Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

લોન પરત કરવા ફાયનાન્સ પેઢીને આપેલ સાડા પાંચ લાખનો ચેક પાછો ફરતા ફરિયાદ

રાજકોટ તા.૧૫: રાજકોટ શહેરમાં રૈયા ચોકડી પાસે ગીરીરાજનગરમાં રહેતા રવિ નરેન્દ્રભાઇ સોમૈયાએ માધવ ફાયનાન્સમાંથી લીધેલ  લોન પરત કરવા આપેલ ચેક રીટર્ન થતા અદાલતમાં ફરીયાદ કરતા તે કેસમાં આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ રાજકોટના એડી.ચીફ. જયુડી.મેજી.એ ફરમાવેલ છે.

આ કેસની હકિકત જોઇએ તો, ગાયત્રીનગર મેઇન રોડ પર માધવ ફાયનાન્સના નામે ધંધો કરતા સંજય હંસરાજભાઇ ગોહીલે રાજકોટના રૈયા ચોકડી પાસે ગીરીરાજનગરમાં રહેતા રવિ નરેન્દ્રભાઇ સોમૈયા વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં બે મતલબની ફરીયાદ દાખલ કરેલ કે, તહોમતદારને પોતાના ધંધાના અંગત ઉપયોગ માટે મુડીની જરૂરીયાત હોવાથી માધવ ફાયનાન્સમાંથી રકમ રૂ.૫,૫૦,૦૦૦ ની લોન લીધેલ, જે ફાયનાન્સ કંપનીની લોનની આરોપી પાસેની કાયદેસરની લેણી નીકળતી રકમ રૂ.૫,૫૦,૦૦૦ ફરીયાદી કંપનીને પરત ચુકવવા ચેક લખી આપી, ચેક સુપ્રત કરતી વખતે તહોમતદારે એવા વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ કે, સદર ચેક ફરીયાદી તેઓના બેન્ક ખાતામાં રજુ રાખશે એટલે ચેક સ્વીકારાય જશે, પરત ફરશે નહી, તેવા તહોમતદારના શબ્દો પર ભરોસો રાખી સ્વીકારેલ ચેક સ્વીકારાય જશે, પરત ફરશે નહી.  તેવા તહોમતદારના શબ્દો પર ભરોસો રાખી સ્વીકારેલ ચેક ફરીયાદીએ તેઓના બેન્ક ખાતામાં રજુ રાખતા ચેક સ્વીકારાયેલ નહી અને ડ્રોઅર્સ સીગ્નેચર ડીફર્સના કારણોસર ચેક રીટર્ન થતા ફરીયાદીએ તેના એડવોકેટ મારફત તહોમતદારને ડીમાન્ડ નોટીસ પાઠવેલ.

આમ છતા ઓફીશ્યલ પીરીયડમાં ફરીયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરતા ફરીયાદીએ તહોમતદાર વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરી દસ્તાવેજી પુરાવો રજુ કરી રજુઆત કરલે કે, રેકર્ડ પરનો પુરાવો જોતા તહોમતદારે ધી નેગોશીેબલ ઇન્સ્ટુમેન્ટ એકટ અન્વયે પ્રથમદર્શનીય ગુનો આચરેલનું ફલિત થતું હોય, તેથી તહોમતદાર વિરૂધ્ધ કાર્યવાહી કરી યોગ્ય નશ્યતે પહોંચાડવા કરેલ રજુઆતો ગ્રાહય રાખી આરોપીને અદાલતમાં કેસમાં હાજર થવા સમન્સ ઇસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતું.

ઉપરોકત કામમાં ફરીયાદી માધવ ફાયનાન્સ વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(12:39 pm IST)