Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

પૂ.સોનલજી મ.સ.નો બુધવારે જન્મોત્સવઃ ૬૪માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટ નાલંદા તીર્થધામ ખાતે બીરાજમાન ગોંડલ સંપ્રદાયના સાધ્વી રત્ના :પૂ.સોનલજી મ.સ.ના જન્મદિનની જીવદયા,સાધર્મિકોને સહાય સહિત માનવતાસભર કાર્યો કરી ધર્મોલ્લાસ સાથે ઊજવણી કરાશે

રાજકોટઃધોરાજી ધન્ય ધરા ઉપર રત્નકુક્ષિણી માતુશ્રી કમળાબેન ભુપતભાઈ શેઠ પરિવારના ગૃહાંગણે તા.૨૦/૧/૧૯૫૮ ના એક આત્માનું અવતરણ થયું. પરિવારજનોએ રેખા નામ પાડ્યું.૨૪ વર્ષની ભર યુવાન વયે તેઓને મહાવીરનો મઝેઠિયો રંગ લાગ્યો.તેઓની જૈન ભાગવતી દીક્ષા ઉપલેટાની પાવન ધરા ઉપર મહા સુદ તેરસ વિક્રમ સંવંત ૨૦૩૮ તા.૬/૨/૧૯૮૨ ના રોજ થયેલ. બહુશ્રુત આચાર્ય ભગવંત પૂ.જશાજી મ.સ.ના પરિવારના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિખ્યાત બનેલ સ્વ.પૂ.ઈન્દુબાઈ મ.સ.એ તેઓને દીક્ષા મંત્ર આપી કરેમિ ભંતેનો પાઠ ભણાવી પૂ.સોનલજી મ.સ.નામકરણ ઘોષિત કર્યું. જ્ઞાન ગચ્છ સંપ્રદાયના પૂ.મહાત્માજી મ.સ.( પૂ.જયંતમુનિજી મ.સા.)એ તેઓને વડી દીક્ષા સાથે પંચ મહાવ્રતોનું આરોહણ કરાવેલ.

સૌરાષ્ટ્ર સિંહણ પૂ.ઈન્દુબાઈ મ.સ.ની અસીમ કૃપા પૂ.સોનલજી મ.સ.ને મળેલી અને ફળેલી પણ છે.તેઓ શ્રીનો કંઠ મધુર છે. ખૂબ જ પ્રભાવશાળી પ્રવચન આપે છે.રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડ ઉપરના મુખ્ય ચોકને 'પૂ.ઈન્દુબાઈ મ.સ.ચોક' નામકરણ થયેલ તેમાં પણ પૂ.સોનલજી મ.સ.નું યોગ્ય માર્ગદર્શન મળેલ.

પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણાથી નાલંદા તીર્થધામ ખાતે અવાર - નવાર તપ - જપના અનેરા આયોજનો થાય છે.ચૈત્ર માસની આયંબિલ ઓળીમાં સૌરાષ્ટ્રમાં નાલંદા તીર્થધામનો અવલ્લ નંબર આવે છે. મનોજ ડેલીવાળાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે નાલંદા તીર્થધામ ખાતે છેલ્લા બે દાયકાથી સોનલ સદાવ્રત અંતર્ગત સાધર્મિકોને જીવનપયોગી ચીજ વસ્તુઓનું નિઃ શૂલ્ક વીતરણ કરવાનો સેવા યજ્ઞ ચલાવવામાં આવે છે.

પૂજય મોટા સ્વામી તથા પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણાથી રાજકોટ ગીત ગૂર્જરી સંઘમાં શાતાકારી આયંબિલ ભવન,નેમિનાથ - વીતરાગ સંઘ,કાલાવડ ઉપાશ્રય, મોણપર ( કાલાવડ હાઈ - વે)વગેરે ધર્મ સ્થાનકોના નૂતનીકરણ એવમ્ જિર્ણોદ્ઘારમાં દાતાઓએ દાનનો ધોધ વહાવ્યો છે. પૂ.સોનલજી મ.સ.ની પ્રેરણા થાય એટલે હજારો બહેનો સ્વયંભુ ઉત્સાહસભર ધર્મકરણીમાં જોડાઈ જાય છે.

૩૯ વર્ષના સંયમ પર્યાયમાં તેઓએ ગુરુણી મૈયા પૂ.ઈન્દુબાઈ મ.સ.સહિત અન્ય મહાસતિજીઓ સાથે અનેક ક્ષેત્રોમાં વિચરણ કરી જિન શાસનની આન - બાન - શાન વધારી છે.માત્ર કાઠિયાવાડ જ નહીં પરંતુ ઝાલાવાડના જોરાવનગર,થાન જેવા ક્ષેત્રોમાં તેઓએ ચાતુર્માસ કરી અજોડ શાસન પ્રભાવના કરી ડુંગરસિંહજી મ.સા.એવમ્ ગોં. સં.ને ગૌરાન્વિત કર્યો છે.આદિનાથ પ્રભુની પવિત્ર ભૂમિ પાલીતાણા,પ્રભુ નેમનાથની ધન્ય ધરા જુનાગઢ, શંખેશ્વર, અમદાવાદ સહિતના અનેક નાના - મોટા ક્ષેત્રોમાં તેઓએ અપૂર્વ લાભ આપેલ છે.

મધુર વ્યાખ્યાની સાધ્વી રત્ના પૂ. શ્રી રંજનજી મહાસતીજી,આગમ પ્રેમી પૂ. શ્રી પદમાજી મહાસતિજી, સ્વર કિન્નરી પૂ.શ્રી સોનલજી મહાસતિજી, સેવાભાવી પૂ.શ્રી મીનળજી મહાસતિજી સુખશાતાપૂર્વક નાલંદા તીર્થધામ રાજકોટ ખાતે બીરાજમાન છે. (૨૨.૨૮)

: સંકલન :

મનોજ ડેલીવાળા, રાજકોટ

(3:30 pm IST)