Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

લોકમેળાએ આપણી સંસ્‍કૃતિને જીવંત રાખી છે : ભૂપેન્‍દ્રભાઇ

અમૃત લોકમેળાનો ધડાકાભેર પ્રારંભ : રાત્રે રાજકોટની રંગીલી પ્રજા ઉમટી પડી : અમૃત યોજના પુસ્‍તકનું વિમોચન : મુખ્‍યમંત્રી રાહત ફંડમાં કલેકટર દ્વારા ૫૧ લાખ ૧૧ હજારનો ચેક અર્પણ : મુખ્‍યમંત્રી - વજુભાઇ સહિતના મહાનુભાવો ‘ચકડોળે' ચડયા

મેળાનું દબદબાભેર ઉદ્‌ઘાટન : અભિવાદન ઝીલ્‍યા બાદ ભૂપેન્‍દ્રભાઇ - વજુભાઇની ચકડોળમાં લટાર...
રાજકોટ : કલેકટર તંત્ર દ્વારા આયોજીત અમૃત લોકમેળાનું ઉદ્‌ઘાટન કરતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, બાજુમાં વિજયભાઇ રૂપાણી, અરવિંદ રૈયાણી, વજુભાઇ વાળા, રામભાઇ મોકરીયા નજરે પડે છે. બીજી તસ્‍વીરમાં લોકોનું અભિવાદન ઝીલતા મુખ્‍યમંત્રી, ત્રીજી - ચોથી તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી અને વજુભાઇ તથા મહાનુભાવોએ ચકડોળમાં ગગનની લટાર મારી તે જણાય છે. (તસ્‍વીર : સંદિપ બગથરિયા
રાજકોટ તા. ૧૮ : શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્‍સાહ વચ્‍ચે મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને લોકો માટે ખુલ્લો મુક્‍યો હતો. આ સાથે જ રાજકોટના  આંગણે પાંચ દિવસ માટે આનંદ ભયોનું વાતાવરણ સર્જાયું છે.
આ મેળા સાથે મુખ્‍યમંત્રીશ્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્‍ટોલ્‍સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શષા પ્રદર્શનના સ્‍ટોલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેન્‍દ્ર અને રાજય સરકારની અમૃત યોજનાઓ પુસ્‍તકનું વિમોચન પણ કરવામાં આવ્‍યું હતું. મેળાના ઉદઘાટન બાદ ખુદ મુખ્‍યમંત્રીશ્રી, ઉપસ્‍થિત મંત્રીશ્રીઓ તેમજ મહાનુભાવોએ મેળામાં લટાર મારી હતી, તેમજ મુખ્‍યમંત્રીશ્રી, મંત્રીગણ તેમજ મહાનુભાવોએ ફજર ફાળકામાં બેસીને મેળાની મજા માણી હતી. મુખ્‍યમંત્રીશ્રીએ આ તકે લોકોને ભગવાન કૃષ્‍ણના જન્‍મોત્‍સવ પ્રસંગે આયોજિત આ પાંચ દિવસીય મેળાનો ભરપૂર આનંદ લેવા સંદેશ આપ્‍યો હતો.
મેળાનું ઉદઘાટન કરતા મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનામાં રાજકોટ પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્‍ણના રંગે રંગાયું છે. આપણે રામવન નામે અર્બન ફોરેસ્‍ટનું લોકાર્પણ કર્યું. અહીં કૃષ્‍ણમય બનેલા લોકમેળાનો આપણે આજથી પ્રારંભ કર્યો છે. સનાતન હિન્‍દુ સંસ્‍કૃતિના બે મહાન પ્રતીક ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્‍ણના નામ સાથે જોડાયેલી ઘટનાઓ રાજકોટમાં આકાર લઈ રહી છે. ભારતમાં નહીં વિદેશમાં પણ લોકો રામ અને કૃષ્‍ણને માને છે, અનુસરે છે. ભારતમાં થયેલા ઈશ્વરીય અવતારો આપણી સંસ્‍કૃતિ, માન્‍યતાઓ, ઉપાસના અને આરાધના, તહેવારો અને ઉત્‍સવોના કેન્‍દ્ર સ્‍થાને રહ્યા છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્‍કૃતિ પર ભગવાન શ્રી કૃષ્‍ણનો ઊંડો પ્રભાવ છે.                                                            
તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍વાતંત્ર્ય પર્વે આપણી વિરાસતો પર ગર્વ લેવાનું આહવાન કર્યું છે. રહેણીકરણી, ભાષા-બોલી, ખાન-પાન, પરંપરાઓ, ઉત્‍સવો અને મેળા આપણી સાંસ્‍કૃતિક વિરાસત છે. આપણે આ વિરાસતને ગર્વભેર વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં ઉત્‍સવો સક્ષમ માધ્‍યમ છે. તેમણે કહ્યું કે, લોકમેળા ગુજરાતની સંસ્‍કૃતિનો ધબકાર છે. લોકમેળાએ આપણી સંસ્‍કૃતિને જીવંત રાખી છે.
આ પ્રસંગે ઉપસ્‍થિત શિક્ષણમંત્રીશ્રી તથા જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્‍તિ, રામવનનું લોકાર્પણ તેમજ ભગવાન શ્રીકૃષ્‍ણના જન્‍મોત્‍સવ પ્રસંગે આયોજિત આ લોકમેળો એમ અનોખો ત્રિવેણી સંગમ સર્જાયો છે. કોરોના પછી પહેલીવાર આ લોકમેળો યોજાઈ રહ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સૌને વેક્‍સિન આપી અને આપણે સૌએ વેક્‍સિન લઈને કોરોનાને હરાવ્‍યો છે, તેના કારણે આવા લોકમેળા અને જાહેર કાર્યક્રમોના આયોજન શક્‍ય બની રહ્યા છે.
આ પ્રસંગે કર્ણાટકના પૂર્વ રાજયપાલશ્રી વજુભાઈ વાળાએ લાક્ષણિક શૈલીમાં સંબોધન કર્યું હતું કે, રાજકોટની અને સૌરાષ્ટ્રની પ્રજા સંસ્‍કારી છે. આ લોકમેળામાં લાખો લોકો ઉમટે છે, પણ એક પણ અનિચ્‍છનિય ઘટના બનતી નથી. જયારે પૂર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, લોકમેળા એ આપણી સંસ્‍કૃતિનો અભિન્ન હિસ્‍સો છે. માણસો અહીં આવે છે અને પોતાનું દુઃખ, શ્રમ, થાક ઉતારીને જાય છે. તમામ મહાનુભાવોના સ્‍વાગત બાદ કલેક્‍ટરશ્રીએ સ્‍વાગત પ્રવચન કર્યું હતું.
આ અવસરે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રમ અને રોજગાર રાજયમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, વાહન વ્‍યવહાર રાજયમંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યોશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઈ સાગઠિયા, રાજકોટ મ્‍યુનિ.ના મેયરશ્રી પ્રદીપ ડવ, જિલ્લા કલેક્‍ટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, મ્‍યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભૂપત બોદર, નગરપાલિકાના પ્રાદેશિક નિયામકશ્રી ધિમંત વ્‍યાસ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(11:43 am IST)