Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

કોરોનાથી ગભરાવું નહિ, પરંતુ ગફલતમાં પણ ન રહેવું: લોક કલાકાર ધીરૂભાઇ સરવૈયા

એસ-સોશિયલ ડિસ્ટન્સ, એમ-માસ્ક અને એસ-સેનીટાઇઝરનું ધ્યાન રાખશું તો કોરોનાને ઝડપથી હરાવી શકશું

રાજકોટ તા. ૧૩ : રાજકોટના જાણીતા લોક કલાકાર ધીરૂભાઈ સરવૈયા કોરોના મહામારીના સમયમાં લોકોને પ્રેરક સંદેશ આપતા કહે છે કે, કોરોના મહામારીથી લોકો અત્યારે ભયભીત થઈ રહયાં છે. આ સમયમાં લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું. કોરોનાના લક્ષણો જણાય તો ચેકઅપ કરાવી લ્યો, દવા લઈ સાજા પણ થઈ જશો.

કોઈ વસ્તુ કાયમ નથી રહેતી. આજે રાત પડી ગઈ છે તો કાલે સવાર પડવાની જ છે, અને સવાર પડશે એટલે સોનાનો સૂરજ પણ ઉગશે જ. તેની જેમ કોરોના મહામારી કાયમ નથી રહેવાની. ધીમે - ધીમે ઓછી થઈ જશે અને પછી જતી પણ રહેશે.

આપણે આ સમયમાં થોડું ધ્યાન અવશ્ય રાખવાનું છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આપણને કોરોનાની મહામારીમાંથી બહાર લાવવા માટે જે સૂચના આપી છે, તેનું આપણે ચોક્કસ પાલન કરવાનું જ છે.

આપણા મોબાઈલમાં SMS આવે તો આપણે તેને કેટલો ધ્યાનથી વાંચીએ છીએ ? તે રીતે જ આપણે સૌ એ આપણી દિનચર્યામાં પણ SMS એટલે કે, S - સોશીયલ ડીસ્ટન્સ, M - માસ્ક અને S - સેનીટાઈઝરનું ધ્યાન રાખીશું તો આપણે ચોક્કસ કોરોનાને ઝડપથી હરાવી શકીશું. અને 'હારશે કોરોના, જીતશે રાજકોટ.'

(2:25 pm IST)