Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વેરાવળ પાસે આઇશર સાથે અજાણ્યું વાહન અથડાતાં રાજકોટના સંજય પરમારનું મોત

નવાગામનો યુવાન ૧૪મીએ વેરાવળ સોમનાથથી પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતોઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: નવાગામ સાત હનુમાન પાસે સોખડા રોડ પર રહેતાં સંજય મનુભાઇ પરમાર (ઉ.વ.૨૨) નામના યુવાન તા. ૧૪/૧૦ના રોજ સોમનાથ વેરાવળથી આઇશર હંકારી રાજકોટ તરફ આવી રહ્યો હતો ત્યારે વેરાવળથી દસેક કિ.મી. રાજકોટ તરફ પહોંચતા અજાણ્યા વાહનના ચાલકે આઇશર સાથે અકસ્માત સર્જતાં ગંભીર ઇજા થઇ હતી. સારવાર દરમિયાન આજે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

સંજય બે ભાઇ અને એક બહેનમાં બીજો અને અપરિણીત હતો. તે આઇશરના ફેરા કરી પરિવારને મદદરૂપ થતો હતો. અકસ્માત સર્જાતા તે બેભાન થઇ ગયો હતો અને અડધો કલાક સુધી પોતાના વાહનમાં ફસાયેલો રહ્યો હતો. એ પછી મોર્નિંગ વોકમાં નીકળેલા યુવાનોએ તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ આજે દમ તોડી દીધો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડ અને જયમિન પટેલે કાગળો કરી વેરાવળ પોલીસને મોકલ્યા હતાં.

(3:56 pm IST)