Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

આજે સાંજે આઝાદીનો અમૃત મહોત્સવ થીમ

રાજકોટમાં અને દરેક તાલુકામાં સાંજે ૬ થી ૬ાા સાંસ્કૃતિક કાર્યક્રમો : શહીદ વીરો અંગે વકતવ્ય

રાજકોટ, તા. ૧૪ : ભારતવર્ષના ૭૫ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજયમાં 'આઝાદીનો અમૃત મહોત્સવ' થીમ આધારીત સાંસ્કૃતિક કાર્યક્રમોનું તાલુકા મથકો ઉપર આયોજન કરવામાં આવ્યુ છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપર સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાને એટલે કે તા. ૧૪ મી ઓગસ્ટના રોજ સાંજના ૬-૦૦ કલાકે કોરોના મહામારીની અદ્યતન માર્ગદર્શિકા અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવનાર હતી.

તાલુકા કક્ષાએ હાથ ધરાનાર આ સાંસ્કૃતિક કાર્યક્રમોના સઘન આયોજન અને અમલીકરણ અર્થે જિલ્લા કક્ષાની અને તાલુકા કક્ષાએ વિવિધ સમિતિઓની રચના કરી સબંધિત નોડલ અધિકારીશ્રીઓને કામગીરી સોંપવામાં આવી છે.

તાલુકા કક્ષાએ 'આઝાદીનો અમૃત મહોત્સવ' થીમ આધારીત હાથ ધરાનાર સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આઝાદીની લડાઈમાં યોગદાન આપનાર વીર સ્વાતંત્ર્ય વીરોને યાદ કરી તેમણે આપેલ યોગદાન બાબતે વકતવ્ય અપાશે. ત્યારબાદ સ્થાનિક કલાકારો દ્વારા દેશભકિતના ગીતો રજુ કરાશે. જેનું પ્રસારણ LED સ્ક્રીન ઉપરથી પણ નિહાળી શકાશે. તાલુકા કક્ષાના આ કાર્યક્રમ બાદ જુનાગઢ ખાતે આયોજિત થનાર રાજયકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ તમામ તાલુકા મથકોએ ઉપસ્થિત રહેલા લોકો નિહાળી શકશે.

(10:40 am IST)