Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

જે કામ કરો તેમાં રાષ્ટ્રપ્રેમ છલકાવો : કિરણ બેદી

રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામિ વિવેકાનંદ જયંતિ નિમિતે યોજાયો ઓનલાઇન પરિસંવાદ

રાજકોટ : સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિની ઉજવણીના  ભાગરૂપે શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા 'સ્વામી વિવેકાનંદનો આધુનિક યુવાનોને સંદેશ' વિષય પર એક દિવસીય હિન્દી પરિસંવાદનું આયોજન રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ, ફેસબુક અને યુ-ટયુબ પર કરવામાં આવ્યું હતું. જેમાં દસ દેશ અને  ૨૪ રાજયોના ૭૯૦ લોકોએ રજીસ્ટ્રેશન  કરાવ્યું હતું. લાઈવ પ્રસારણ દરમિયાન યુ-ટયુબના માધ્યમથી ૪૫૧૧ અને ફેસબુકના માધ્યમથી ૧૮૫૦ લોકો આ પ્રેરણાદાયી પરિસંવાદ માણ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના કેબીનેટ મંત્રી પ્રતાપ સારંગી  અને રામકૃષ્ણ  મઠ અને મિશન બેલુરના  જનરલ સેક્રેટરી પૂ.સ્વામી સુવિરાનંદજી મહારાજ દ્વારા અપાયેલો  વિડીયો સંદેશ દર્શાવાયો હતો. વર્તમાન સમયમાં વિવિધ સમસ્યાઓના કારણે બાળકોથી માંડીને વડીલોમાં પણ જીવતર ટૂંકાવવાના બનાવો વધતા જાય છે ત્યારે  તેમનામાં આશાનો સંચાર થાય તેવી રીતે વિવિધ ક્ષેત્રમાં પડકારરૂપ કામગીરી કરી રહેલા યુવાનોના વકતવ્યો આ વેબિનારમાં રજુ થયા હતા. આ વેબીનારનું મુખ્ય વકતવ્ય આપતા પોંડીચેરીના લેફટનન્ટ ગવર્નર અને નિવૃત્ત આઈપીએસ ડો. કિરણ બેદીએ કહ્યું હતું કે, દેશવાસીઓનો એક જ મંત્ર હોવો જોઈએ લવ ઇન્ડિયા. તમે જે પણ કામ કરો છો તે ભારત પ્રત્યેના પ્રેમના કારણે કરો છો તેવું વિચારવું જોઈએ. જયારે કોઈ વ્યકિત ટેન્શનમાં આવી જાય ત્યારે તેણે રામકૃષ્ણ આશ્રમમાં જવું જોઈએ. સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવા જોઈએ. મારે જો બીજી વખત જન્મ લેવા માટે પસંદગી કરવાની હોય તો હું સ્વામી વિવેકાનંદ તરીકે જ જન્મ લેવાનું પસંદ કરૂ. સ્વામી વિવેકાનંદના સ્વદેશ મંત્રને જીવનભર અપનાવવા પર તેમણે ભાર મુકયો હતો. પોતાના વકતવ્ય બાદ તેમણે લોકોના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ એક દિવસીય પરિસંવાદના અન્ય વકતાઓમાં ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયન અને ભારતીય  બેડમિન્ટન ટીમના ભૂતપૂર્વ મુખ્ય રાષ્ટ્રીય કોચ પદ્મભૂષણ પુલેલા ગોપીચંદ, એક પગ ન હોવા છતાં એવરેસ્ટ સર કરનારી પ્રથમ મહિલા પર્વતારોહક અને તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ અને પદ્મશ્રી સન્માનિત અરુણીમા સિંહા, એક પગ,એક હાથ  અને એક પગનો અંગુઠો ન હોવા છતાં  રશિયાના સર્વોચ્ચ પર્વત એલ્બ્ર્સ સર કરનારા અને જાણીતા પેરા એથ્લીટ સાઇકલ ચેમ્પિયન ચિદુગુલ્લા શેખર, એન્ટાર્કટીકા સમુદ્ર તરીને પાર કરનારી પ્રથમ એશિયન અને  વિશ્વની સૌથી નાની વયની મહિલા તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ સન્માનિત ભકિત શર્મા, એક પગ ગુમાવ્યા છતાં આત્મવિશ્વાસપૂર્વક ફરી રમવાનું શરુ કરી ૨૦૧૯ ની પેરા બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપ અને ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતની જાણીતી પેરા બેડમિન્ટન એથ્લીટ માનસી જોશી અને  ડેક્ષટેરીટી ગ્લોબલના સ્થાપક અને સીઈઓ શરદ સાગરે આધુનિક યુવાનો માટે સ્વામીજીનો સંદેશ વિષય પર મનનીય વકતવ્યો આપ્યા હતા. સમગ્ર વેબીનાર  રામકૃષ્ણ આશ્રમની યુટ્યુબ ચેનલ  પર જોઈ શકાશે.

(3:03 pm IST)