Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ૭ દિવસની બાળકીનું મોતઃ માતા-પિતા ભાગી ગયા

બાળકીનું મોત થયા બાદ આદિવાસી દંપતિ ગાયબઃ ફોન પણ બંધ

રાજકોટ તા. ૧૫: સિવિલ હોસ્પિટલની કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલી ૭ દિવસની બાળકીનું ગત સાંજે મોત નિપજ્યા બાદ તેના માતા-પિતા આદિવાસી દંપતિ લાશ મુકીને જતાં રહેતાં દોડધામ થઇ ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ૭ દિવસની બેબીને સારવાર માટે કે.ટી. ચિલ્ડ્રનમાં દાખલ કરાઇ હતી. ત્યારે બાળકીના માતાનું નામ શારદાબેન વાંકડીયા (આદિવાસી) અને પિતાનું નામ સુનિલ વાંકડીયા (રહમોરબી રોડ પર બેડીમાં રહેતી શારદાબેન સુનિલ વાંકડીયા લખાવાયું હતું. દરમિયાન ગત સાંજે આ બાળકીનું મોત નિપજતાં તબિબે એમએલસી કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ મકવાણાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. આર. એલ. ખટાણા, હેડકોન્સ. કે. સી. સોઢા સહિતના સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં.

જો કે બાળકીના માતા-પિતા મળી આવ્યા નહોતાં. તેણે લખાવેલા નંબર પર ફોન કરતાં ફોન પણ સતત બંધ આવતો હતો. સવારે પણ આ ફોન બંધ હોઇ બાળકીના મૃતદેહને કોલ્ડ રૂમમાં રખાયો છે. પોલીસે તેણીના વાલીવારસની શોધ યથાવત રાખી છે.

(3:35 pm IST)