Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જસદણ નજીક છકડો અને ઓટો રિક્ષા અથડાતાં ભરવાડ વૃધ્ધનું મોતઃ રાજકોટના બે યુવાનને ઇજા

વિંછીયાના ભોયરા ગામના આંબાભાઇ બાંભવા (ઉ.૪૫)એ રાજકોટમાં દમ તોડ્યોઃ રાજકોટનો લાલો અને રાજેશભાઇ સારવારમાં

રાજકોટ તા. ૨૨: જસદણ નજીક લીલાપુર પાસે રામેશ્વર ઇન્ડસ્ટ્રીઝ નજીક રાત્રીના છકડો રિક્ષા અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા છકડામાં બેઠેલા વિંછીયાના ભોંયરા ગામના ભરવાડ આધેડનું મોત નિપજ્યું હતું. જ્યારે ઓટો રિક્ષાના ચાલક રાજકોટના વાલ્મિકી યુવાન અને સાથેના તેના મિત્ર બાવાજી યુવાનને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ જસદણ નજીક રાત્રે સાડા દસેક વાગ્યે છકડો રિક્ષા અને ઓટો રિક્ષા અથડાતાં છકડામાં પાછળ બેઠેલા ભોંયરા ગામના આંબાભાઇ મૈયાભાઇ બાંભવા (ભરવાડ) (ઉ.૪૫) તથા ઓટો રિક્ષાના ચાલક રાજકોટ કિડની હોસ્પિટલ પાછળ રહેતાં લાલો ખીમજીભાઇ પરમાર (વાલ્મિકી) (ઉ.૨૪) અને પાછળ બેઠેલા તેના મિત્ર રૈયા રોડ પાણીના ટાંકા પાસે રહેતાં રાજેશભાઇ પરષોત્તમભાઇ રામાવત (બાવાજી) (ઉ.૪૫)ને ઇજાઓ થતાં ત્રણેયને જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

પરંતુ અહિ આંબાભાઇનું મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં અને છૂટક મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે. છકડોના ચાલકને પણ નજીવી ઇજા થઇ હતી.

જ્યારે રાજકોટનો લાલો પોતાનું સર્ટી કઢાવવાના કામે જસદણ તરફ ગયો હતો. ત્યાંથી પરત આવતી વખતે અકસ્માત સર્જાયો હતો. તે બે ભાઇમાં નાનો છે. (૧૪.૫)

(9:38 am IST)