Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સિવિલમાં નવો પ્રોજેકટઃ હોસ્પિટલ તંત્ર અને દર્દીના સગા વચ્ચેનો સેતુ એટલે 'કોવિડ દમન સોફટવેર'

ઇન્ચાર્જ સિસ્ટમ મેનેજર પ્રિતિબેન માંકડે કહ્યું-૪૪ કર્મયોગીઓ કોવિડ વોર્ડમાં જઇ દર્દીની વિગતો એકઠી કરે છેઃ સોફટવેરમાં દાખલથી માંડી ડિસ્ચાર્જ સુધીની વિગતો

રાજકોટ તા. ૧૨ : સામાન્ય રીતે આપણું કોઈ સ્નેહીજન બિમાર હોય તો તેની હોસ્પિટલ કે વોર્ડમાં જઈ તેના ખબર અંતર પૂછી શકતા હોઈએ છીએ. પરંતુ, કોરોના વાયરસની મહામારીના પગલે વિશેષ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દર્દીઓના સગા સંબંધી કોરોના સંક્રમિત દર્દીને મળી શકતા નથી. આ સ્થિતિ નિવારવા માટે કોવિડ દમન નામનુ  સોફટવેર વિકસિત કરવામાં આવ્યું છે. આ સોફટવેરના માધ્યમથી દર્દીઓની તબિયત-સારવાર અંગેની વિગતથી  સતત અપડેટ કરવામાં આવે છે. સોફટવેરના આધારે કોરોના સંક્રમિત દર્દીની સ્થિતિ અંગે તેના સગા સંબંધી -સ્નેહીજનોને અવગત કરાવવામા આવે છે. આમ, કોવિડ દમન સોફટવેર હોસ્પિટલ તંત્ર અંગે અને સગા વચ્ચે કર્મયોગીઓના માધ્યમથી સેતુ બન્યો છે. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઈન્ચાર્જ  સિસ્ટમ મેનેજર પ્રીતીબેન માંકડ કહે છે કે, કોવિડ દમન સોફટવેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-તબિયત અંગેની વિગતો સતત અપડેટ કરવામાં આવે છે. જેના આધારે દર્દીઓની સ્થિતિ અંગે તેમના સ્નેહીજનો-પરિવારજનોને જાણકારી આપવામા આવે છે. આ માહિતી એકત્ર કરવા માટે ૪૪ જેટલા કર્મયોગીઓ રોકાયેલા છે. જે સતત હોસ્પિટલના કોવિડ વોર્ડમા પીપીઈ કીટ પહેરીને દર્દીઓની સ્થિતિ અંગેની માહિતી એકત્ર કરતા હોય છે. ઉપરાંત ડોકટર્સ અને આરોગ્ય કર્મીઓની સેવાઓને પણ  સીસીટીવીના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવે છે. અને જો કોઇ સમસ્યા સામે આવે તો ત્વરિત તેનું નિરાકરણ લાવવામાં આવે છે.

દર્દીઓના ડેટા એકત્ર કરવાની કામગીરીમાં રોકાયેલા મિહિરગિરી ગોસ્વામી કહે છે કે, પીપીઈ કીટ અને કોરોના વાયરસથી સંક્રમિત ન થાય તેની સાવધાની સાથે કોવિડ વોર્ડમા જઈ અને મેનેજર સાથે સંકલન કરીને દર્દીની નામ, ઉંમર, એમઆરડી, વગેરેની વિગતો મેળવી, ડેટા એન્ટ્રી માટે આપવાની હોય છે. આ વિગતો કોવિડ દમન સોફટવેરમાં અપડેટ કરવામાં આવે છે.

કોવિડ દમન સોફટવેર અપડેટ કરવાની કામગીરીમાં રોકાયેલા સોનલબેન આડદિયા કહે છે કે, કોઈ દર્દી સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય ત્યારથી માંડીને ડિસ્સાર્જ થાય ત્યાં સુધીની તમામ વિગતો કોવિડ દમન  સોફટવેરમાં રાખવામાં આવે છે. અમારે સતત કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર-તબિયત સબંધી વિગતો અપડેટ કરવાની હોય છે. જેથી આ માહિતી કોરોના સંક્રમિત દર્દીઓના સગા સંબંધી અને પરિવારજનોને આપી શકીએ છીએ, તેમ તેમણે જણાવ્યું હતું

(2:26 pm IST)