગઢ જીલ્લા વિસ્તારમા ં આવા ગુના વધુ પ્રમાણમાં આચરે છે. આ બંને અગાઉ વંંથલી, જામજોધપુર, ભાયાવદર, ઉપલેટા,  જુનાગઢ બી ડીવીઝનમાં આ પ્રકારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયા છે.

પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મિણા તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પૂર્વ એચ.એલ.રાઠોડએ આ ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપી હોઇ  આજીડેમના પીઆઇ વી.જે. ચાવડા, પીએસઆઇ જી.એન. વાઘેલા, એએસઆઇ કાળુભાઇ વી. ગામેતી, હેડકોન્સ. જનકસીહ  વાઘેલા તથા કોન્સ. વિક્રમભાઇ બકુત્રાએ આ કામગીરી કરી હતી. વિશેષ પુછતાછ માટે બંનેના રિમાન્ડની તજવીજ થઇ રહી છે.

(11:47 am IST)