Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

કરિયાણુ લેવા નીકળેલા શુકલ પીપળીયાના જયંતિભાઇ ચારોલાનું બાઇક અકસ્માતમાં મોત

પીપળીયાથી ધમલપર વચ્ચે બનાવઃ રાજકોટમાં ચાર હોસ્પિટલ બદલાવાઇ પરંતુ જીવ બચી ન શકયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૫: કુવાડવા તાબેના શુકલ પીપળીયાના જયંતિભાઇ સગ્રામ ચારોલા (ઉ.વ.૫૦) નામના કોળી પ્રોૈઢનું બાઇક અકસ્માતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

જયંતિભાઇ સાંજે સાડા છએક વાગ્યે બાઇક હંકારી પીપળીયાથી ધમલપર કરિયાણુ ખરીદવા જઇ રહ્યા ત્યારે રસ્તામાં બીજા બાઇક સાથે અકસ્માત સર્જાતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. સારવાર માટે રાજકોટની ત્રણ જુદી-જુદી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ છેલ્લે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

મૃત્યુ પામનાર જયંતિભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ખેતી કરવા સાથે કરિયાણાની દૂકાન પણ ચલાવતાં હોઇ દૂકાનનો માલ લેવા માટે ઘરેથી નીકળ્યા હતાં અને રસ્તામાં આ બનાવ બન્યો હતો. કુવાડવા રોડ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:51 am IST)