Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શાસ્ત્રીનગરના વંદનાબેનને ઘરકામ બાબતે અમદાવાદમાં ઇજનેર પતિ-સાસરિયાનો ત્રાસ

અમદાવાદ જગજીવન પાર્ક સોસાયટીના પતિ વિજય, સાસુ બાલીબેન, સસરા અમૃતભાઇ, દિયર મિલિંદ, દેરાણી પાયલ સામે ફરિયાદ

રાજકોટ,તા. ૧૦ : નાના મવા રોડ પર શાસ્ત્રીનગર સોસાયટીમાં માવતરના ઘરે રહેતી મહિલાને અમદાવાદમાં ઇજનેર પતિ તથા સાસુ, સસરા, દિયર અને દેરાણી ઘરકામ બાબતે ત્રાસ આપતા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ શાસ્ત્રીનગર સોસાયટી શેરી નં.૫માં માવતરના ઘરે રહેતા વંદનાબેન વિજયભાઇ પ્રિયદર્શી (ઉવ.૪૨)એ મહિલા પોલીસ મથકમાં અમદાવાદ સેટેલાઇટ જીવરાજપાર્ક પાસે જગજીવન પાર્ક સોસાયટીમાં રહેતા પતિ વિજય અમૃતભાઇ પ્રિયદર્શી, સાસુ બાલીબેન પ્રિયદર્શી, સસરા અમૃતભાઇ પ્રેમજીભાઇ ઉર્ફે પમાભાઇ પ્રિયદર્શી, દિયર મિલિંદ અમૃતભાઇ પ્રિયદર્શી તથા દેરાણી પાયલ પ્રિયદર્શી સામે ફરિયાદ નોંધાવી છે. વંદનાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતાના વીસ વર્ષ પહેલા અમદાવાદના વિજય પ્રિયદર્શી સાથે લગ્ન થયા હતા. પતિ અમદાવાદ એએમસીમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે. પોતાને લગ્નજીવન દરમ્યાન સંતાનમાં બે પુત્રી છે પોતાના લગ્નના દસ દિવસ બાદ પતિ, સાસુ, સસરા દિયર અને દેરાણી નાની નાની બાબતે તથા ઘરકામ બાબતે ઝઘડો કરતા હતા અને સાસુ, સસરા સહિત પતિને ચઢામણી કરતા પતિ પોતાની સાથે ઝઘડો કરી મારકૂટ કરી શારીરીક માનસીક ત્રાસ આપતા હતા. આ ત્રાસથી કંટાળી પોતે રાજકોટ માવતરના ઘરે આવ્યા બાદ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ આઇ.એસ.શેખે તપાસ હાથ ધરી છે. 

(3:35 pm IST)