Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

શિવરાજપુરના કાનજી સાડમીયાનું પત્નિ સાથે ઝઘડો થયા બાદ મોતઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ

કોઠારીયા સોલવન્ટ પાસે ઝૂપડામાં ૧૦ દિ' પહેલા જ રહેવા આવેલા : ઝઘડામાં વચ્ચે પડેલી દેરાણીએ ધક્કો મારી મારકુટ કર્યાનો પત્નિ મંજુનો આક્ષેપ

રાજકોટ તા. ૧૦: જસદણના શિવરાજપુરથી દસેક દિવસ પહેલા જ કોઠારીયા સોલવન્ટ પાસે ઝૂપડામાં રહેવા આવેલા કાનજીભાઇ વિરજીભાઇ સાડમીયા (ઉ.વ.૩૫)નું પત્નિ મંજુ સાથે ઝઘડો થયા બાદ બેભાન થઇ જતાં મોત નિપજ્યું હતું. પત્નિએ એવો આક્ષેપ કર્યો હતો કે પોતે અને પતિ ઝઘડો કરતાં હતાં ત્યારે દેરાણી હંસાએ વચ્ચે પડી પતિને ધક્કો દઇ પછાડી મારકુટ કરી લીધી હતી. એ પછી પતિ બેભાન થઇ ગયા હતાં. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

બનાવની જાણ ૧૦૮ના ઇએમટી અફઝલભાઇ મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ ઝાલાએ જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. મનહરસિંહ જાડેજા સહિતે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

મૃત્યુ પામનાર કાનજીભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં મોટો હતો. સંતાનમાં બે પુત્રી સેજલ, જાનકી અને એક પુત્ર ઇનુ છે. પત્નિ મંજુબેને જણાવ્યું હતું કે અમે શિવરાજપુરથી દસેક દિવસ પહેલા જ કોઠારીયા સોલવન્ટ પાસે દેર-દેરાણી રહેતાં હોઇ ત્યાં મજૂરીએ આવ્યા હતાં. ગઇકાલે મારા પતિ કાનજીએ મને અને સંતાનોને ઝૂપડુ છોડી જતાં રહેવા કહી ઝઘડો કરતાં અમારી વચ્ચે માથાકુટ શરૂ થઇ હતી. એ વખતે દેરાણીએ વચ્ચે પડી મારા પતિને ધક્કો દેતાં તે પડી ગયા હતાં અને પછી તેણીએ પતિને મારકુટ કરી હતી અને તે બેભાન થઇ ગયા હતાં.

જો કે પોલીસે તપાસ કરતાં આખા શરીર પર કયાંય પણ છરકા જેવી ઇજાના નિશાન પણ જોવા મળ્યા નથી. મોત હાર્ટએટેકથી થયું કે અન્ય કોઇ રીતે? તે સ્પષ્ટ કરવા મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તસ્વીરમાં કાનજીભાઇનો નિષ્પ્રાણ દેહ અને તેની પત્નિ મંજુબેન, માતા જમમકુબેન, તથા સંતાનો જોઇ શકાય છે.

(11:42 am IST)