Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ચુનારાવાડ ચોક નજીક એસ.ટી. બસે એકસેસને હડફેટે લેતા સુરતના સતીષ કોળીનું મોત

બંને યુવાન રામનાથ મંદિરે દર્શન કરી ઘરે જતા'તાઃ યુવાન બે દિવસથી રાજકોટ સંબંધીને ત્‍યાં ફરવા આવ્‍યો'તોઃ રોહીત મતાણીયા સારવારમાં

રાજકોટ તા.૧ર : શહેરના ચુનારાવાડ ચોક નજીક પેટ્રોલ પંપ પાસે એસ.ટી.બસે એકસેસને ઉલાળતા સુરતના યુવાનનું મોત નિપજતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ચુનારાવાડ ચોક નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે એસ.ટી.બસે જી.જે.૩-એમસી-૮૭૩૭ નંબરના એકસેસને હડફેટે લેતા એકસેસ સવાર બન્ને યુવાન ફંગોળાઇ ગયા હતા જેમાં સુરતના સતીષ ધીરૂભાઇ કોળી (ઉ.ર૧) નુ માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેનુ ઘટના સ્‍થળેજ મોત નિપજયું હતું. જયારે  એકસેસ પાછળ બેઠેલા રોહીત નરશીભાઇ મતાણીયા ઉ.૧૬(રહે.  ચુનારાવાડ) ને ઇજા થઇ હતી.

બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ માં જાણ કરતા ૧૦૮ ના ઇએમટી નિર્મળભાઇએ ઇજાગ્રસ્‍ત  યુવાનને સારવાર માટે હોસ્‍પિટલે ખસેડાયો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના એ.એસ. આઇ. જયેશભાઇ નીમાવતે સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક સતીષ રાજકોટ ફરવા માટે આવ્‍યો હતો. અને બે દિવસથી સંબંધીના ઘરે રોકાયો હતો. બન્ને રામનાથ મંદિરે દર્શન કરી ઘરે જતા હતાં.

(4:24 pm IST)