Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

બે સોસાયટીનાં રસ્તામાં મેટલીંગ કામનો માત્ર કાગળ લખી ખાતમુહુર્ત કરી નંખાયંુ?!

વોર્ડ નં. ૧પમાં ભાજપે 'સપનાનાં વાવેતર' કર્યાઃ કોંગ્રેસ : પ્રજાને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનું કારસ્તાનઃ ભાનુબેન સોરાણી, વશરામભાઇ સાગઠીયાના આક્ષેપો

 રાજકોટ તા. ૧પ :.. વોર્ડ નં. ૧પ માં ભાજપના શાસકોએ બે સોસાયટીઓનાં રસ્તાઓમાં મેટલીંગ કામ કરવાનો માત્ર કાગળ લખ્યો છે ત્યાં જ આ સોસાયટીમાં રસ્તા કામનાં ખાતમુહુર્તો કરી નાખી 'સપનાના  વાવેતર કરવા' જેવો ઘાટ ઘડયાનું અને પુજાને ઉલ્ટા ચશ્મા પહેરાવવાનું કારસ્તાન કર્યાનાં આક્ષેપો પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા ત્થા કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ કર્યા છે.

મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, કોર્પોરેટર મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈ એ જણાવ્યું છે કે ભાજપના શાસકો દ્વારા વોર્ડ નં.૧૫માં મેટલીંગ કામ કરવાનું ખાતમુહૂર્ત કર્યું છે તે બાબતે કોંગી કોર્પોરેટરોએ સ્પષ્ટતા પૂર્વક જણાવ્યું છે કે વોર્ડ નં.૧૫માં આવેલ રામપાર્ક, સહજાનંદપાર્ક અને મુકેશપાર્ક વિસ્તારના રોડ બનાવવા અને વિકાસ કાર્ય કરવા માટે અનેક વખત રજુઅતો કરવામાં આવેલ છે તેમજ ડેપ્યુટી ઈજનેર, સીટી ઈજનેર, અને નાયબ કમિશ્નરશ્રીને પણ રજુઅતો કરેલ છે

ત્યારે ભાજપના શાસક પક્ષ નેતાએ કામ કરવા અંગે ફકત પત્ર લખ્યા બાદ ે જે કામનું એસ્ટીમેટ નથી મંજુર થયું, જે કામની ગ્રાન્ટ પાસ નથી થઇ જે કામનું ટેન્ડર ૫ણ નથી થયું તે કામનું ભાજપે ખાતમુહૂર્ત કરી નાખી સસ્તી પ્રસિદ્ઘી મેળવવાનો હિન્ન પ્રયાસ કર્યો છે. તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, જયારે પાંચ વર્ષ પહેલા રાજકોટ મહાનગરપાલિકા એ કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કરવામાં આવેલ રજુઆતો અંગે વોર્ડ નં.૧૫માં ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં મેટલીંગ કામ કરવા અને વિકાસ કામ કરવા માટે ફાઈલ ઉપસ્થિત કરવામાં આવેલ હતી જે ફાઈલમાં મનપાના અધિકારીઓએ એવું નોટીંગ કરેલ છે અને કવેરી કાઢેલ હતી કે આ ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે જે એરિયામાં કોર્પોરેશન ગ્રાન્ટ ન ફાળવે તેમજ જયાં સુધી સાર્વજનિક પ્લોટ મનપાને ન સોંપે ત્યાં સુધી રાજકોટ મહાનગરપાલિકા વિકાસ કામ હાથ ધરી શકે નહી અને ગ્રાન્ટ ન હોવાના બહાના કાઢ્યા હતા ત્યારે બિલ્ડરના મળતિયા અને અંગત હિત સાચવનારા  શાસકો એ પોતાના ઈશારે જ આ કામ થવા દીધું નથી અને આ કામના ખાતમુહૂર્ત કરવા પહોંચેલા ભાજપના નેતાને સ્થાનિકોએ સાથે ફોટા પડાવવા પણ ન આવ્યા ત્યારે ભાજપના કાર્યકરોને બોલાવી ફોટોસેશન કરવું પડ્યું હોવાની સ્થિતિ સર્જાઈ હતી.

અંતમાં કોંગી આગેવાનોએ આક્ષેપો કર્યા છે કે , જયારે વિધાનસભાની ચુંટણી નજીક આવી ત્યારે ભાજપના નેતાઓ કુવામાંના દેડકાની જેમ બહાર નીકળ્યા છે અને વોર્ડ નં.૧૫ની જનતાને ઉલ્ટા ચશ્માં પહેરાવવા ની કોશિશ કરે છે પરંતુ વોર્ડ નં.૧૫ની જનતા જાણે જ છે અને જનતાએ કોંગ્રેસ ઉપર સંપૂર્ણ ભરોસો મુકયો છે ત્યારે ભાજપ દ્વારા ખોટી રીતે લાગણી મેળવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ વોર્ડ નં.૧૫ની જનતા જાણે જ છે કે કોણ કામ કરે છે અને કોણ બોલેલા વચનો પુરા પાળે છે.ે તેવું કોંગ્રેસના કોર્પોરેટરો ભાનુબેન સોરાણી, વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી અને કોમલબેન ભારાઈએ જણાવ્યું છે.

(3:38 pm IST)