Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

માધાપર ચોકડી પાસે બાવાજી આધેડનો ટ્રકના ઠાઠામાં ગળાફાંસો ખાઇ આપઘાત

ડ્રાઇવીંગ કરતાં આધેડ વૈતાલગીરી કેટલાક મહિનાથી ઘરે પણ જતાં નહોતાં: જિંદગીથી કંટાળ્યાનું પ્રાથમિક તારણ

રાજકોટ તા. ૧૬: જામનગર રોડ પર પરાપીપળીયા એકતા સોસાયટી ૨૫ વારીયામાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં વૈતાલગીરી બાબુગીરી ગોસ્વામી  (ઉ.૪૫) નામના બાવાજી આધેડે સવારે જામનગર રોડ શેઠનગર પાસે એફસીઆઇ ગોડાઉન નજીક પોતે જે ટ્રકનું ડ્રાઇવીંગ કરતાં હતાં એ જ ટ્રકના ઠાઠામાં દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ટ્રક માલિકે વૈતાલગીરીને ટ્રકમાં લટકતાં જોતાં ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી. યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર વૈતાલગીરીને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેના પત્નિનું નામ હીનાબેન છે. સાળાએ જણાવ્યું હતું કે બનેવી વૈતાલગીરી કેટલાક મહિનાથી ઘરે પણ આવતાં નહોતાં અને ટ્રકમાં જ સુઇ રહેતાં હતાં. તેમને પીવાની ટેવ પણ પડી ગઇ હતી. કદાચ જિંદગીથી કંટાળીને આ પગલું ભર્યુ હોય તેમ જણાય છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:17 pm IST)