Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કાલે વિજયભાઇ રાજકોટમાં : વિકાસ યાત્રા બનશે વેગવંતી

મ.ન.પા.ની ચૂંટણી જાહેર થાય તે પહેલા વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુત કરી શહેરીજનો અનેક પ્રોજેકટની ભેટ આપશે મુખ્યમંત્રી

રાજકોટ, તા. ર૦ : સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ વિકાસની બાબતમાં ઝડપભેર આગળ વધી રહયું છે. રાજકોટને વિકાસના પથ ઉપર અગ્રેસર બનાવવા મુખ્યમંત્રી વિજયભાઇના હસ્તે તા. ૨૧એ વિવિધ કાર્યક્રમોના માધ્યમથી અંદાજિત રૂપિયા ૫૭૯ કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત - લોકાર્પણ થશે.

રાજકોટ ઓન ફાસ્ટટ્રેક તરીકે આગળ વધી રહેલા રાજકોટ શહેરને ૨૦૨૧ના વર્ષના પ્રારંભે મહાનગરપાલિકા - રૂડા દ્વારા આયોજીત કાર્યક્રમના માધ્યમથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂપિયા ૪૮૯ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળવા જઇ રહી છે. તા.૨૧મી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરમાં કોઠારીયા ચોકડીથી આગળ તિરૂપતિ હેડવર્કસ ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રીરાજકોટ મહાનગર પાલિકા- રૂડા પ્રેરીત રૂ. ૩૦૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૩૨ કરોડના કામોનું લોકાર્પણ કરાશે. જયારે રૂપિયા ૫૬.૫૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના ૪૧૬ આવાસોનો ડ્રો પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.

આ ઉપરાંત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધર્મેન્દ્રસિંહ કોલેજ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા ૮૯ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટ શહેરમાં તા. ૨૧ મી જાન્યુઆરીના રોજ ખાતમુહુર્ત - લોકાપર્ણ થનાર વિકાસ કાર્યોમાં રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ પાસે રૂપિયા ૨૫.૫૩ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અંડરબ્રીજ, અમૃત યોજના અંતર્ગત કોઠારીયા વાવડી વિસ્તારમાં પાણીની સુવિધા માટે રૂપિયા ૧૭.૧૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ પંપહાઉસના કામો અને રૂપિયા ૮૨.૫૨ કરોડના ખર્ચે હાથ ધરાયેલા ડી.આઇ.પાઇપ લાઇનના કામો તેમજ રૂપિયા ૫.૯૨ કરોડના મશીનરીના કામો અને રૂપિયા ૭૦ લાખના ખર્ચે આઇ.ટી.એમ.એસ પ્રોજેકટ અંતર્ગત સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરવામાં આવશે.

રાજકોટને ટ્રાફીકની સમસ્યાથી મુકત કરવા રાજય સરકારના અભિયાન અંતર્ગત કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ જંકશન, કે.કે.વી. ચોક પર તથા જડુસ ચોકમાં નિર્માણ થનાર ફોરલેન ફલાય બ્રીજનું રૂપિયા ૧૫૮.૦૫ કરોડના ખર્ચે અને રૂપિયા ૮૧.૩૪ કરોડના ખર્ચે નાના મવા ચોક અને રામદેવપીર ચોકમાં હાથ ધરાનાર ફોરલેન બ્રીજનું ખાત મુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત કુલ રૂપિયા ૧૧.૦૮ કરોડના ખર્ચે રોડ તેમજ ડ્રેનેજ લાઇનના ૮ કામો તેમજ રૂપિયા ૩.૨૦ કરોડના ખર્ચના બ્લોકના પેવીંગ ૧૭ કામો અને ૮૩ લાખની કિંમતના ૨ કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો મળી કુલ રૂપિયા ૨૫૪.૫૦ કરોડના ૨૯ જેટલા કામોનું ખાત મુહૂર્ત તેમજ રૂડા દ્વારા વિવિધ સ્થળોએ રીંગ રોડ, ડી.પી.રોડ અને બ્રીજના રૂપિયા ૪૬.૧૯ કરોડના કામોનું મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા લોકોને ઘરનું ઘર મળે તેવી સરકારની યોજના અંતર્ગત પ્રધાનમંત્રીશ્રી આવાસ યોજના અને મુખ્યમંત્રીશ્રી આવાસ યોજના અંતર્ગત રૂ. ૫૬.૫૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૪૧૬ આવાસનો ડ્રો મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના વિસ્તારોમાં ૮૯.૬૨ કરોડના કામોનું ખાતમુહૂર્ત-લોકાપર્ણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે. જેમાં ગોંડલ નગરપાલિકાના રૂપિયા ૧૧.૫૧ કરોડના રેલ્વે ઓવરબ્રીજ, જસદણ નગરપાલિકાના રૂપિયા ૫૭.૩૬ લાખના રસ્તાના કામો અને ઉપલેટા આઇ.ટી.આઇ.ના રૂપિયા ૮.૨૭ કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત ઉર્જા અને પેટ્રોલ કેમિકલ્સ- જેટકો દ્વારા રૂપિયા ૨૧.૭૩ કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનોના ૪ કામોનું લોકાર્પણ અને રૂપિયા ૪૭.૫૭ કરોડના પાંચ કામ મળી કુલ રૂપિયા ૬૮.૮૪ કરોડના કામોનું ખાતમુહુર્ત - લોકાર્પણ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીના રાજકોટ ખાતેના વિકાસકામોના ખાતમુહુર્ત- લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મહેસુલ વિભાગ દ્વારા સુચિત સોસાયટીના કુલ ૨૩૫ દાવા મંજુરીના હુકમોનું વિતરણ, ૧૦૦ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ અને જસદણ-વીછીયા તાલુકાના વિચરતી વિમુકત જાતીના ૧૦૦ પરિવારોને સનદ વિતરણ તેમજ ગોંડલ દેવીપૂજક સમાજના લોકોને ૧૬૬ સનદનું વિતરણ અને રાજકોટના શંકટમોચન સહાયના ૨૦ લાભાર્થીઓને સહાય હુકમનું વિતરણ પણ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવશે.

(3:49 pm IST)