Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

સોમવારે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ૫૬ મો સ્‍થાપના દિવસ : ઉત્‍સવ અસ્‍તિત્‍વનો શાનદાર કાર્યક્રમ યોજાશે

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન ૨૩૪ કોલેજો યોગ અંગે એમઓયુ કરશે : પૂર્વકુલપતિઓની ઉપસ્‍થિતી રાત્રે લોકસંગીતનો કાર્યક્રમ

રાજકોટ,તા. ૨૦ : તા. ૨૩મી મે એ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી તેની વિકાસયાત્રાના ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬માં વર્ષમાં  પ્રવેશ કરી રહી છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની સ્‍થાપના તા. ર૩ મે ૧૯૬૭ ના રોજ થયેલ ત્‍યારથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો. ડોલરરાય માંકડથી આજદિન સુધીના કુલપતિશ્રીઓના નેતૃત્‍વ હેઠળ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ દેશની મોખરાની યુનિવર્સિટીઓમાં સ્‍થાન પ્રાપ્‍ત કર્યું છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના તત્‍કાલીન કુલપતિશ્રીઓ, વિવિધ અધિકાર મંડળો, અધિકારીઓ અને યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારીઓના સામુહિક પરિશ્રમના ફળ સ્‍વરૂપે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સમગ્ર રાજયમાં અગ્રીમ હરોળમાં સ્‍થાન પ્રાપ્‍ત કરી શકી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં શૈક્ષણિક, સંશોધનાત્‍મક, માળખાકિય સુવિધાઓ અને સુદ્રઢ વહીવટીતંત્રના કારણે છેલ્લા પાંચ દાયકાથી કોલેજોની સંખ્‍યા, વિદ્યાર્થીઓની સંખ્‍યા અને વિવિધ અભ્‍યાસક્રમો તથા વિવિધ પરીક્ષાઓને કારણે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું માળખુ ઘણું વિશાળ થયું છે. ૧૯૬૭ માં સ્‍થાપનાકાળ વખતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૩પ કોલેજો અને ૧૮૦૦૦ વિદ્યાર્થીઓ હતા. હાલમાં ર૦૧૬ માં જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટીની સ્‍થાપના થતા તેના કાર્યક્ષેત્ર હેઠળની ચાર જીલ્‍લ્લાની ૯૪ જેટલી કોલેજો સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાર્યક્ષેત્રમાંથી બાદ થતા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં હાલમાં ર૩૪ કોલેજો કાર્યરત છે અને ર.પ૦થી વધુ વિદ્યાર્થીઓ સ્‍નાતક અને અનુસ્‍નાતકકક્ષાએ અભ્‍યાસ કરી રહયા છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં સ્‍થાપનાકાળથી પ્રથમ કુલપતિ તરીકે લબ્‍ધપ્રતિષ્ઠિત, ડો. ડોલરરાય માંકડ જેવા શિક્ષણના પાયાના પત્‍થરના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ વિકાસયાત્રામાં ગુજરાતના હાઈકોર્ટના જજ તરીકે જવાબદારી સભાંળતા એવા શ્રી એ.આર. બક્ષી, નિવૃત કલેકટર અને સનદી અધિકારીશ્રી રસિકભાઈ શુકલ જેવા કાબેલ વહીવટકર્તા તેમજ શિક્ષણ જગતમાં જેમનું મોખરાનું સ્‍થાન રહેલ છે તેવા શ્રી જે.બી. સાંડીલ્‍ય, ડો. હરસુખભાઈ સંઘવી, યશવંતભાઈ શુકલ, પ્રો. દેવરતભાઈ પાઠક, ડો. કે.એન. શાહ, પદ્મશ્રી ડો. સિતાંશુભાઈ મહેતા, ડો. શંકરભાઈ દવે, ડો. જયેશભાઈ દેસાઈ, ડો. હરસીતભાઈ જોશી, ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોશીપુરા, ડો. મહેન્‍દ્રભાઈ પાડલિયા, પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, ડો. નીતિનભાઈ પેથાણી સહિતના વિવિધ પ્રકારના અનુભવ, કૌશલ્‍ય ધરાવતા શિક્ષણ અને અન્‍ય ક્ષેત્રના તજજ્ઞ અને નિષ્‍ણાંત કુલપતિશ્રીઓનું માર્ગદર્શન પ્રાપ્‍ત થયું છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણી એ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૬ મા સ્‍થાપના દિવસે યોજાનારા કાર્યક્રમોની વિગતો આપતા જણાવ્‍યું હતું કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસમાં તા. ર૩/પ/ર૦રર, સોમવારના સવારે ૧૧:૩૦ કલાકે કેમ્‍પસ સ્‍થિતીસરસ્‍વતી મંદિરે પૂજન-અર્ચન કરવામાં આવશે. ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ્રથમ આદ્ય કુલગુરૂ ડો. ડોલરરાય માંકડની પ્રતિમા, સ્‍વામિ વિવેકાનંદજીની પ્રતિમા તથા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલી તથા ફુલહાર અર્પણ કરી ભાવાંજલી અર્પણ કરશે અને યુનિવર્સિટી કેમ્‍પસના મુખ્‍ય વહીવટી બિલ્‍ડીંગમાં સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરવામાં આવશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીના સ્‍થાપના દિવસ નિમિતે ગુજરાત રાજય યોગ બોર્ડ સાથે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન ર૩૪ કોલેજોના એક સાથે યોગ અંગેના એમ.ઓ.યુ. કરવાનો વિશીષ્‍ટ કાર્યક્રમ સાજં ે ૬:૩૦ કલાકે કેમ્‍પસ પ્‍લાઝા ખાતે આયોજીત કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ત્‍યારબાદ જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડ, અરવિંદ બારોટ તથા કલાકવૃંદનો લોકસંગીતની સરવાણી કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમમાં ગુજરાત રાજયના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી (વર્ચ્‍યુઅલ), ગુજરાત રાજય યોગ બોર્ડના અઘ્‍યક્ષશ્રી શીશપાલજી રાજપૂત, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિશ્રીઓ સર્વશ્રી પદ્મશ્રી ડો. સિતાંશુભાઈ મહેતા, ડો. કનુભાઈ માવાણી, ડો. કમલેશભાઈ જોષીપુરા, ડો. મહેન્‍દ્રભાઈ પાડલિયા, પ્રો. પ્રતાપસિહં ચૌહાણ, ડો. નીતિનભાઈ પેથાણી તથા પૂર્વ કુલપતિશ્રીઓના પરિવારજનો સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૬ મા સ્‍થાપના દિવસે યોજાનાર આ કાર્યક્રમનું સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ યુનિવર્સિટીના ઓફીસીફલ ફેસબુક, ઈનસ્‍ટાગ્રામ, યુ-ટયૂબ પેઈજ પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પ૬ મા સ્‍થાપના દિવસ નિમિતે યોજાનારા કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિકાસમાં યથાયોગ્‍ય યોગદાન આપનારા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પાયાના પત્‍થરો સમાન પૂર્વ કુલપતિશ્રીઓ અને તેઓના પરિવારના સભ્‍યશ્રીઓ ઉપસ્‍થિત રહે તે માટે આમંત્રણ આપવામાં આવેલ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગિરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પરિવાર પ૬ મા સ્‍થાપના દિનના કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યરત છે.

(4:25 pm IST)