Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વાવડીના સ્મશાનમાં સુરાપુરાની ડેરીમાં યુવાનની વિચીત્ર રીતે ગળાફાંસો ખાધેલી લાશ મળીઃ ઓળખ મેળવવા તપાસ

આશરે ૩૦ વર્ષના યુવાને ટી-શટ અને ચડ્ડી પહેર્યા છેઃ ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથીઃ સવારે ચણ નાંખવા આવેલા વ્યકિતએ લાશ જોતાં ૧૦૮ અને પોલીસને જાણ કરીઃ તાલુકા પોલીસ ઘટના સ્થળે : તસ્વીરમાં દેખાતા યુવાનના વાલીવારસ હોય તો તાલુકા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૨: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકાથી આગળ વાવડી ગોૈતમબુધ્ધ નગર પાસે આવેલા અનુસુચિત સમાજના સ્મશાનમાં આવેલી સુરાપુરાની ડેરીના ઓટામાં જાળી સાથે કપડુ બાંધી વિચીત્ર રીતે ગળાફાંસો ખાધેલી હાલતમાં એક યુવાનની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્યા મુજબ સવારે એક વ્યકિત સ્મશાન અંદર આવેલી ડેરી પાસે કબૂતરોને ચણ નાખવા આવ્યા ત્યારે ડેરીના ઓટા પર ઉપરની લોખંડની જાળીમાં કપડાના ફાંસામાં એક યુવાનની લાશ જોવા મળતાં તેણે તુરત જ ૧૦૮ને જાણ કરતાં પાઇલોટ ગોપાલભાઇ ભરવાડ અને ઇએમટી યશભાઇ વાડોલીયા પહોંચી ગયા હતાં. ઇએમટીની તપાસમાં યુવાનનું મૃત્યુ થયાનું જણાતાં તેણે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

તાલુકા પોલીસ મથકના હેડકોન્સ. પ્રવિણભાઇ જીલરીયા સહિતના સ્ટાફે પહોંચી તપાસ શરૂ કરી હતી. યુવાનની લાશ વિચીત્ર રીતે (તસ્વીરમાં દેખાય છે એ રીતે) ફાંસો ખાધેલી મળતાં પોલીસ પણ ચકરાવે ચડી ગઇ હતી. હાલ તો આ ઘટના આત્મહત્યાની જ લાગે છે. આમ છતાં પોસ્ટ મોર્ટમ બાદ પોલીસ આગળ તપાસ કરશે.

યુવાનની ઉમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની છે. તેની પાસેથી ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્તુ મળી આવી નથી. તેણે   નાઇટ ડ્રેસનું ટી-શર્ટ અને ચડ્ડી (શોર્ટસ) પહેરેલા છે. પોલીસે તેની ઓળખ મેળવવા દોડધામ શરૂ કરી છે. પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો છે.

(1:13 pm IST)