Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

સગાઇ નક્કી થયાના બીજા જ દિવસે ૧૬ વર્ષની બાળાએ ફાંસો ખાઇ જીવ દીધો

મંગેતરને કહ્યું લગ્ન વગર જ મને લઇ જાઃ ઉમર નાની હોવાનું કહેવાતા માઠુ લાગ્યું : અગાઉ આ સગીરા પિતાની હવસખોરીનો ભોગ બની ચુકી હતી

રાજકોટ તા. ૧૨: શહેરના કાલાવડ રોડ વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની એક બાળાએ પોતાની સગાઇ નક્કી થયાના બીજા જ દિવસે ગળાફાંસો ખાઇ મોત મેળવી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ સગીરાને અગાઉ ખુદ તેના સગા બાપે હવસનો શિકાર બનાવી હતી. આ બાપ હાલમાં જેલની હવા ખાઇ રહ્યો છે.

સોળ વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ સહિતના સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર બાળા બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેની માતા રિસામણે ગયાના છએક માસ પછી આ બાળા પર તેના જ પિતાએ દૂષ્કર્મ આચર્યુ હતું. આ ગુનામાં હાલ તે જેલમાં છે.

બાળા તેના માતા અને બહેન સાથે રહેતી હતી. તેનો ભાઇ દાદા સાથે રહે છે. આ સગીરા બહેન સાથે પારકા ઘરના કામ કરી ગુજરાન ચલાવતી હતી. આ ઉપરાંત કડીયા કામે પણ જતી હોઇ એક યુવાન સાથે સંપર્ક થતાં પ્રેમ થઇ ગયો હતો. બંનેના પરિવારજનોએ આ પ્રેમને સ્વીકારી લીધો હતો અને પરમ દિવસે રવિવારે જ રૂપીયો નાળીયેરની વીધી કરી સગાઇ નક્કી કરી નાંખી હતી. પરંતુ સગીરાએ એ સાથે જ મંગેતરને હવે પોતાને તેની સાથે તેના ઘરે લઇ જવાનું કહેતાં મંગેતરે હજુ ઉમર ઓછી હોઇ લગ્ન પછી લઇ જશે તેમ કહેતાં આ સગીરાને માઠુ લાગી ગયું હતું અને આપઘાત કરી લીધો હતો. માતા અને બહેન બહાર કામ કરવા ગયા પછી સગીરાએ પંખામાં ચુંદડી બાંધી મોત મેળવી લીધું હતું. ઘટનાથી અરેરાટી વ્યાપી ગઇ હતી.

(12:07 pm IST)